Apr 30, 2020

ભાગવત રહસ્ય -૨૬૦

હનુમાનજીએ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવનમાં છે.દરિયો ઓળંગીને જે જશે તેને જ સીતાજી મળશે.આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે? ત્યારે જાંબવાન ,હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવે છે. (પોતાની શક્તિની ઓળખાણ કરાવે છે)

“રામનામના અને સંયમના બળે દરિયો તો શું સંસાર-સાગર તરી જવાય છે.”
હનુમાનજીને આવેશ આવ્યો છે-તમે કહો તો આખી લંકાને પાણીમાં ડૂબાડી દઉં.
જાંબવાન કહે છે-કે ધીરજથી કામ લેવાનું છે,લંકાને ડૂબાડી દેશો તો સીતાજી પણ ડૂબી જશે.
હનુમાનજીએ રામનું નામ લઇ ને ત્યાંથી ઉડાણ કર્યું છે.રસ્તામાં સુરસા મળી,તેનો નાશ કર્યો છે.

સુરસાએ જીભ છે.એ જીભ જો લૌકિક રસમાં અટવાઈ જાય તો,એ,પ્રભુ-નામસ્મરણનો રસ જાણી શકતી નથી. લૌકિક રસમાંથી વિરક્ત થાય તો જ –જીભ પ્રભુ-નામસ્મરણના રસને માણી શકે છે.

હનુમાનજી સાયંકાળે લંકામાં આવ્યા છે,લંકાને ચારે તરફથી નિહાળે છે.લંકાનો વૈભવ અલૌકિક છે.
તે વખતે લંકિની તેમને અટકાવે છે, હનુમાનજી લંકિનીને મારે છે.
લંકિનીએ કહ્યું કે-મને બ્રહ્માજીએ કહ્યું હતું કે-જયારે તને કોઈ વાનર મુષ્ટિપ્રહાર કરે ત્યારે માનજે કે રાવણ મરશે.તમે લંકામાં જજો, પણ રામને હૃદય માં રાખીને જજો.કારણ રાક્ષસ-રાક્ષસીઓનો વિહાર જોતાં કદાચ તમારી આંખોમાં વિકાર આવશે.

માનવ સમાજ માં રહી માનવ થવું સહેલું નથી,એકાંતમાં બેસી બ્રહ્મનું ચિંતન કરવું કદાચ સહેલું હશે.
વિલાસી લોકો વચ્ચે રહી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ છે.ભલે શરીરથી નહિ પણ આંખથી પાપ થાય છે.
હનુમાનજીને કોણ બોધ આપી શકે ?તેઓ તો સકળ વિષયના આચાર્ય છે.
જેનામાં શક્તિ અને બુદ્ધિનો સમન્વય છે-એનું નામ જ હનુમાન.

ત્યાંથી ઇન્દ્રજીતના મહેલ માં આવ્યા,અતિ સુંદર સુલોચનાને જોઈ તેમને થયું કે –કદાચ આ સીતાજી હશે ?
પણ વિચારે છે-કે- ના-ના,આ દિવાલોમાંથી રામ-રામ નો ધ્વનિ ક્યાં સંભળાય છે ?

એકનાથજી મહારાજે સુંદરકાંડનું ખૂબ સરસ વર્ણન કર્યું છે.
હનુમાનજી -એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. શિવજી એ હનુમાનજી નો અવતાર લીધો,ત્યારે પાર્વતીજીએ પણ અવતાર લેવાની હઠ કરી.શિવજી કહે છે-કે- ના,મારે બ્રહ્મચારી રહેવું છે.
પાર્વતી કહે છે-કે-હું તમારાં વગર રહી શકીશ નહિ.
એટલે શિવજી થયા હનુમાન અને પાર્વતીજી થયાં તેમનું પૂંછડું.

આખી રાત હનુમાનજીએ સૂક્ષ્મ રીતે પરિભ્રમણ કર્યું છે પણ ક્યાંય સીતાજી દેખાતાં નથી.
સવારના સમયે વિભીષણના મહેલ માં આવે છે.જાગતાં વેંત વિભીષણ રામનામનું સ્મરણ અને ઉચ્ચારણ કરે છે. હનુમાનજીને આશ્ચર્ય થયું-કે રાક્ષસોની દુનિયામાં આ કોણ વૈષ્ણવ હશે ?
હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને વિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો.
વિભીષણ પૂછે છે-કે-આપ કોણ છો ?રામ તો નથી ને ?સવારે આપના દર્શન થયા તેથી મારું કલ્યાણ થશે.

હનુમાનજીએ બધી વાત કહી અને પૂછે છે-કે-સીતાજી ક્યાં હશે ?
વિભીષણ –સીતાજી ક્યાં અને કેવી રીતે મળશે તેની માહિતી આપે છે.અને કહે છે-કે- તમારાં દર્શન થયા એટલે હવે જરૂર મને રામ ના દર્શન થશે.હું તો અધમ છું પણ તમારે લીધે રામ મને અપનાવશે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE