Nov 27, 2019

ભાગવત રહસ્ય-૧૨૨

વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષને પકડી –દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે.દેવોને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજીને શરણે ગયા.બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.બધા સાથે કૈલાસમાં આવે છે. 

બ્રહ્માજી કહે છે- યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંશ કરનાર પણ આપ છો.કૃપા કરો.
દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કંઈક કરો.તમે પણ ત્યાં પધારો.
શિવજી ભોળા છે.શિવજીને માન પણ નહિ અને અપમાન પણ નહિ. જવા ઉભા થયા છે.
યજ્ઞમંડપમાં રુધિરની નદીઓ જોઈ વીરભદ્રને ઠપકો આપે છે.”મેં તને શાંતિથી કામ લેવાનું કહ્યું હતું”
વીરભદ્ર ક્ષમા માગે છે. દક્ષના ધડ પર બોક્ડાનું માથું બેસાડવામાં આવે છે.

બોકડાને -અજ-પણ કહે છે. અજ –નો બીજો અર્થ થાય છે-પરબ્રહ્મ.દક્ષના ધડ પર -અજ-નું મુખ મુકવામાં આવ્યું. એટલે કે દક્ષને બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થઇ. અજમસ્તક એટલે બ્રહ્મદૃષ્ટિ.
દક્ષ પ્રજાપતિ જાગ્યો.શિવસ્તુતિ કરીને શિવજીનું પૂજન કર્યું છે.(કનખલ તીર્થમાં દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે.)
દક્ષે કહ્યું- મારી પુત્રીના દર્શન કરાવો. શિવજીએ માતાજીને પૂછ્યું-બહાર આવવું છે ? 
જગદંબા માતાજીએ ના પાડી.તેઓ હિમાલયમાં –પાર્વતી-રૂપે પ્રગટ થયા છે.

શિવ પૂજન કર્યું એટલે શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્યાં પ્રગટ થાય છે.
હરિ-અને હરમાં દક્ષે જે –ભેદ રાખેલો તે હવે દૂર થયો છે.
ભાગવતનો સિદ્ધાંત છે કે હરિ-હરમાં ભેદ રાખનારનું કલ્યાણ થતું નથી. 
હરિ(કૃષ્ણ) અને હર(શિવજી) –બંને એક જ છે.

કેટલાંક વૈષ્ણવોને શિવજીની પૂજા કરતા સંકોચ થાય છે.અરે...વૈષ્ણવોના ગુરુ તો –શિવજી છે. 
ભાગવતમાં એક ઠેકાણે નહિ-અનેક ઠેકાણે વર્ણન આવે છે-કે-ભગવાન શંકર જગત-ગુરુ છે. 
જગતમાં જેટલા ધર્મ-સંપ્રદાય છે,તેના આદિ-પ્રવર્તક તો શિવજી છે.શિવજીની પૂજાથી શું શ્રીકૃષ્ણ નારાજ થતા હશે ? તેઓએ તો કહ્યું છે-શિવ અને મારામાં જે ભેદ રાખે છે-તે નરક્ગામી બને છે.
એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં –હરિ-હર નો અભેદ બતાવ્યો છે.
શિવજી અને વિષ્ણુ –પરસ્પર પ્રેમ રાખે છે-પણ તેમના ભક્તો પરસ્પર પ્રેમ રાખતા નથી. 
હરિ-હર માં ભેદ રાખી ભક્તિ બગાડશો નહિ.શિવ કૃપા વગર-સિદ્ધિ-બ્રહ્મવિદ્યા મળતી નથી.
આ જીવને કામ બાંધી રાખે છે –તેથી જીવને પશુ કહે છે.આ જીવના પતિ-પશુપતિનાથ છે. 
જીવ માત્રને શિવને મળવાની ઈચ્છા થાય છે. શિવ જે જીવ ને અપનાવે તે કૃતાર્થ થાય છે.

અનન્ય ભક્તિનો અર્થ એવો નથી-કે-એક જ દેવ ને માનો અને બીજા દેવને ના માનો.
અનન્ય ભક્તિનો અર્થ છે-કે-અનેકમાં એક જ દેવને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે. સર્વમાં એક ઈશ્વરનાં દર્શન કરો.તમારા ઈષ્ટદેવની સેવા કરો અને બીજા દેવોને વંદન કરો. પોતાના –એક-ઇષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવોઅને બીજા દેવોને –પોતાના ઇષ્ટદેવના અંશ માની વંદન કરવા.

કેટલાંક વૈષ્ણવ કહે છે-અમે શિવજીની પૂજા કરીએ તો-અમને અન્યાશ્રયનો દોષ લાગે.
પણ આ ભૂલ છે.વૈષ્ણવ થઈને શિવજીમાં કુભાવ રાખે તેનું કલ્યાણ થતું નથી.અરે...કોઈ જીવમાં કુભાવ રાખવાથી કલ્યાણ થતું નથી તો પછી શિવજીમાં કુભાવ રાખવાથી ક્યાંથી કલ્યાણ થાય ?
દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ તેમાં ભેદ બુદ્ધિ રાખી,કુભાવ રાખ્યો,તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું.

દક્ષની કથા એટલા માટે આપવામાં આવી છે-કે-ભક્તિ શુદ્ધ રાખજો. ભક્તિમાં રાગ-દ્વેષ ના આવે તેની કાળજી રાખજો.ભક્તિ મનને બગાડવા માટે નથી, ભક્તિ મનને પવિત્ર રાખવા માટે છે.
આ દક્ષ-ચરિત્રનું તાત્પર્ય છે કે –સર્વમાં સમભાવ રાખો. હરિ-હરમાં ભેદ નથી.
   
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE