બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો ? નારદજી કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. “આજથી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.”
સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી.તેમાં રહેલા –ભાવ-ને મહત્વ આપેલું છે.
સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી- 'સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે'-મંત્ર બોલીને દરેક સત્કાર્ય ની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.
 |
Photo-By-Anil Shukla |
મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.