Mar 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૮

અંત (મરણ) સમયે આવી રીતે કારનું સ્મરણ કરવું તે સામાન્ય માનવી માટે સહેલું નથી.
બધા જ લોકો આમ કરી શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ) જીવનભર ઈશ્વરનું સતત સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.જે બીજા કોઈ પણ પદાર્થનો વિચાર નહિ કરતાં-એક ચિત્તથી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણ કરે છે-તેને–અંત સમયે પરમાત્માનું જ સ્મરણ રહે છે-અને-
પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે).(૧૪)

અને એકવાર જે મહાત્માએ પરમાત્માને પામી લીધા છે-તેમને ફરીથી જન્મ (પુનર્જન્મ) નથી.
જન્મ-કે-જે-અશાશ્વત અને દુઃખનું  સ્થાન-છે-તેની પીડામાંથી તે મુક્ત થાય છે.(૧૫)

બ્રહ્મલોક(બ્રહ્માના લોક) –સુધીના બધા લોક-ઉત્પત્તિ અને વિનાશને આધીન હોય છે.
એટલે-બ્રહ્મ લોકમાં આત્માની ગતિ થઇ હોય –તો પણ-ફરીથી જન્મ થઇ શકે છે.
પુણ્યોના આધારે સ્વર્ગ-લોકની પ્રાપ્તિ થાય પણ –
સ્વર્ગલોકમાં પુણ્યો ભોગવીને પુણ્યનો ક્ષય થાય –પછી જન્મ લેવો પડે છે.

બ્રહ્મલોકના બ્રહ્મા –ભલે પોતાના બ્રહ્મત્વનો ઘમંડ (અભિમાન) રાખે-પણ –
તેમને પણ –પુનર્જન્મના ફેરામાંથી નિવૃત્તિ નથી.
માત્ર જયારે પરમાત્મા (નિર્વિકલ્પ-નિરાકાર બ્રહ્મ)ની પ્રાપ્તિ થાય-પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)

હવે પછી ના ૧૭-૧૮-૧૯ શ્લોક માં –બ્રહ્મા (બ્રહ્મદેવ)ના આયુષ્યના સમયની ગણત્રીનું વર્ણન છે.તેમાં 
કહેવાનો મતલબ એવો છે-કે બ્રહ્મદેવની સાથે સાથે ચરાચર (સૃષ્ટિ ) પેદા થાય છે અને-નાશ પણ થાય છે.

જે પ્રમાણે દૂધનું દહી થયા પછી-દૂધનું નામરૂપ નાશ પામે છે-તે પ્રમાણે –
આકાર (જગત)નો નાશ થવા સાથે જગતનું  “જગત-તત્વ” પણ નાશ પામે છે.
પરંતુ જેમાંથી એ જગતની ઉત્પત્તિ થઇ છે-તે સ્થળ તો તેના મૂળ સ્વરૂપ (નિરાકાર) માં જ હોય છે.

આવું જે નિરાકાર  (આકાર વગરનું) મૂળ સ્વરૂપ (પરમાત્મા) ને “અવ્યક્ત” કહેવામાં આવે છે. અને
જયારે તે નિરાકાર,સાકાર બને છે,નામ રૂપ ધારણ કરે છે-ત્યારે તેને (જગતને) “વ્યક્ત” કહે છે.

જેવી રીતે “આકાર” ને જોવાથી અને ધીરે ધીરે જાણવાથી –“નિરાકાર” ની પ્રતીતિ થાય છે. ને
નિરાકાર ને જાણવાથી આકારની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે.
આ “વ્યકત” અને “અવ્યક્ત” એ એક બીજાની પ્રતીતિ કરાવનારાં બે “નામો” જ છે.
વાસ્તવિક રીતે જોવા જતા,આ બંનેમાંથી એકે વસ્તુ નથી.

જે પ્રમાણે દાગીનાના ભાગી નાખેલ આકારને લગડી કહેવામાં આવે છે, પછી ફરીથી તે લગડીમાં થી
દાગીના બનાવતાં લગડી નાશ પામે છે. તે જ પ્રમાણે-
“વ્યક્ત” અને “અવ્યક્ત” આ બંને વિચારો-“બ્રહ્મ” સંબંધી હોવા છતાં, 
તે “બ્રહ્મ” વ્યક્ત કે અવ્યક્ત નથી.તે “બ્રહ્મ” ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી.
જેમ પાણી પર તરંગ ઉત્પન્ન થાય ને નાશ પામે -તો પણ પાણી તો કાયમ જ રહે છે.(૨૦)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત