Jan 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-711

 

હે સંજય,એક દિવસે હું પ્રાતઃકાળમાં સંધ્યાવંદન કરી રહ્યો હતો ત્યારે એક બ્રાહ્મણે મને કહ્યું હતું કે-'હે પાર્થ,તારે શત્રુઓની સામે યુદ્ધ કરવાનું દુષ્કર કર્મ કરવાનું છે.માટે જો તારી ઈચ્છા હોય તો,વજ્રધારી ઇન્દ્ર,હરિ નામના ઘોડાઓ જોડેલ રથમાં બેસીને શત્રુઓનો નાશ કરતા તારી આગળ ચાલશે અથવા શ્રીકૃષ્ણ સૂગ્રીવાદિ ઘોડાઓ જોડેલા રથમાં બેસીને તારું પાછળથી રક્ષણ કરશે' તે વખતે મેં વજ્રધારી ઇન્દ્ર કરતાં આ યુદ્ધને માટે શ્રીકૃષ્ણને જ સહાયક માગી લીધા અને ચોરોનો વધ કરવા તે કૃષ્ણ મને મળ્યા.હું માનું છું કે દેવતાઓએ જ મારે માટે એ નિર્માણ કરેલું છે.શ્રીકૃષ્ણ જાતે યુદ્ધ ન કરે તો પણ તે તેમના મનમાં જે પુરુષના જયની ઈચ્છા કરે તે પુરુષ ઇન્દ્રસહિત સર્વ દેવોનો પણ પરાજય કરી શકે તો પછી સામાન્ય મનુષ્યની તો શાની ચિંતા હોય?

Jan 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-710

 

દુર્યોધન,જો અજમીઢવંશી યુધિષ્ઠિર રાજાને રાજ્ય આપશે નહિ તો,ધૃતરાષ્ટ્રના પુત્રોએ જેનું ફળ હજી ભોગવ્યું નથી,એવું પાપકર્મ પૂર્વે અવશ્ય કરેલું છે એમ માનવું કેમ કે પાંડવો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ અને જે અપકારનું ચિંતન કરવાથી જ પૃથ્વી ને સ્વર્ગને બાળી મૂકે તેવા છે તે યુધિષ્ઠિરની સાથે અવશ્ય યુદ્ધ કરવું પડશે.દુર્યોધન જો યુદ્ધ કરવાની જ ઈચ્છા રાખતો હોય તો પાંડવોને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે-એમ જ સમજ.માટે પાંડવોના હિતને માટે તું અર્ધું રાજ્ય મળે તેમ કરીશ નહિ પણ જો તારી માન્યતા હોય તો યુદ્ધ થવા જ દેજે.(10)

Jan 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-709

 

યાનસંધિ પર્વ 

અધ્યાય-૪૭-સંજય સભામાં આવ્યો 

 II वैशंपायन उवाच II एवं सनत्सुजातेन विदुरेण च धीमता I सार्ध कथयेतो राज्ञः स व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સનત્સુજાત અને બુદ્ધિમાન વિદુરની સાથે વાર્તાલાપ કરતા ધૃતરાષ્ટ્રની તે રાત વીતી ગઈ.પ્રભાત થતા,સર્વે રાજાઓ સંજયને મળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને સભામાં દાખલ થયા.તે સુંદર રાજસભામાં,પાંડવોનાં ધર્મ તથા અર્થયુક્ત વચનો સાંભળવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે અને દુર્યોધનને આગળ કરીને શકુનિ,કર્ણ વગેરે તથા સર્વ રાજાઓ દાખલ થયા.પછી,સંજય પણ ત્યાં આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો કે-'હું પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.પાંડવો સર્વ કૌરવોને વયના પ્રમાણમાં અભિનંદન ને વૃદ્ધોને વંદન આપ્યા છે.પાંડવોએ મળીને જે સંદેશો કહ્યો છે તે હું હવે સર્વને કહીશ,તે તમે સર્વ સાંભળો (17)

અધ્યાય-47-સમાપ્ત 

Jan 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-708

 

જેમ,સર્પો દરમાં રહીને પોતાના શરીરને છુપાવે છે,તેમ,કેટલાક (દંભી)મનુષ્યો પોતાના ગુરુના શિક્ષણથી અથવા દંભી વર્તનથી પોતાના પાપોને છુપાવે છે.આવા પુરુષો પર મૂઢ મનુષ્યો મોહ પામે છે,ને તે દંભી પુરુષો તે મૂઢોને નરકમાં નાખવા મોહિત કરે છે,માટે પરમાત્માના લાભને માટે સારી રીતે પરીક્ષા કરેલ સજ્જનોની જ સંગતિ કરવી જોઈએ.જીવન્મુકતને અનુભવ થાય છે કે 'હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિકના ધર્મવાળો નથી,માટે મને જીવન-મૃત્ય નથી,ને જયારે મને બંધન નથી તો મોક્ષ કોનાથી?

સત્ય અને અસત્યરૂપ જગત સત્ય તથા સમાન એવા બ્રહ્મને આધીન છે અને કાર્ય-કારણની ઉત્પત્તિનું સ્થાન હું એક જ છું'

તેવા મને -સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (22)

Jan 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-707

 

તે પરમાત્મા (બ્રહ્મ)થી જ વાયુ ઉત્પન્ન થયો છે અને સર્વદા તેમાં જ અધીન થઈને રહે છે.તે બ્રહ્મથી અગ્નિ તથા સોમ (ભોક્તા-ભોજ્ય) ઉત્પન્ન થયાં છે અને તેનામાં પ્રાણ,દેહ તથા ઇન્દ્રિય-આદિનો સમૂહ વિસ્તાર પામીને રહેલો છે.

આ સર્વ જગત,તેનાથી જ ઉત્પન્ન થયેલું જાણવું.'તત' શબ્દથી કહેવાતા તે પરમાત્મા (બ્રહ્મ)નું વર્ણન કરવા અમે સમર્થ નથી.વાણીના અવિષય તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (12) પ્રાણ,અપાનને ગળે છે,ચંદ્ર પ્રાણને ગળે છે,આદિત્ય ચંદ્રને ગળે છે ને પરમાત્મા આદિત્યને ગળે છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (14)

Jan 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-706

 

અધ્યાય-૪૬-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II यत्तच्छुकं महज्योति दीप्यमानं माध्यशः I तद्वै देवा उपासते तस्मार्योविराजते II १ II

જે શુક્ર,મહત,જ્યોતિ,દીપ્યમાન ને મહદ્યશ-એવા નામવાળા પરમાત્મા છે,તેની જ દેવો ઉપાસના કરે છે અને તે મૂળકારણરૂપ બ્રહ્મથી,સૂર્ય (એટલે કે જગતની ઉત્પત્તિ કરવારૂપી ધર્મવાળા માયાની ઉપાધિવાળા ઈશ્વર) પ્રકાશે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ (સૂર્યરૂપે) જુએ છે (1) બ્રહ્મ(એટલે જગતને ઉત્પન્ન ને વિસ્તૃત કરનાર),એ પરમ વ્યોમ(આકાશ) નામનું અવ્યાકૃત,અવસ્તુરૂપ (પણ આનંદરૂપ) છે,તો પણ તે ચૈતન્ય પ્રતિબિંબને પામીને,જગતનાં જન્માદિક કાર્ય કરવા સમર્થ થાય છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે.તે શુક્ર (આનંદ-બ્રહ્મ),જ્યોતિષિઓ-સૂર્યાદિની અંદર રહીને પ્રકાશે છે,પણ,પોતે અતપ્ત 

(એટલે કે બીજાથી અપ્રકાશિત કે સ્વયંજ્યોતિ)છે ને સૂર્યાદિકને તપાવે છે,જે (બ્રહ્મ)ને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(2)