Apr 30, 2012

શ્રીધર સ્વામી નું ચરિત્ર




સંશોધકો ના નિર્ણય મુજબ -શ્રીધર સ્વામી બોપદેવ –ઈ.સ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીમાં થઇ ગયેલા છે.
તેમનો જન્મ દક્ષિણ હિન્દુસ્તાન માં થયો હતો એમ કહેવાય છે. તેઓ એક ઉત્તમ પંડિત હતા.
તેમની વિદ્વતા જોઈ રાજાએ તેમણે આશ્રય આપ્યો હતો. એટલે સંસાર ના જીવન નિર્વાહ  ની ચિંતા નહોતી.
પણ તેમના ચિત્ત ને શાંતિ નહોતી. તેમનું મન ઈશ્વર તરફ લાગેલું હતું. તેમના મન માં ઈશ્વર પ્રાપ્તિ માટે
તીવ્ર ઈચ્છા પેદા થઇ હતી.

તેઓ પરણેલા હતા અને એક પુત્ર પણ હતો. પત્ની પ્રેમાળ અને પતિ પરાયણા હતી.
સંસાર ના ઐહિક સુખો પ્રત્યે ઉદાસી અને ઈશ્વર પ્રાપ્તિ ની આકાંક્ષા અને વૃત્તિ હોવા છતાં –
પત્ની અને બાળક ના ભરણપોષણ ની ચિંતા થી સન્યાસ લેવા માટે તેમનું મન રોકાતું હતું.

આ સમયે તેઓ ગીતાના ૧૩ માં અધ્યાય માં દર્શાવ્યા મુજબ-સંસારના દુઃખ અને દોષોનું નિરીક્ષણ
કરવાની ટેવ તેમણે પાડી હતી.
દૈવ યોગે તેમની પત્ની નું અકસ્માત મૃત્યુ થયેલું. ને નાના બાળકની જવાબદારી તેમના માથે આવી.
બાળ ઉછેર ની કઠિન જવાબદારી વચ્ચે તેઓ ગીતા,ભાગવત અને વિષ્ણુપુરાણ ના અધ્યયન માં નિમગ્ન રહેતા.

ઈશ્વર પ્રાપ્તિ ની અહર્નિશ આકાંક્ષા ને લીધે –સંસાર અને ગૃહસ્થાશ્રમ માં મન ચોંટતું નહોતું. અને સાથે-સાથે
“ઘર છોડીને ચાલ્યો જઈશ બાળક નું શું થશે ?રાજ્યાશ્રય છોડી દઈશ નો નિર્વાહ કેમ  થશે.? “
આવા વિચારો પણ આવતા રહેતા હતા. અને તેથી સંસાર ત્યાગ ના વિચારો માં થી પાછા હટતા હતા.

એક વખતે નદી કિનારે ગીતા નો પાઠ કરતાં -નવમાં અધ્યાયના બાવીસ માં શ્લોક-વાંચતા તે અટકયા.
“ મારા જે ભક્તો અનન્ય ભાવથી મારું ચિંતન કરી મને ઉપાસે છે,તેઓનો નિત્ય નો યોગ ક્ષેમ (જીવન નિર્વાહ),
હું જાતે વહન કરું છું.”

આ શ્લોક ના અર્થ વિષે વિચારતાં સ્વામીજી વિચારતાં હતા કે—શું હું અનન્ય ભક્ત નથી ?મને યોગક્ષેમ ની આટલી
ચિંતા શા માટે થાય છે ? ભગવાન તો કહે છે કે-મારા ભક્તોનો યોગક્ષેમ હું જાતે જ વહન કરું છું.
આ શ્લોક નું તાત્પર્ય તેમને સમજાતું નહોતું,કદાચ આ શ્લોક -ભક્તિ કરવા,પ્રેરવાને માટેજ લખાયેલો હશે!!કે કેમ ?
એવી શંકા તેમના મન માં થઇ.
આમ  મન નું કોઈ સમાધાન ના થતાં,પોથી બાંધી નદીએ થી ઘેર આવ્યા.

વળી પાછા એક દિવસ પોતાનો પુત્ર કોઈને સોંપી તથા તેના વિદ્યાભાસની અને રક્ષણની કંઈ ગોઠવણ કરી,વનમાં ચાલ્યા
જવાનો વિચાર કરતાં હતા અને ગીતાના ઉપલા શ્લોક નો વિચાર કરતાં મકાન ના ઓટલા પર બેઠા હતા, તેવામાં
એક કૌતુક તેમની નજરે પડ્યું. તેના નિરીક્ષણ માં તે મશગુલ થયા.

તેમનાથી થોડેક જ દૂર, છાપરા પરથી ગરોળીનું એક ઈંડું નીચે પડ્યું અને ફૂટી ગયું. તે ફૂટેલા ઇંડામાંથી થોડા
પ્રવાહી પદાર્થ માં એક નાનું સરખું ગરોળીનું બચ્ચું હાલતું,ચાલતું જણાયું. શ્રીધર સ્વામી ત્યાંથી ઉઠીને તેની
નજીક કુતુહુલ પૂર્ણ મનથી તે તરતના જન્મેલા બચ્ચાની હિલચાલ નિહાળવા માંડ્યા. બચ્ચું પોતાનું મોઢું એકસરખું
ઉઘાડ બંધ કર્યા કરતુ હતું,તે જોઈ સ્વામીએ એવું અનુમાન કર્યું અને તેમણે એવું લાગ્યું કે,-આ તરત વહેલા જન્મેલા
બચ્ચાને ઇંડામાંથી બહાર નીકળવાની શક્તિ હજુ આવી નથી –તો પછી એને ખાવાનું ક્યાંથી મળશે ? અને ખાવાનું
નહિ મળે તો પછી થોડીવારમાં ભૂખે થી મરી જશે.જો હું અન્ન ના દાન આપીશ તો તે કાચું ખાઈ પણ કેમ શકશે ?
હવે શ્રીકૃષ્ણ તેની શી વ્યવસ્થા કરે છે –તે તો જોઉં ?!!!

આવા વિચારો કરતાં તે –એકાગ્ર દ્રષ્ટિ થી –એ તરત જન્મેલા જીવ તરફ જોતા બેઠા હતા. એટલામાં  એક ચમત્કાર
થયો.એક માખી ગણગણતી તે ઈંડાના પાતળા પ્રવાહી તરફ આવી અને તે રસ પીવા બેઠી,પણ રસ માં તેની પાંખો ચોંટી
ગઈ એટલે તડફડવા છતાં તે ઉડી શકી નહિ. એટલે તે ગરોળીના બચ્ચા એ આપોઆપ ચાલી આવેલો કે જાણે ઈશ્વરે
મોકલેલો ભક્ષ્ય પદાર્થ (માખી) હડપ કર્યો,તેણે પોષણ મળ્યું,તે ટટ્ટાર થયું અને સુર્ય કિરણોમાં વધારે હાલવા-ચાલવા
લાગ્યું.અને ધીરે ધીરે ચાલતાં-ચાલતાં થાંભલાની કોર માં ભરાયું અને સાંજ પડતા છાપરાના ખૂણામાં લપાયું.

આ બનાવ જોઈ શ્રીધર સ્વામી ના હૃદય માં એકદમ પ્રકાશ થયો, અને ભગવાન ની ચિંતાને માટે –ધન્ય ધન્યતા ના
ઉદગારો નીકળી પડ્યા.
તે વિચારવા લાગ્યા કે-
પ્રભુને જીવાડવા હશે તો અન્ય શું કરી શકનાર છે ? આ ગરોળીનું બચ્ચું માબાપ વિનાનું હતું,પણ તેનું રક્ષણ કરવા માટે
કૃષ્ણ જો અચાનક મદદ મોકલે છે તો પછી –મારા પુત્ર નું શું થશે ?તેની સતત ચિંતા મારે રાખવી શું ડહાપણ ભરેલી છે ?
હું આટલો મોટો પંડિત કહેવાઉં,ઈશ્વરના જ્ઞાન સંબધી,આટલો મોટો ઘમંડ રાખું, પરંતુ નારાયણ ને ઓળખાતો જ નથી!!
એવી ખરેખર સ્થિતિ શું મારી નથી ??
પરમેશ્વરનો મહિમા હું ગાઉં છું,પણ તેના કર્તૃત્વ ની ઓળખાણ હૃદય –મન સાથે નહિ કરતાં –
મારા પોતાના કર્તૃત્વ ની કિંમત વધારે આંકુ છું, એથી શું પરમેશ્વર પર મારો વિશ્વાસ નથી, એવું નથી જણાતું ?

મારા બાળકની સંભાળ રાખવાનો બોજો મારા માથા પર છે તેવું મને લાગ્યા કરે છે,પણ અનાથ ના નાથ,દીનબંધુ,પરમેશ્વરને
મારા કરતાં શું વધુ ચિંતા નથી ?
બાળક માટે જે પરમાત્મા માતાના સ્તન માં દુધની ગોઠવણ પ્રથમથી જ કરી રાખે છે, તે પરમાત્મા ના શરણે જો હું
સર્વ ભાવે જાઉં તો તે મારા અનાથ બાળક નું સંરક્ષણ કરશે જ કરશે. મારે શા માટે નકામી કોઈ ચિંતા રાખવી.
આવા ગરોળીના બચ્ચા જેવાનો યોગક્ષેમ તે પરમાત્મા કરે છે ,તો ભક્ત જનોનો યોગક્ષેમ તે શા માટે જાતે ના વહન
કરે ? ધન્ય છે પ્રભુની લીલા !! મારા હૃદયની સર્વ ગાંઠો છૂટી ગઈ છે. મારા સર્વ સંશયો નષ્ટ થયા છે, હું સર્વ ધર્મો ને
ત્યજીને –તેને-એકને-જ શરણે જાઉં છુ.

આમ શ્રીધર સ્વામી ના મન નું સમાધાન થઇ ગયું. શ્રીકૃષ્ણ નું સ્મરણ કરી ગૃહત્યાગ કર્યો. અને પછી તેઓ કાશી ગયા.
ત્યાં તેમણે ભાગવત,ગીતા વગેરે ગ્રંથો પર ટીકા ઓ રચી. જે આજ લગી પ્રખ્યાત છે.

તેમણે સન્યાસ લીધા પછી,તેમના આશ્રયદાતા રાજાએ,તેમના પુત્ર ને રાજ દરબારમાં લાવી ,તેના પાલન અને શિક્ષણ ની
યોગ્ય વ્યવસ્થા કરેલી.

ઉપરોક્ત ગરોળીના બચ્ચા ના બનાવે –શ્રીધર સ્વામીને ઈશ્વર પ્રત્યે જે અતુટ –અટલ શ્રધ્ધા –ભક્તિ થયેલી તે- તેમના
ગ્રંથો માં અનેક વાર જોવા મળી આવે છે.