Feb 27, 2020

ભાગવત રહસ્ય-૨૦૨

બલિરાજાને ત્યાં જવા,લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે.ને પાતાળલોકમાં આવ્યા છે.કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.બલિને આનંદ થયો છે.બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.

માતાજીની પધરામણી થઇ ત્યારથી,ગામ સુખી થયું છે.બધાને આનંદ હતો.પણ માતાજીને આનંદ ન હતો.
મારા નાથ હાથમાં લાકડી લઇ સિપાઈની જેમ પહેરો ભરે છે-.કોઈ એવો અવસર આવે ત્યારે મારા પતિને બંધનમાંથી છોડાવું.

શ્રાવણ મહિનો આવ્યો છે,રક્ષાબંધનનો દિવસ આવ્યો.લક્ષ્મીજીએ તે દિવસે બલિરાજાને કહ્યું,કે આજે હુંમારા હાથે તને રાખડી બાંધીશ. બલિરાજા બહુ ભાગ્યશાળી છે,માતા મહાલક્ષ્મી રાખડી બાંધે છે,અને 
આશીર્વાદ આપે છે. બલિરાજા પ્રણામ કરે છે.
બહેન રાખડી બાંધે એટલે ભાઈનો ધર્મ છે કે-બહેનને કાંઇક આપવું જોઈએ,બહેન ખાલી હાથે ન જાય.
બલિરાજાએ માતાજી ને કહ્યું-તમારી ઈચ્છા હોય તે માગો,જરા પણ સંકોચ રાખશો નહિ.

લક્ષ્મીજીએ કહ્યું-કે-મારા ઘરમાં બધું છે-પણ એક નથી,તેથી હું દુઃખી છું. મારે બીજું કાંઇ ના જોઈએ,પણઆ તારે ત્યાં જે પહેરો ભરે છે,તે જોઈએ છે .તેમને તું મુક્ત કર.
બલિરાજા પૂછે છે-કે તે તમારાં શું સગા થાય ?
લક્ષ્મીજી એ જવાબ આપ્યો-કે-એ મારા સર્વસ્વ છે,મારા નારાયણ છે. હું તેમને-મારા પતિને 
તારા બંધનમાંથી છોડાવવા આવી છું.ત્યાં જ નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે.બલિરાજાને 
અતિ આનંદ થયો છે,બંનેને વંદન કર્યા છે.લક્ષ્મીનારાયણની પૂજા કરી છે.

શુકદેવજી વર્ણન કરે છે-આ રીતે લક્ષ્મીજી દાન લઈને –બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. અને 
નારાયણને વૈકુંઠ ધામ માં લઇ ગયા છે.
મહાલક્ષ્મી,નારાયણ સાથે વૈકુંઠમાં શ્રાવણ સુદ ૧૫ ના રોજ પધાર્યા છે-એટલે –
રામાનુજાચાર્ય પંથના મંદિરો માં તે દિવસે પાટોત્સવ કરવાની રિવાજ છે.

હવે શરણાગતિની કથા શરુ થાય છે.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન,પરમાત્મા કૂર્માવતાર લે કે મત્સ્યાવતાર લે,પણ તે સદા ઈશ્વર જ રહે છે.
કૂર્મ કે મત્સ્યના જે ગુણદોષ છે તે પરમાત્મામાં આવતા નથી.
પણ જીવ જયારે પશુનો અવતાર લે ત્યારે તેનામાં પશુના ધર્મો આવે છે.

સત્યવ્રત (મનુ મહારાજ) કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા.
એકવાર નદીમાં ઉભા રહી –જળતર્પણ કરતા હતા, ત્યારે તેમના હાથમાં માછલો આવ્યો.
તેમણે તે માછલાને પાણીમાં પાછો છોડી દીધો.
માછલાએ કહ્યું-હું તમારાં હાથમાં આવ્યો-એટલે તમારા શરણે આવ્યો છું,મોટા માછલાં મને મારી નાખશે,
મારું રક્ષણ કરો. એટલે રાજાએ તેને કમંડળમાં રાખ્યો. ત્યાં તે મોટો થયો.
માછલાએ કહ્યું,-કે મને વિશાળ જગામાં પધરાવો.ત્યાં પણ તેણે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
સત્યવ્રતને આશ્ચર્ય થયું છે. વિચારે છે-કે આ માછલો સાધારણ નથી,કોઈ મહાન લાગે છે.

માછલાની કથા પાછળ નું રહસ્ય એવું છે-કે-માછલો એ વૃત્તિ છે. વૃત્તિ વિશાળ થાય છતાં બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી એક ઠેકાણે રહી શકે નહિ.માયાના આવરણ નો ભંગ કરવા બ્રહ્માકાર વૃત્તિ આવશ્યક છે. “હું સર્વ માં છું અને સર્વ મારામાં છે” આ જીવના હૃદયમાં ઈશ્વર રહેલો છે-છતાં દુઃખી થાય છે.

દીવાના પ્રકાશે ભાગવતનો પાઠ કરો કે તે જ પ્રકાશના સહારે કોઈ ચોરી કરે,તો પણ દીવાને 
તે બંનેમાં કોઈના પ્રત્યે ભાવ કે કુભાવ નથી.
દીવાનો એક જ ધર્મ છે-કે સર્વ કોઈને પ્રકાશ આપવાનો.પ્રકાશને કોઈની સાથે સંબંધ નથી.


      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE