May 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૦

જ્યાં સુધી કોઈ પણ મનુષ્યને આત્માનું  (પરમાત્માનું) જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે 
–એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.પ્રકૃતિ (માયા) ની શક્તિથી તેના ગુણો(સત્વ.રજસ,તમસ) ને લીધે જુદા જુદા “સ્વ-કર્મો” બન્યા અને તે –
“સ્વ-કર્મો” નું પાલન કરવાને લીધે “સ્વ-ધર્મ” બન્યા.(અહીં “સ્વ” શબ્દ બહુ મહત્વનો છે)
(નાના બાળકને માતા સિવાય કોઈ બીજાનો આધાર નથી,એટલે બાળકનું પાલન કરવું એ માતાનું “સ્વ-કર્મ” છે અને તે જ તેનો “સ્વ-ધર્મ” છે.બાળક મોટો થાય અને તે વખતે વૃદ્ધ માતાની સેવા કરવી તે તેનું “સ્વ-કર્મ” અને “સ્વ-ધર્મ” છે)

જે પરમાત્મા (બ્રહ્મ)ની સત્તાથી સર્વ જીવોની ઇન્દ્રિયોની ક્રિયાઓ (કર્મો) ચાલ્યા કરે છે, અને
જે પરમાત્મા વડે આ સર્વ જગત વ્યાપ્ત થયેલું છે, તે ઈશ્વરને “સ્વ-કર્મ” થી-“સ્વ-ધર્મ” થી
ભજનાર મનુષ્યને –જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય છે.

જેને માટે જે કર્મો કરવાનાં  નક્કી કરેલાં છે-તેના (સ્વ-કર્મના) આચરણથી જ સંસારબંધન
તૂટે છે,માટે- તે સ્વ-કર્મો ગમે તેટલાં કઠિન હોય તો પણ તે કર્મનું જ આચરણ કરવું જોઈએ.
અન્યના ધર્મ (કર્મ) ને ઉત્તમ માની તે કર્મ કરવામાં આવે તો તેથી દુઃખ જ ઉત્પન્ન થાય છે.

જેમ પાણી કરતાં ઘી માં અનેક ગુણો વધારે હોવાં છતાં –
જો માછલીને ઘી માં નાખવામાં આવે તો તે જીવી શકતી નથી-તેમ-
પોતાના સ્વભાવ-પ્રકૃતિ -સ્વ-ધર્મ-જાતિને  અનુસાર જે કર્મ પોતાને હિસ્સે આવ્યું હોય –તેનું જ જે આચરણ
કરે છે-તે શ્રેષ્ઠ છે,તે પાપથી લિપ્ત થતો નથી,અને કર્મના બંધનમાંથી મુક્ત થાય છે. (૪૬-૪૭)

ગમે તે કર્મ કરતી વેળાએ પ્રારંભમાં કષ્ટ પડે જ છે.
તો પછી “સ્વ”-ધર્મ ના આચરણ કરતાં કષ્ટ પડે તો –તેનાથી કંટાળવું શા માટે ?
જેમ ધુમાડા વડે અગ્નિ ઘેરાયેલો હોય છે,તેમ,સર્વ કર્મના આરંભો દોષથી ઘેરાયેલા હોય છે.
માટે પોતાના “સ્વ-કર્મ” (સ્વ-ધર્મ) માં દોષ દેખાય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહિ.(૪૮)

એવી સ્વ-કર્મરૂપી મહા-પૂજાથી સંતુષ્ટ થયેલો ઈશ્વર,
તામસ અને રાજસ –ગુણોનો નાશ કરી,મનુષ્યની વાસનાને સત્વ-ગુણના માર્ગે લાવે છે.
અને મનુષ્યને ભાન કરાવે છે-કે-આ સંસાર અને સ્વર્ગ પણ વિષ (ઝેર) સમાન છે.
વૈરાગ્યના પાઠ ભણાવી,નિવૃત્તિ માર્ગ (સંન્યાસ માર્ગ) બતાવી,સત્ય જ્ઞાન સુધી પહોંચાડે છે.

આમ જેની બુદ્ધિ ક્યાંય આસક્ત થતી નથી,જેને ઇન્દ્રિયોને જીતી લીધી છે,અને જે નિસ્પૃહ છે-
એવો મનુષ્ય નિવૃત્તિ માર્ગ (સંન્યાસ યોગ) થી ઉત્કૃષ્ટ જ્ઞાન (સત્ય) ને પ્રાપ્ત થાય છે.(૪૯)

જે (સત્ય) જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે,
તે (સત્ય) જ્ઞાનનો પણ નાશ થઇ જાય એવી જે સ્થિતિ-કે-
તેના કરતાં વિશેષ ઉત્તમ કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી-અને તેથી –
એવી સ્થિતિ ને –“પરમ સિદ્ધિ”- કે -“જ્ઞાન સિદ્ધિ”-કે-“નૈષ્કર્મ્ય સિદ્ધી”-કે- “જ્ઞાન નિષ્ઠા” કહે છે.

જેવી રીતે સૂર્યોદય થતાંની સાથે–અંધકાર –જ પ્રકાશમાં રૂપાંતર પામે છે.
તેવી રીતે  અજ્ઞાનના અંધકારને હટાવી,તથા-જ્ઞાનને પણ હટાવી,અને જ્ઞાન-સિદ્ધિ જેને પ્રાપ્ત
થયેલી છે-કે જેને જ્ઞાનની પરમ સીમા પણ કહે છે-તેને –જ “બ્રહ્મ” ની પ્રાપ્તિ થાય છે.

અને આ બ્રહ્મ ની પ્રાપ્તિ કેવા પ્રકારે(કેવી રીતે) થાય છે-તેનો ક્રમ બતાવ્યો છે.(૫૦)

હવે પછીના શ્લોક-૫૧ થી શ્લોક-૫૫ માં આ ક્રમનું વર્ણન છે.
જ્ઞાનેશ્વરે અહીં અતિ વિસ્તૃતતાથી-સરળ રીતે –આ પાંચ શ્લોકનું વર્ણન કર્યું છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE