Apr 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૭

ગુણોનાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે.
(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્માને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછીના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીરમાં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવને -શરીરની મમતા કે
“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.

પણ સત્વ-ગુણના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતા
સુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિમાં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.
આવી રીતે-સત્વગુણ-જીવાત્માને સુખ તથા જ્ઞાનનું બંધન લગાડીને પોતાના કાબુમાં કરે છે..(૬)

રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,
મનની “ઇચ્છાઓ” પવનની જેમ અહીં તહીં ફરવા લાગે છે.
દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્રના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેને
તૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણાના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.

થોડા પૈસા આવીને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગની પ્રાપ્તિના ધાંધીયામાં લાગી જાય છે.
પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.

આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિમાં ભૂસકો મારવા માટે પણ 
આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણાના સપાટામાં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળને પોતાના 
ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્માને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .(૭)

તમોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.
નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્માને બાંધે છે.(૮)

જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પડવા માંડતા-આકાશમાં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે –
   જીવાત્માના  મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈ
   સારું દેખાતું નથી.(૯-૧૦)

હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે  દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?
તેના વિષે વર્ણન કર્યું છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE