અધ્યાય-૯૫-શ્રીકૃષ્ણની શિખામણ
II वैशंपायन उवाच II तेष्वासीनेषु सर्वेषु तुष्णार्भुतेषु राजसु I वाक्यमभ्याददे कृष्णः सुदंष्टो दुन्दुभिस्वनः II १ II
વૈશંપાયને કહ્યું-તે સર્વ રાજાઓ આસનો પર શાંત થઈને બેઠા,પછી,સુંદર દંતપંક્તિવાળા તથા દુંદુભિના જેવા સાદવાળા,લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના તરફ જોઈને,વર્ષાઋતુના મેઘના જેવી ગર્જનાથી,સર્વ સભાને સંભળાવતા કહેવા લાગ્યા કે-'હે ભરતવંશી રાજા,વીર પુરુષોનો વિનાશ થયા વિના,કૌરવ-પાંડવોની વચ્ચે સલાહ થાય,એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું.મારે તમારા હિતને માટે એ વિના બીજું વચન કહેવાનું નથી.હે રાજા,આજે આ કુરૂકૂળ,સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છે,શાસ્ત્રજ્ઞાન અને સદવર્તનથી સંપન્ન છે અને ગુણોથી ઝળકી રહેલું છે.આવા સદગુણવાળા,કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા,વગેરેથી વિરુદ્ધ વર્તન થાય તે કુરૂકૂળને યોગ્ય નથી.(7)