Apr 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-489

 

અધ્યાય-૨૦૫-પતિવ્રતાનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राजा मार्कण्डेयं महाध्युतिम् I पप्रच्छ भरतश्रेष्ठ धर्मप्रश्नं सुदुर्विदम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતશ્રેષ્ઠ,યુધિષ્ઠિરે મહાકાંતિવાળા માર્કંડેયને સહેજે ન સમજી શકાય એવો આ ધર્મપ્રશ્ન પૂછ્યો કે-'હે ભગવન,હું સ્ત્રીઓનું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તે યથાર્થ કહો.સૂર્ય,ચંદ્ર,વાયુ,પૃથ્વી,પિતા,

માતા,ગુરુ અને જે કોઈને દેવ કહેવામાં આવે છે,તે આ લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.સર્વ ગુરુજનો ને પતિવ્રતા સ્ત્રીઓ માનપાત્ર છે,આ બંનેમાં પતિવ્રતાઓની પતિસેવા મને ભારે કઠણ જણાય છે,કેમ કે તેઓ ઇન્દ્રિયોને વશ રાખી,મનનો નિરોધ કરી,પતિને જ દેવ માનીને તેમના જ ચિંતનમાં રહે છે,વળી તેમને માતપિતાની સેવા પણ કરવાની હોય છે,સ્ત્રીઓના અતિ કઠિન ધર્મ જેવું દુષ્કર હું કશું જોતો નથી.

યોગ્ય સમયે પતિ સાથે સમાગમ કરી,દશ માસ સુધી પોતાના ઉદરમાં ગર્ભ ધારણ કરી,મહાદુઃખ ભોગવી પુત્રોને જન્મ આપે છે ને તેમને સ્નેહથી પાળે છે,એવી પતિવ્રતાઓનું માહાત્મ્ય,તમારી પાસેથી સાંભળવાની ઈચ્છા છે.


માર્કંડેય બોલ્યા-હે રાજન,તમારા આતિકઠિણ પ્રશ્નનો હું યથાર્થ ઉત્તર આપું છું.કોઈક માતાને મોટી માને છે તો કોઈક પિતાને મોટો માને છે પણ,જે સંતાનને ઉછેરીને મોટું કરે છે તે માતા જ દુષ્કર કાર્ય કરે છે,

તપથી,દેવપૂજાથી,અભિવંદનોથી,તિતિક્ષાથી અને ઉપચારોથી મહાકષ્ટે સંતાન પામ્યા પછી પણ માતાપિતા સદા ચિંતા કરે છે કે-પોતાનું સંતાન કેવું નીવડશે? માતાપિતા પોતાના સંતાન પ્રત્યેથી યશ,કીર્તિ,ઐશ્વર્ય,સંતાન ને ધર્મની આશા રાખે છે,આથી જે સંતાન તેમની આશાને સફળ કરે તે જ ધર્મને જાણનાર છે.

સ્ત્રીઓને માટે કોઈ યજ્ઞક્રિયાની,શ્રાદ્ધની અને ઉપવાસોની આવશ્યકતા નથી,તેઓ તો પતિની જે સેવા કરે છે તેથી જ સ્વર્ગને પામે છે,આ સંબંધમાં તમે પતિવ્રતાના આવશ્યક ધર્મ સાંભળો (24)

અધ્યાય-૨૦૫-સમાપ્ત