Jun 5, 2020

ભાગવત રહસ્ય -૨૯૬

સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે.
પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે.
ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે.

પંચમહાભૂતના બનેલા શરીરથી જીવ પરમાત્માની સેવા સર્વ સમયે કરવાને લાયક નથી.તેથી-
એક “ભાવાત્મક શરીર”ની મનથી કલ્પના કરી,અને મનથી તે શરીરથી ગોકુલ,મથુરા વૃંદાવન જવાનું.
ભાવના કરવાની-કે-યશોદાની ગોદમાં બાલકૃષ્ણલાલ વિરાજેલા છે,અને ગોપીઓ દોડતી જાય છે- અને 
લાલાના દર્શન કરે છે.એક એક લીલાનું ચિંતન કરવાનું છે.
મંદિરમાં શ્રીકૃષ્ણનાં દર્શન કર્યા પછી-આંખ બંધ કરીને –તે શ્રીકૃષ્ણના સ્વ-રૂપને અંદર જોવાનું છે.

જ્ઞાનમાર્ગ માં ભેદ (આત્મા અને પરમાત્મા)નો નિષેધ કરવામાં આવે છે.
ભક્તિમાર્ગમાં ભક્ત ભગવાન સાથે એક બને છે,ભક્તિના આરંભ માં ભેદ ( હું અને શ્રીકૃષ્ણ) છે.
પણ પછી ધીરે ધીરે ભક્ત અને ભગવાન એક બને છે.
ધ્યાનમાં –દર્શનમાં તન્મયતા થાય –અને દેહભાન ભુલાય તે નંદ-મહોત્સવ સાચો.
ઈશ્વરના ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી.

આગળ કથા આવી ગઈ કે –વસુદેવ અને દેવકીએ અગિયાર વર્ષ સુધી સતત ધ્યાન કરેલું.
ધ્યાન કરનારો જયારે “હું ધ્યાન કરું છું” તે પણ ભૂલે છે,ત્યારે ફક્ત “એક ઈશ્વરભાવ” બાકી રહે છે.
અને –આ જ “અદ્વૈત” (એક) છે.(આત્મા-પરમાત્માની ઐક્યતા)
આમ ધ્યાનમાં-દર્શનમાં-ભક્તિમાં-તન્મયતા થાય ત્યારે-
મન પ્રભુ-પ્રેમમાં તરબોળ બને છે,અને તે મન પર સુખ-દુઃખ (દ્વંદો)ની અસર થતી નથી.

જેમ હોસ્પિટલમાં ડોક્ટરો ઓપરેશન કરતી વખતે શરીરના જે ભાગ પર ઓપરેશન કરવાનું હોય છે-
ત્યાં કાંઇક દવા કે ઇન્જેક્શન લગાવે છે –
તેથી તે ભાગ બહેરો બને છે,અને તે ભાગને કાપે તો પણ ખબર પડતી નથી,
તેમ મન જયારે પ્રભુપ્રેમમાં તન્મય બને-ત્યારે જાણે બહેરું થઇ જાય છે,અને સુખ-દુખની અસર થતી નથી.

નરસિંહ મહેતાની વૃદ્ધાવસ્થામાં –તેમના એક ના એક યુવાન-પરણેલા પુત્રનું મરણ થાય છે,પણ મહેતાજીના મન પર તેની અસર થઇ નહોતી.તેમના પત્ની મરણ પામ્યાં તો મહેતાજીએ લખ્યું-કે 
“ભલું થયું,ભાંગી જંજાળ,સુખે ભજીશું શ્રી ગોપાલ” મહેતાજીને એવું “એક તત્વ” (ભક્તિનું) મળ્યું હતું કે –આવા અતિ ભયંકર દુઃખના પ્રસંગો તેમના મનને અસર કરી શકતા નહોતા.

હૃદયમાં શ્રીકૃષ્ણ (પરમાત્મા) પધારે તો –સુખ-દુઃખની અસર થતી નથી.
સામાન્ય મનુષ્ય સુખ-દુઃખમાં ભાન ભૂલે છે.તે સંસારના વિષયોને મહત્તા આપે છે,ત્યારે દુઃખી થાય છે,
કારણ કે લૌકિક સુખ વધારે ટકતું નથી.લૌકિક સુખમાં જયારે મીઠાશ લાગે ત્યારે ભગવાન ભુલાય છે,
જ્ઞાનીઓ તેથી સુખ ને દુઃખ અને દુઃખ ને સુખ સમજે છે.અને એમ સમજનાર –આનંદનો-પરમાત્મા નો અનુભવ કરી શકે છે.સુખ-દુઃખ મનને થાય છે-આત્માને નહિ.એટલે જ-આમ-જો-મન-પ્રભુ-પ્રેમમાં –ભક્તિમાં-ધ્યાનમાં-દર્શન માં –તળબોળ બને તો-મન પર સુખ-દુઃખ ની અસર થતી નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE