Jan 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-729

 

અધ્યાય-૬૩-દુર્યોધનની હઠ અને વિદુરનો ઉપદેશ 


II दुर्योधन उवाच II सदशानां मनुष्येषु सर्वेषां तुल्यजन्मनाम् I कथमेकांततस्तेषां पार्थानां न्यसे जयम् II १ II

દુર્યોધને કહ્યું-મનુષ્યોમાં સર્વે સમાન છે અને સમાન રીતે જન્મ ધારણ કરનારા છે,છતાં તમે કેવળ પાંડવોનો જ જય થશે,એમ કેમ માનો છો?અમે અને તેઓ વીર્ય,પરાક્રમ,વય,પ્રતિભા,શાસ્ત્ર,અસ્ત્ર,વીરસમૂહ,શીઘ્રતા અને કૌશલ્ય વડે સમાન છીએ,અમે સર્વ એક જાતિવાળા છીએ અને મનુષ્યયોનિમાં જ જન્મ્યા છીએ.છતાં તેઓ જ જીતશે એમ તમે કેમ માનો છો?

હું કંઈ તમારા,દ્રોણ,કૃપ આદિના પરાક્રમ ઉપર યુધ્ધનો આરંભ કરતો નથી,પણ હું,કર્ણ,ને દુઃશાસન એ ત્રણે સંગ્રામમાં તીવ્ર બાણો વડે તે પાંચે પાંડવોને મારીશું.પછી,હું પુષ્કળ દક્ષિણાવાળા વિવિધ પ્રકારના મહાયજ્ઞોથી યજન કરીશ.યુદ્ધમાં જયારે મારા યોદ્ધાઓ,હાથી ને રથથી વ્યાપ્ત શત્રુઓને પકડી લેશે ત્યારે પાંડવો ને કૃષ્ણ ગર્વ છોડી દેશે.(8)

Jan 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-728

 

અધ્યાય-૬૨-કર્ણ અને ભીષ્મ વચ્ચે વિવાદ 

II वैशंपायन उवाच II तथा तु प्रुच्छमतंतीव पार्थ वैचित्रवीर्यतमचिंतयित्वा I उवाच कर्णो धृतराष्ट्रपुत्रं प्रहर्षयन्सन्सदि कौरवाणां II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વિચિત્રવીર્યનો પુત્ર ધૃતરાષ્ટ્ર,અર્જુનના સંબંધમાં અતિશય પૂછ્યા કરતો હતો,ત્યારે તેના પર લક્ષ્ય ના આપતાં,તે સભામાં દુર્યોધનને આનંદ આપતો કર્ણ બોલ્યો કે-'પૂર્વે,'હું બ્રાહ્મણ છું' એવું પરશુરામને મિથ્યા કહીને,મેં તેમની પાસેથી બ્રહ્માસ્ત્ર સંપાદન કર્યું હતું,પણ મારુ કપટ જાણ્યા પછી તેમણે તે જ વખતે મને કહ્યું હતું કે-'તને અંતકાળે એ અસ્ત્રનું સ્મરણ થશે નહિ' જો કે મારો અપરાધ મોટો હતો છતાં તે તેજસ્વી ગુરુએ મને બીજો શાપ આપ્યો નહોતો,કારણકે મેં સેવાથી ને પુરુષાર્થથી તેમનું મન પ્રસન્ન કર્યું હતું.તે બ્રહ્માસ્ત્ર મારી પાસે છે ને મારુ આયુષ્ય પણ બાકી છે એટલે હું અર્જુનને જીતવા સમર્થ છું અને તેથી તેના વધનો ભાર હું મારે માથે લઉં છું.તે ઋષિનો કૃપાપાત્ર હું એક પલકારામાં પાંચાલ,મત્સ્ય આદિને અને પુત્ર-પૌત્રોની સાથે પાંડવોને મારીને તે લોકોને સ્વાધીન કરીશ.પિતામહ,દ્રોણ -આદિ ભલે તારી સાથે રહે,હું માત્ર મુખ્ય સૈન્યની સાથે જઈને પાંડવોનો નાશ કરીશ.એ ભાર હું મારા પર લઉં છું' (6)

Jan 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-727

 

અધ્યાય-૬૧-દુર્યોધનની આત્મશ્લાઘા 


II वैशंपायन उवाच II पितुरेतद्वचः श्रुत्वा धार्तराष्ट्रोत्यमर्षणः I आधाय विपुलं क्रोधं पुनरेवेदमब्रवीत् II १ II

વૈશંપાયને કહ્યું-પિતાનાં એ વચન સાંભળીને,મૂળથી જ મહાક્રોધી દુર્યોધન,અતિશય ક્રોધ ધારણ કરીને ફરીથી કહેવા લાગ્યો કે-

'હે મહારાજ,દેવોની સહાયતાવાળા પાંડવો જિતાવા અશક્ય છે એવો તમારો ભય દૂર થાઓ.પૂર્વે વ્યાસ,પરશુરામ ને નારદે મને જે વાત કહી હતી તે તમે સાંભળો.કામ,દ્વેષ,લોભ તથા દ્રોહના અભાવથી અને પદાર્થો તરફ ઉપેક્ષા કરવાથી જ દેવો દેવપણાને પામે છે,ને તે દેવો મનુષ્યની જેમ કામ,ક્રોધ લોભ ને દ્વેષથી કોઈ પણ કામ કરતા નથી.તમે કહે છો તેમ જો અગ્નિ,વાયુ,ધર્મ,ઇન્દ્ર ને અશ્વિનીકુમારો,ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોત તો પાંડવો કદી દુઃખ પામે જ નહિ.માટે તમારે દેવો તરફની એવી કોઈ ચિંતા કરવી નહિ.વળી,દેવો શમ,દમ વગેરે દૈવી ભાવોની નિત્ય ઈચ્છા રાખનારા હોય છે,છતાં,જો તે દેવોમાં કામનાના સંબંધથી દ્વેષ ને લોભ જોવામાં આવે તો વેદના પ્રમાણ પરથી હું તમને કહું છું કે-તે કામાદિના સંબંધવાળાઓનું કરેલું સફળ થશે નહિ (8)

Jan 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-726

 

અધ્યાય-૬૦-ધૃતરાષ્ટ્રનું વિવેચન 


II वैशंपायन उवाच II संजयस्य वचः श्रुत्वा प्रज्ञाचक्षुर्जनेश्वरः I ततः संख्यातुमारेभे तद्वचो गुणदोषतः II १ II

વૈશંપાયને કહ્યું-સંજયનું કહેવું સાંભળીને,અંધરાજા ધૃતરાષ્ટ્ર,તે વચનના ગુણદોષની ગણના કરવા લાગ્યો.વિચક્ષણ ને પોતાના પુત્રોના વિજયની કામનાવાળા ધૃતરાષ્ટ્રે પોતાના બુધ્ધિબળથી,ગુણદોષની યથાયોગ્ય સૂક્ષ્મતાથી ગણના કરીને બંને પક્ષના બળાબળનો નિશ્ચય કર્યો.પછી,તેણે શક્તિ સંબંધી વિચાર કર્યો અને તેમાં પાંડવોને દૈવી તથા માનુષી શક્તિથી અને તેજથી યુક્ત જાણીને અને કૌરવોને અતિ અલ્પ શક્તિવાળા જાણીને તેણે દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,મારી આ ચિંતા કદી પણ શાંત થતી નથી,હું જે કહું છું તે અનુમાનથી નહિ પણ સાચા અનુભવથી કહું છું,એમ મારુ માનવું છે.

Jan 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-725

 

અધ્યાય-૫૯-શ્રીકૃષ્ણનો સંદેશો 


II धृतराष्ट्र उवाच II यद्व्रुतां महात्मानौ वासुदेवधनंजयौ I तन्मे ब्रुहि महाप्राज्ञ शुश्रूषे वचनं तव II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે મહાપ્રાજ્ઞ,મહાત્મા કૃષ્ણ તથા અર્જુને જે કહ્યું હોય તે મને સાંભળવાની ઈચ્છા છે.

સંજય બોલ્યો-હે રાજન,હું જયારે તે બે નરદેવોને તમારો સંદેશો કહેવા વિનયયુક્ત થઈને બે હાથ જોડીને તેમના અંતઃપુરમાં દાખલ થયો ત્યારે તે અંતઃપુરમાં શ્રીકૃષ્ણ,અર્જુન,દ્રૌપદી અને સત્યભામા બેઠેલાં હતાં.એ સ્થાનમાં અભિમન્યુ,નકુળ કે સહદેવ પણ પ્રવેશ કરતા નહિ.શ્રીકૃષ્ણ અને અર્જુને ચંદનનો અંગરાગ,પુષ્પની માળો અને ઉત્તમ વસ્ત્રો તથા દિવ્ય અલંકારો ધારણ કરેલા હતા.સુવર્ણના મોટા આસન પર તેઓ બેઠેલા હતા.મને જોઈને અર્જુને સુવર્ણનો બાજઠ મારા તરફ ખસેડ્યો,પરંતુ મેં તેનો બે હાથથી સ્પર્શ કરીને પૃથ્વી પર જ બેઠો.મને અર્જુનના સુંદર પગોના તળિયાની ઉર્ધ્વરેખા અને બીજા સુંદર લક્ષણો દેખાણા હતા.તે બંને ઇન્દ્ર તથા વિષ્ણુના સમાન છે,પણ મંદ બુદ્ધિવાળો દુર્યોધન દ્રોણ અને ભીષ્મના આશ્રયથી અને કર્ણના બકવાદથી તેઓના સ્વરૂપને ઓળખાતો નથી.આ બંને જેની આજ્ઞામાં રહેલા છે તે ધર્મરાજાનો માનસિક સંકલ્પ સિદ્ધ થશે,એવો મને તે વખતે નિશ્ચય થયો હતો.(12)

Jan 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-724

 

અધ્યાય-૫૮-ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો સંવાદ 


II धृतराष्ट्र उवाच II क्षत्रतेज ब्रह्मचारी कौमारादपि पाण्डवः I तेन संयुगमेष्यन्ति मंदा विलपतो मम  II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-યુધિષ્ઠિર બાળપણથી જ ક્ષાત્રતેજથી યુક્ત તથા બ્રહ્મચારી છે.હું વિલાપ કરું છું છતાં તે યુધિષ્ઠિરની સાથે મારા મૂર્ખ પુત્રો યુદ્ધ કરવા તૈયાર થયા છે.ઓ દુર્યોધન,તું યુદ્ધ કરવાનું માંડી વાળ.વિદ્વાનો કોઈ પણ અવસ્થામાં યુદ્ધને વખાણતા નથી.તારા મંત્રીઓની સાથે તને આજીવિકા માટે અર્ધી પૃથ્વી પૂરતી છે.માટે તું પાંડવોને યથાયોગ્ય ભાગ આપી દે.તું પાંડવો સાથે શાંતિ રાખવા ઈચ્છે-એ વાતને જ સર્વે કૌરવો ધર્મયુક્ત માને છે.તું તારી પોતાની સેના તરફ  દ્રષ્ટિ કર,તે તારો વિનાશ સૂચવે છે.પણ તું મોહને લીધે સમજતો નથી.હું પોતે યુદ્ધને ઈચ્છતો નથી,બાલહિક યુદ્ધને ઇચ્છતા નથી,તેમ જ ભીષ્મ,દ્રોણ,અશ્વસ્થામા,સંજય,સોમદત્ત,શલ,કૃપ,સત્યવ્રત,પુરુમિત્ર,જાય ને ભૂરિશ્રવા એ સર્વે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી.(7)ટુંકાણમાં શત્રુઓથી પીડાયેલા કૌરવો જેઓને આશ્રયે રહે,તે સર્વ યુદ્ધને ઇચ્છતા નથી તો એ વાત તને પણ પસંદ પડો.આ યુદ્ધ તું પોતે પણ પોતાની ઈચ્છાથી નહિ પણ,કર્ણ,દુઃશાસન અને શકુનિ જ તારી પાસે કરાવે છે (9)