Feb 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૫

જે શ્રીકૃષ્ણને દેવકીએ નવ મહિના પોતાના પેટમાં રાખ્યા,યશોદાએ પ્રેમથી પાલન કર્યું,-
તે આખરે તો અર્જુન ને જ ઉપયોગી થઇ પડ્યા હોય-તેવું લાગે છે.
અર્જુનને નથી કોઈ સેવા કરવી પડી,કે નથી કોઈ વિનંતી કરવી પડી
પણ તે શ્રીકૃષ્ણ નો કૃપા-પાત્ર બન્યો.
આવો અર્જુન એ જાણે આપણી જ મનોવ્યથા કૃષ્ણ આગળ રજુ કરે છે.

અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે-
હે કૃષ્ણ,આપે જે આત્મજ્ઞાની યોગારૂઢ મહાત્માનું વર્ણન કર્યું, તે મને સમજાતું નથી,
હું તો ખરેખર અયોગ્ય અને અપૂર્ણ છું,તમારા આ ઉપદેશથી કદાચ મારામાં યોગ્યતા આવશે કે કેમ?
તે મારાથી કહી શકાતું નથી, પણ જો તમારાં મનમાં તમે મને આવો આત્મજ્ઞાની બનાવવા માગતા હશો-
તો જ હું પણ આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ અને હું પોતે બ્રહ્મ બની શકીશ.

પણ અત્યારે હાલ તો, આપે જે આત્મજ્ઞાની મહાત્માઓની વાત જે કહી તે હું સમજી શકતો નથી.
તો પણ આ સાંભળવાથી આવા આત્મજ્ઞાનીઓની સ્તુતિ કરવાનું મન થાય છે-અને ખરેખર,
આવી યોગ્યતા વાળા મહાત્માઓના પારાવાર આનંદનો તો પાર જ નહિ હોય !!!
હે પ્રભુ, મારામાં શું આવી યોગ્યતા (આત્મજ્ઞાની થવાની) આવશે ખરી ?

ત્યારે કૃષ્ણ હસીને બોલ્યા-હા તને હું બ્રહ્મસ્વ-રૂપ જ બનાવી દઈશ,
જ્યાં સુધી સંતોષની પ્રાપ્તિ થઇ નથી ત્યાં સુધી ચારે તરફ સુખની અધૂરપ (ન્યૂનતા) જ દેખાય છે- પણ જયારે સંતોષ પ્રાપ્ત થાય પછી સુખની અધૂરપ (ન્યૂનતા) રહેતી નથી.

શ્રીકૃષ્ણને હવે લાગે છે-કે-હવે અર્જુન તૈયાર થયો છે-વિરક્ત થયો છે-એટલે હવે તેને યોગનો અભ્યાસ કેમ કરવો તે શીખવવામાં વાંધો નથી, એટલે હર્ષ સાથે તે કહે છે-કે-

હવે તને જે યોગમાર્ગ હું તને બતાવીશ તે સર્વ માર્ગોનો રાજા છે.
જેના આચરણથી મોક્ષની પ્રાપ્તિ (આત્મજ્ઞાનની પ્રાપ્તિ) થાય છે,
અને તે પ્રવૃત્તિથી શરૂઆત કરી તે નિવૃત્તિ સ્થાને પુરો થાય છે.
આ માર્ગે નિશ્ચળ થઈને ચાલવું જોઈએ. વળી આ માર્ગે ચાલતાં-મનુષ્ય
જે જે સ્થળે જાય છે-તે તે સ્થળ તે પોતેજ બની જાય છે.
આ વાત-ધીરે ધીરે - તારા અનુભવમાં આપોઆપ જ આવશે.

અર્જુન કહે છે-કે આપ મને આ યોગશાસ્ત્ર ક્યારે કહેશો ?
કૃષ્ણ કહે છે-કે-હવે હું તને યોગમાર્ગ સ્પષ્ટતાપૂર્વક કહું છું,કે
જેનો અભ્યાસ કરવામાં આવે તો જ તે ઉપયોગી થાય છે.એટલે યોગમાર્ગનો અભ્યાસ અત્યંત જરૂરી છે.
હવે શ્રીકૃષ્ણ યોગવિદ્યા (યોગશાસ્ત્ર) નો ઉપદેશ કરે છે.

યોગીએ યોગ સાધના માટે
--એકાંતમાં નિવાસ કરીને,
--પોતાનું મન અને પોતાનો દેહ પોતાને આધીન રાખી,
--કશાની  યે આશાના રાખતાં કે
--કોઈ પણ જાતનો સંગ્રહ ના-કરતાં (અપરિગ્રહ-વૃત્તિ)- સતત આત્મધ્યાન કરવું..(૧૦)  


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE