Apr 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-796

(૯૮) ચિત્તસત્તાનો નિરાસ (અસંભવતા)

શિખીધ્વજ કહે છે કે-ચિત્ત,છે જ નહિ,એવો બોધ,સહેલી રીતે થઇ જાય તેવી કોઈ બીજી યુક્તિ વિષે કહો,અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો,કેમ કે હજી હું સારી રીતે તે સમજ્યો નથી.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,કોઈ દેશ-કાળ કે વસ્તુ-રૂપે અજ્ઞાનથી જે ભાસે છે તે ચિત્ત,
જ્ઞાનથી જોતાં છે જ નહિ,જે કંઈ ચિત્ત-રૂપે ભાસે છે,તે એક સત્ય બ્રહ્મ-સ્વરૂપ જ છે.
તો પછી હું,તમે,તે -વગેરે ચિત્તે કલ્પેલી કલ્પના ક્યાંથી હોય?
ભ્રમ વડે,જે કંઈ આ જગત દેખાય છે,તે બધું એક-બ્રહ્મરૂપ છે અને  દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-પણ બ્રહ્મરૂપ છે,તો પછી તે -બ્રહ્મ,કોનાથી જણાય? અને શી રીતે જણાય?

Apr 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-795

તે બ્રહ્મ કૂટસ્થ (ગતિ-ભેદ-કે જાતિ વગરનું) અદ્વિતીય અને કાર્ય-કારણ રહિત છે,
માટે તે કોઈ રીતે પણ કોઈ કાર્યનું ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી અને તેનાથી સૃષ્ટિ થયેલી જ નથી.
આ જગતમાં નામ-રૂપમાં પ્રીતિને લીધે ચિત્તને રંજન કરનારું આ જે કંઈ દેખાય છે,
તે સર્વ ચૈતન્યમાં એક-રૂપે જ રહેલું છે,છતાં,માયા વડે,કેમ જાણે ઉત્પન્ન  થયું હોય તેમ લાગે છે.
વળી,કોઈ પણ પદાર્થમાં કારણ વિના કાર્ય ઘટતું નથી,
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.