Apr 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૮

જે પ્રમાણે-વસંત ઋતુમાં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ 
દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે---તે જીવાત્માનું જ્ઞાન અંતરમાંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? 
તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાનને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના   જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્માની
  ઇન્દ્રિયોની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મનને વિષયોનો
   કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાનમાં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યોને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવના લોક)ની પ્રાપ્તિ થાય છે.

જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.
    જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની  કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે
   અગાધ કૃત્યોને તે પોતાના હાથમાં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છાની દોડ આગળ હોય છે.અને તેની પ્રવૃત્તિને માટે સકળ વિશ્વ પૂરું પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મોમાં આસક્ત એવા જનો(મનુષ્યો)માં જન્મે છે.

જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગનો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિમાં જન્મે છે.(૧૧ થી ૧૫)

એમ કહેવાય છે-કે-
--સત્વગુણનું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણનું ફળ દુઃખ છે.રજોગુણમાંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)

પણ,
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાનનો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.

જે પ્રમાણે નટ (નાટકનો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રીના “ગુણો”માં ફસાતો નથી,
એટલે કે તે પોતાના  પુરુષત્વને ભૂલતો નથી, અથવા-તો-
જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણોમાં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.

પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,
અને તે –સ્થળેથી (સ્વરૂપ-વિષયક અહંકારથી)  નિરીક્ષણ કરીને તે કહે છે-કે-
“હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”

આત્મા (પરમાત્મા)ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.
અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.

બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશથી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.
અને આ “જ્ઞાન” જે જીવાત્માના હૃદયમાં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણોથી પર) છે.(૧૯)  


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE