Apr 12, 2020

ભાગવત રહસ્ય -૨૪૩

દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-દશરથજીનું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.રાજાના મુખ માં મરણ વખતે “રામ”નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.

તે પછી વશિષ્ઠજીએ સેવકો ને આજ્ઞા કરી કે-તમે કૈકેય દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્નને માત્ર એટલું કહેજો કે –“ગુરુજી તમને બોલાવે છે.” તે પછી-રાજાનું મૃત-શરીર તેલની કોઠીમાં સાચવવામાં આવ્યું.
સેવકો દોડતા દોડતા જઈ ને ભરત –શત્રુઘ્નને વશિષ્ઠનો સંદેશો કહ્યો,એટલે તે બંને અયોધ્યા આવવા
નીકળ્યા.રસ્તામાં અનેક પ્રકારનાં અપશુકન થયાં,રથ અયોધ્યામાં આવ્યો છે.

અયોધ્યાનાં બજારો બંધ હતાં,લોકોએ કાળાં વસ્ત્રો પહેર્યા હતા. ભરતજીને ફાળ પડી,ગભરાટ થયો.
વિચારોમાં ને વિચારોમાં જ તે કૈકેયીના મહેલે આવ્યા.
પુત્રના આગમનના સમાચાર સાંભળી કૈકેયી દોડતી આવે છે-ભરત પૂછે છે-મા,મારા બાપુ ક્યાં છે ?
કૈકેયી કહે છે-કે-બેટા,તને શું કહું ?આ બધું રાજ્ય તને મળ્યું છે,તારા પિતાજી સ્વર્ગમાં ગયા છે.
પિતાના મૃત્યુથી ભરત વ્યાકુળ થયા છે. “પિતાની સેવા કરવાનો લાભ મને મળ્યો નહિ “
માતાને પૂછે છે-કે-પિતાજીના મૃત્યુ વખતે મારા રામ ક્યાં હતા ? રામ ક્યાં છે ?

કૈકેયી કહે છે-કે રામ વનમાં ગયા છે. અને બધી વિગતથી વાત કરે છે.
રામજી વનમાં ગયા છે-તે સાંભળી ભરતજીને અતિશય દુઃખ થયું છે,પિતાના મરણનું દુઃખ પણ ભૂલી ગયા.
અતિક્રોધમાં તેમણે કૈકેયીનો તિરસ્કાર કર્યો છે.
“મારા રામને તેં વનવાસ આપ્યો ? વનવાસનું વરદાન માગતાં તારી જીભ કેમ નીચે પડી ના ગઈ ?
તારા મોઢામાં કીડા કેમ ના પડ્યા ? મને અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે તને મારી નાખું,પણ શું કરું,
મેં તને મા કહી બોલાવી છે,એટલે તને મારતો નથી.પણ હવેથી તારું કાળું મોઢું મને બતાવીશ નહિ.”

ભરત ત્યાંથી કૌશલ્યાના મહેલમાં આવ્યા છે.મા નું સ્વરૂપ જોયું જતું નથી.ભરતને મૂર્છા આવી છે.
થોડા સ્વસ્થ થાય છે કે તરત કૌશલ્યાને પૂછે છે-કે- મા, રામ ક્યાં છે ?આ સર્વ અનર્થનું મૂળ હું છું.
કૈકેયીએ આ જે કર્યું તેની મને કાંઇ ખબર નથી.રામના વનવાસ જવામાં જો મારી સંમતિ હોય તો હું
નરકમાં પડીશ, કૈકેયીએ રામને વનમાં મોકલ્યા તેમાં જો મારી સંમતિ હોય તો માતૃ-પિતૃ હત્યા-વગેરે
પાપોનું ફળ મને મળો.મા,હું કશું જાણતો નથી.

કૌશલ્યાએ કહ્યું-કે-બેટા,ધીરજ ધર,શોકનો ત્યાગ કર,રામમાં તારો કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામ તો હસતાં હસતાં વનમાં ગયા,તારા પિતાજીએ દેહત્યાગ કર્યો,મારું નસીબ રૂઠ્યું.
હજુ મારા પ્રાણ કેમ જતા નથી?

બીજા દિવસે પ્રાતઃકાળે દશરથજીના શરીર નો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
એવું લખ્યું છે-કે- દશરથજીની આજ્ઞા હતી કે –રામ જો વનમાં જાય તેમાં ભરતની સંમતિ હોય તો –મારો
અગ્નિ-સંસ્કાર તેને હાથે ના થાય.પણ આમાં –ભરતની સંમતિ તો હોય જ ક્યાંથી ?
અંતિમ વિધિ સર્વ ભરતે કરી છે. રાણીઓને સતી થતાં ભરત રોકે છે.

શ્રાધ્ધાદિક વિધિ થયો.પંદર દિવસ પછી શોકસભા ભરવામાં આવી.વશિષ્ઠે ભાષણ આપ્યું અને તેમાં
રાજા દશરથ અને રામનાં અત્યંત વખાણ કર્યા.અને પછી ભરત ને રાજ્યગાદી પર બેસવાની આજ્ઞા કરે છે.
ભરત રાજા થવા ના પડે છે.ભરતને અનેક રીતે સમજાવવામાં આવે છે.
“ભરત,ચૌદ વર્ષ પછી ,રામ વનવાસમાંથી પાછા આવે ત્યારે તમે તમારી ઈચ્છા મુજબ કરજો.પણ અત્યારે તો આવતી કાલે તમને ગાદી ઉપર બેસાડીશું, અયોધ્યા અનાથ છે –તેને તમે સનાથ કરો”

કૌશલ્યાએ પણ એવી જ આજ્ઞા કરી છે.રામનું સ્મરણ કરતાં કરતાં -ભરત ચોધાર આંસુએ રડે છે, અને જવાબ આપે છે.ભરતજી નું ભાષણ અતિ દિવ્ય છે.ભરત ચરિત્રનું વર્ણન કરતાં તુલસીદાસને “સમાધિ” લાગી છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE