May 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭

પાંચ કારણના યોગે “કર્મ”નો વિસ્તાર થાય છે.અને આ પાંચ કારણો જ કર્મના 
હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.

હવે એ પાંચ કારણો કયા કયા છે તે જોઈએ.

(૧) દેહ –એ પ્રથમ કારણ છે.દેહને અધિષ્ઠાન (આધારભૂત શરીર) પણ  કહે છે.
     ઇન્દ્રિયો વડે કષ્ટ સહી પ્રકૃતિ (માયા)ના યોગથી જે સુખ-દુઃખ પેદા થાય છે,તે ભોગવવા માટે
     શરીર સિવાય બીજું કોઈ સ્થળ નથી.બંધન અને મોક્ષની વાટાઘાટ પણ ત્યાંજ થાય છે.
(૨) કર્તા-એટલે જીવ.કે જેને ચૈતન્યનું પ્રતિબિંબ પણ કહે છે. જીવ –કે જે પ્રકૃતિના સમાગમમાં આવે છે–
    અને તેના ગુણો ધારણ કરે છે-તે ગુણો ધારણ કરનાર કરનાર ભોક્તા.
(૩) ઇન્દ્રિયો-બુદ્ધિમાં રહેલું “એક”જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જુદી જુદી રીતે બહાર આવે છે.
(૪) પ્રાણ,અપાન અને બીજા જુદા જુદા(શરીરમાં રહેલા) વાયુઓના જુદા જુદા વ્યાપારો.
(૫) દૈવ-આંખ –વગેરે ઇન્દ્રિયો ના જુદાજુદા દેવતાઓના સમુદાયની અનુકુળતા.(૧૩-૧૪)

શરીર,વાચા અને મનથી જે કંઈ પણ ન્યાય (શાસ્ત્ર મુજબ) અથવા અન્યાય (શાસ્ત્ર વિરુદ્ધ)
કર્મ મનુષ્ય કરે છે- તેના આ પાંચ હેતુઓ હોય છે.
એટલા માટે જે મનુષ્ય આત્માને જ કર્તા તરીકે નિહાળે છે,તે અજ્ઞાની –
શાસ્ત્રના સંસ્કારોથી શૂન્ય (મૂઢ) હોવાને લીધે કંઈ જાણતો નથી..(૧૫-૧૬)

“હું આ કર્મ કરું છું” એવું જેને અભિમાન નથી,અને જેની બુદ્ધિને “કર્મનો વિકાર”થતો નથી 
(બુદ્ધિ લેપાતી નથી)-તે જો સર્વ લોકો નો વધ કરી નાખે –
તો પણ તે વધ કરતો નથી અને વધના “કર્મ”ના દોષથી બદ્ધ થતો નથી.(૧૭)

જયારે સ્વાર્થ અને અહંકાર નષ્ટ થાય છે-અને જયારે વ્યક્તિગત લાભનો ત્યાગ કરવામાં આવે છે-
ત્યારે કર્મો માણસને બાંધી શકતાં નથી.તે જાણે છે-કે-જયારે શરીર નષ્ટ થાય છે
-ત્યારે આત્મા નાશ પામતો નથી.એટલે-તેનામાં કર્તૃત્વભાવ (હું કરું છું) જ નથી.
તેથી-હણવાનું કાર્ય (કૃત્ય) એ જગતની સંવાદિતા  (શાંતિ) માટે જરૂરી બની જાય છે.
તેનામાં કોઈ “કામના” રહી નથી-એટલે-
હણવાનું કાર્ય તે –જગતની શાંતિ અને સંવાદિતા માટે (જગતના સંરક્ષણાર્થે)-
એક ન્યાયાધીશના જેવું કે-એક જલ્લાદ ખુનીને ફાંસીએ ચડાવે –તેવું છે.

જ્ઞાનીની દૃષ્ટિ માં એવી કોઈ વસ્તુ જ નથી હોતી કે જેનો તે નાશ કરે.કારણ કે તેનો –
દ્વૈતભાવ (આત્મા અને પરમાત્મા) લુપ્ત (નાશ) થયેલો હોય છે.
સર્વ જગત તેનામાં  “સ્વ સ્વ-રૂપ”  જ થયેલું હોય છે.
એટલા માટે તેની બુદ્ધિને પાપ-અને પુણ્યનો સ્પર્શ પણ થતો નથી.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE