Mar 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-750

 

અધ્યાય-૮૪-શ્રીકૃષ્ણનું પ્રયાણ (ચાલુ)


II वैशंपायन उवाच II प्रयांतं देवकीपुत्रं परवीररुजो दश I महारथ महाबाहुमन्वयुः शस्त्रपाणयः II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,મહાબાહુ દેવકીપુત્રં શ્રીકૃષ્ણ જવા લાગ્યા તે સમયે તેમની સાથે દશ મહારથીઓ,

એક હજાર પાળાઓ,એક હજાર ઘોડેસ્વારો,સેંકડો સેવકો અને પુષ્કળ અન્ન સામગ્રી હતી.

જન્મેજય બોલ્યા-શ્રીકૃષ્ણ કેવી રીતે ત્યાં ગયા? ને તેમને માર્ગમાં જતાં કયાં કયાં નિમિત્તો થયાં હતાં ?


વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણના પ્રયાણ વખતે,આકાશમાં વાદળો ન હોવા છતાં વીજળીના ચમકારા થવા લાગ્યા ને પછી પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો.સિંધુ વગેરે સાત નદીઓ કે જે પૂર્વ તરફ વહેતી હતી તે પશ્ચિમ તરફ વહેવા લાગી.સર્વ દિશાઓ વિપરીત ભાસવા લાગી અને કંઈ પણ સૂઝે નહિ તેવું થઇ ગયું.અગ્નિઓ પ્રકટવા લાગ્યા,પૃથ્વી કંપવા લાગી.આકાશમાં મોટો શબ્દ થવા લાગ્યો પણ શબ્દ કરનારનું શરીર દેખાતું ન હતું,એ આશ્ચર્ય જેવું થઇ પડ્યું.કઠોર ને વજ્રના જેવો,નૈઋત્ય ખૂણાનો વાયુ,સંખ્યાબંધ ઝાડોને તોડી પાડતો હસ્તિનાપુરને ઝુડી નાખવા લાગ્યો (10)


પરંતુ,શ્રીકૃષ્ણ,જે જે માર્ગે થઈને જતા હતા,ત્યાં સુખકર વાયુ વાતો હતો અને સર્વ અનુકૂળ થઇ જતું હતું.ગામે ગામે હજારો બ્રાહ્મણો વાસુદેવની વાણી વડે સ્તુતિ તથા પૂજન કરતા હતા.રસ્તામાં સ્ત્રીઓ એકઠી થઈને સુગંધીવાળા વનના પુષ્પોથી તેમને વધાવતી હતી.આ પ્રમાણે સન્માન પામતા શ્રીકૃષ્ણ,અનેક દેશોનું ઉલ્લંઘન કરતા,સુખકારક અને ધર્મિષ્ઠ લોકોથી વસાયેલા,રમણીય શાલિભવન નામના સ્થાનમાં આવ્યા.તે વખતે તેમનાં દર્શન કરવાની ઈચ્છાથી અનેક લોકો ટોળે વળીને ઉભા હતા.પૂજા કરવા યોગ્ય શ્રીકૃષ્ણ પોતાના દેશમાં અતિથિ તરીકે આવ્યા એટલે ત્યાંના સર્વ લોકોએ તેમની પૂજા કરી.

સૂર્ય આથમવા આવ્યો હતો એટલે શ્રીકૃષ્ણ રથમાંથી ઉતર્યા અને રથને છોડવાની આજ્ઞા કરીને વિધિ પ્રમાણે સ્નાન-આદિ કરીને સંધ્યા વંદન કરવા બેઠા.પોતાનું સર્વ કાર્ય આટોપીને શ્રીકૃષ્ણે ત્યાં રાત્રિ નિવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો એટલે સેવકોએ તરત જ ખાવાપીવાની ઉત્તમ સગવડ કરી દીધી.પછી ગામના બ્રાહ્મણો ને નેતાઓએ આવીને શ્રીકૃષ્ણની પૂજા કરી અને તેમનો આદરસત્કાર કર્યો.શ્રીકૃષ્ણે પણ તે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું એને તે રાત્રિએ ત્યાં સુખેથી નિવાસ કર્યો (29)

અધ્યાય-84-સમાપ્ત

Mar 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-749

 

અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણનું પ્રયાણ 


II अर्जुन उवाच II करुणामद्य सर्वेषां भवान्सुह्रद्नुत्तम I संबन्धी दयितो नित्यसुभयो: पक्षयोरपि II १ II

અર્જુને કહ્યું-હે કૃષ્ણ,આજે તમે સર્વ કુરુવંશીઓના પરમ સ્નેહી છો અને બંને પક્ષના સંબંધી તથા નિત્ય પ્રીતિપાત્ર છો,માટે તમારે ધૃતરાષ્ટ્રના પુત્રોનો પાંડવોની સાથે સંપ થાય તેમ કરવું,કારણકે તમે સલાહસંપ કરાવવા સમર્થ છો.તમે દુર્યોધનને પાસે જઈને તેને શાંતિને માટે જે કહેવા જેવું યોગ્ય હોય તે કહેજો.તમે ધર્માર્થયુક્ત,નિર્દોષ અને કલ્યાણકારક વચન કહેશો,ને તે હિતરૂપ વચનને જો મૂર્ખ દુર્યોધન સ્વીકારશે નહિ તો પછી તે ભાગ્યને અધીન થશે (4)

શ્રીભગવાને કહ્યું-ધર્મને અનુસરીને આપણું હિત અને કૌરવોનું કુશળ સાધવા હવે હું ધૃતરાષ્ટ્રને મળવા જઈશ.

Mar 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-748

 

અધ્યાય-૮૧-સહદેવ અને સાત્યકિનાં ભાષણ 


II सहदेव उवाच II यदेत्कथितं राज्ञा धर्म एष सनातनः I य थाच युध्ध्मेवस्यात्तथा कार्यमरिंदं II १ II

સહદેવે કહ્યું-હે શત્રુદમન કૃષ્ણ,યુધિષ્ઠિર રાજાએ જે કહ્યું તે સનાતન ધર્મ છે,પરંતુ તમારે તો જે પ્રમાણે યુદ્ધ થાય તે પ્રમાણે જ કરવું.હે કૃષ્ણ,કૌરવો જો પાંડવોની સાથે સલાહ કરવાની ઈચ્છા રાખતા હોય તો પણ તમારે તો તેઓની સાથે યુદ્ધ થાય તેવી જ યોજના કરવી,કારણકે સભામાં દ્રૌપદીની દશા જોઈને,દુર્યોધન ઉપર ઉત્પન્ન થયેલો મારો ક્રોધ,તેનો વધ કર્યા વિના કેવી રીતે શાંત થાય? જો ભીમ,અર્જુન ને ધર્મરાજા ધાર્મિક થઈને બેસી રહેશે તો પણ હું એકલો ધર્મનો ત્યાગ કરીને સંગ્રામમાં તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું (4)


સાત્યકિએ કહ્યું-હે કૃષ્ણ,આ સહદેવ,સત્ય કહે છે.દુર્યોધનનો વધ કરવાથી જ સહદેવનો ને મારો ક્રોધ શાંત થશે.વનમાં પાંડવોને વલ્કલ તથા મૃગચર્મ પહેરેલા જોઈને તમને પણ ક્રોધ ઉતપન્ન થયો હતો તે તમે જાણતા નથી કે?માટે આ શૂરા સહદેવે જે વચન કહ્યાં તે મને અને સર્વ યોદ્ધાઓને માન્ય છે (7)આ પ્રમાણે સાત્યકિ કહેતો હતો ત્યારે ત્યાં સર્વ યોદ્ધાઓનો મહાભયંકર સિંહનાદ થવા લાગ્યો અને યુદ્ધની ઈચ્છાવાળા તે સર્વ વીરો સાત્યકિને હર્ષ આપતાં 'ઠીક કહ્યું'કહીને માન આપવા લાગ્યા (9)

અધ્યાય-81-સમાપ્ત 


અધ્યાય-૮૨-દ્રૌપદીનો ક્રોધ અને શ્રીકૃષ્ણનું સાંત્વન 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धर्मार्थसहितं हितम् I कृष्णा दाशार्हमासीन ब्रविच्छोक्स्त्रनिन्दा II १ II

વૈશંપાયને કહ્યું-ધર્મરાજાનું ધર્મ ને અર્થથી યુક્ત અને હિતકારક ભાષણ સાંભળીને શોક વડે શુષ્ક થયેલાં,લાંબા કાળા કેશવાળાં મનસ્વિની દ્રૌપદી,સહદેવ ને સાત્યકિને અભિનંદન આપીને,ભીમસેનને શાંત પડી ગયેલો જોઈ,મનમાં અત્યંત ખિન્ન થઇ તથા આંસુથી આંખો ભરી,ત્યાં બેઠેલા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે જનાર્દન,દુર્યોધને કપટનો આશ્રય કરીને પાંડવોને સુખથી ભ્રષ્ટ કર્યા તે તમે જાણો છો.ધૃતરાષ્ટ્રે એકાંતમાં સંજયને પોતાનો ગુપ્ત વિચાર સંભળાવ્યો હતો અને સંજયે યુધિષ્ઠિરને જે સંદેશો કહ્યો હતો તે પણ તમે જાણો છો.યુધિષ્ઠિરે,સંજયને પાંચ ગામો આપવાનો સંદેશો કહ્યો હતો,તે સાંભળવા છતાં દુર્યોધને તે પ્રમાણે કર્યું નથી.માટે દુર્યોધન રાજ્ય આપ્યા વિના જો સંધિ કરવાની ઈચ્છા રાખે તો ત્યાં જઈને તમારે કોઈ પણ રીતે સંધિ કરવી નહિ,કારણકે સૃન્જયોની સાથે પાંડવો,દુર્યોધનના સૈન્યને પહોંચી વળવા સમર્થ છે.(11)

Mar 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-747

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II एवमेतन्महाबाहो यथा वदसि पांडव I पांडवानां कुरुणा च प्रतिपत्स्ये निरामयः II १ II

શ્રીભગવાને કહ્યું-હે મહાબાહુ પાંડવ,તું જે કહે છે તે યથાર્થ છે,હું પાંડવોનું તથા કૌરવોનું કલ્યાણ કરીશ.હું દૂત થઈને જાઉં છું માટે સંધિ કરવી અથવા યુદ્ધનો પ્રસંગ લાવવો એ બંને કામ મારે અધીન છે.તો પણ એમાં દૈવની અનુકૂળતાની અપેક્ષા છે.

એક ખેતર,રસાળ હોય અને ખેડૂતે મહેનતથી તૈયાર કર્યું હોય પણ તે વરસાદ વગર ફળ આપતું નથી,તેમાં દૈવનું પ્રાધાન્ય છે.

હવે તે જ ખેતરમાં પાણી પાઈને ફળ મેળવવું,તેને કેટલાએક પુરુષ યત્નનું પ્રાધાન્ય કહે છે,પરંતુ તેમાંએ દૈવયોગે જળાશય સુકાઈ જતું જોવામાં આવે છે,એટલે એમાં પણ દૈવનું પ્રાધાન્ય આવે છે.દૈવ ને પુરુષાર્થ સાથે મળવાથી જ લોકનું હિત સધાય છે.હું પુરુષાર્થ વડે સલાહના માટે પ્રયત્ન કરીશ,પરંતુ હું દૈવને કોઈ રીતે ફેરવી શકીશ નહિ.(5)

Mar 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-746

 

અધ્યાય-૭૮-અર્જુનનું ભાષણ 


II अर्जुन उवाच II उक्तं युधिष्ठिरेणैव यावद्वाच्यं जनार्दन I तव वाक्यं तुमे श्रुत्वा प्रतिभाति परंतप II १ II

 અર્જુને કહ્યું-હે જનાર્દન,જેટલું કહેવાનું છે તેટલું યુધિષ્ઠિરે કહ્યું જ છે,તો પણ હે પ્રભો,તમારું કહેવું સાંભળીને મને સમજાય છે કે તમે ધૃતરાષ્ટ્રના લોભને લીધે અથવા અમને પ્રાપ્ત થયેલી દીનતાને લીધે 'આ કાર્યમાં સલાહ થવી સુલભ નથી જ'એમ માનો  છો.વળી,તમે પુરુષનાં પરાક્રમને નિષ્ફળ માનો છો અને પૂર્વકર્મના સંયોગ વિના એકલા પુરુષાર્થથી ફળ પ્રાપ્ત થતું નથી એમ કહો છો.એ તમે કહ્યું તેમ જ છે.તો પણ એ ઉપરથી કોઈ વાત અસાધ્ય છે એમ પણ તમારે જાણવું નહિ.(4)

Mar 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-745

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું ભીમનું સાંત્વન 


II श्रीभगवान उवाच II भावं जिनासमानोऽहं प्रणयादिदमब्रुवम् I न चाक्षेपान्न पाण्डित्यान्नक्रोध विवक्षया II १ II

શ્રી ભગવાન બોલ્યા-હે ભીમ,મેં તને જે કહ્યું,તે કંઈ તારો તિરસ્કાર કરવાના હેતુથી,પાંડિતાઈ દેખાડવાના હેતુથી,ક્રોધથી કે 'કંઈક બોલવું' એવી ઈચ્છાથી કહ્યું નથી,પરંતુ તારો અભિપ્રાય જાણવાના ઈચ્છાથી પ્રેમને લીધે કહ્યું છે.હું તારા માહાત્મ્યને જાણું છું,તારું કેટલું બળ છે તે હું જાણું છું અને તારા કર્મોને પણ જાણું છું,એટલે જ હું તારું અપમાન કરતો નથી.તું પોતાના જેટલા ઉત્તમ ગુણો ધારે છે તેના કરતાં હજાર ગણા ગુણો તારામાં છે એમ હું માનું છું.રાજાઓ આદિ સર્વેએ માન આપેલા જે મહાકુળમાં તું જન્મ્યો છે તે કુળને તું લાયક જ છે.(4)