Oct 16, 2020

ભાગવત રહસ્ય -૪૧૯

છેવટે ભગવાન કહે છે કે- ચાલો હું તમને દર્શન આપું છું,એટલે તમારું કામ પુરુ થશે ને ?
ગોપીઓ કહે છે કે-અમારું બીજું પણ એક કામ તમે કરો.
શ્રીકૃષ્ણ કહે છે –તમારી બીજી શી ઈચ્છા છે તે પણ તમે કહો, હું તમારી ભાવના પૂર્ણ કરીશ.
ગોપીઓને ભલે શ્રીકૃષ્ણનાં દર્શન થતાં નથી,પણ તેમને લાગી રહ્યું છે,શ્રીકૃષ્ણ અમારી સન્મુખ ઉભા છે અને અમને પૂછે છે,કે “તમારી શી ઈચ્છા છે?”
ગોપી કહે છે કે-હે કાન્ત,તમારા વરદ હસ્ત (હાથ) માં એવી દિવ્ય શક્તિ છે કે,તે અમારા અભિમાનને દૂર કરશે,માટે બીજી કોઈ ઈચ્છા નથી પણ તમારા મંગલમય હસ્તને અમારા માથા પર પધરાવો.

શ્લોકો ૫-૬-૭-૮ માં ચાર માગણીઓ ગોપીઓ કરે છે.
પાંચમા શ્લોકમાં કહે છે કે-તમારો વરદ હસ્ત અમારા માથા પર પધરાવો.
છઠ્ઠા શ્લોકમાં કહે છે કે-અમને દર્શન આપો.સાતમાં શ્લોકમાં કહે છે-કે-તમારા ચરણને અમારા હૃદયમાં સ્થિર કરો.અને આઠમા શ્લોકમાં કહે છે –અમને અધરામૃતનું દાન કરો.

ગોપીઓ પાંચમા શ્લોકમાં ભગવાનને બે સંબોધન કરે છે. વૃષ્ણિધુર્ય (ઉદાર) અને કાન્ત.
શ્રીકૃષ્ણ અતિ ઉદાર છે,બીજા દેવો આપતાં પહેલાં બહુ વિચાર કરે છે,સંકોચ રાખીને આપે છે.
શ્રીકૃષ્ણ ને આપતાં જરાય સંકોચ થતો નથી,જેના પર તેઓ પ્રેમ કરે છે તેમને તે દ્વારકાનાથ બનાવે છે.
સુદામાને સિંહાસન પર બેસાડી,પોતે ચરણ પાસે બેઠા છે.પ્રેમ હોય ત્યાં તે પોતાના સ્વ-રૂપનું દાન કરે છે.
એક મુષ્ટિ પૌવા લઇને દ્વારકાની સંપત્તિ આપી છે.

યમરાજાથી આ સહન થયું નહિ,તે દ્વારકા આવ્યા છે અને શ્રીકૃષ્ણને કહે છે કે -આ ચોપડા સંભાળી લો,
કર્મ પ્રમાણે ફળ આપવું તે કાયદો હવે રહ્યો નથી,તમે જ કાયદાનો ભંગ કર્યો છે,પણ તમને કોણ કહી શકે?
સુદામાએ કંઈ પુણ્ય કર્યું નથી પણ  તેને,તમે  ઇન્દ્રના ઘરમાં પણ નથી તેટલી સંપત્તિ આપી.
તમે અતિ ઉદાર છે,પણ કર્મની મર્યાદા તૂટે છે.
શ્રીકૃષ્ણે કહ્યું કે –તું જોતો નથી,જે મને આરોગાવે તેને જગતને જમાડવાનું પુણ્ય મળે છે.
સુદામા એ મને જમાડ્યો છે.એ પુણ્યનું આ ફળ છે.

બીજું સંબોધન કર્યું છે “કાન્ત.”  “ક”શબ્દ નો અર્થ થાય છે સુખ.
જ્યાં સંસારસુખની સમાપ્તિ થાય છે તેને કાન્ત કહે છે.
સંસારનો એવો નિયમ છે કે-જે સુખ ભોગવે તેને અનિચ્છા એ પણ દુઃખ ભોગવવું પડે છે.
પણ જે આનંદનો અનુભવ કરે તે કદી દુઃખી થતો નથી. આનંદ એ શ્રીકૃષ્ણનું સ્વ-રૂપ છે.
શ્રીકુષ્ણ સિવાય આખું જગત દુઃખરૂપ છે.

ગોપીઓ  શ્રીકૃષ્ણનો વરદ હાથ પોતાના માથા પર પધરાવવાનું કહે છે,કે જેથી બુદ્ધિમાં કોઈ વિકાર હશે,
તો તેનો વિનાશ થશે.બુદ્ધિમાં સૂક્ષ્મ રીતે વિકાર રહે છે, શ્રીકૃષ્ણના હાથમાં એવી શક્તિ છે કે-
તે વિકાર-વાસનાઓનો નાશ કરે છે,બુદ્ધિને નિષ્કામ બનાવે છે અને પરમ-પ્રેમનું દાન કરે છે.

પાંચમા શ્લોકનો સાર છે –“શરણ-ભક્તિ” આગળના શ્લોકમાં ભગવાનના ગુણો અને તેમના પ્રભાવની
પ્રતીતિ થતાં ગોપીઓનું હૃદય ભગવાનનું શરણ યાચે છે.પ્રભુ પ્રેમમાં ગોપી આગળ વધે છે.અને
સર્વ ભયમાંથી મુક્ત થવા શરણની યાચના કરે છે.

પ્રભુના વરદ હસ્તને ચાર વિશેષણ આપ્યા છે.જે ચાર પુરુષાર્થ (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) સિદ્ધ કરી આપે છે.
કર્મ,ભક્તિ અને જ્ઞાન એ ત્રણેનો અહીં સમન્વય થયો છે.
તનનું ભોજન છે અન્ન,બુદ્ધિનું ભોજન છે જ્ઞાન અને મન નું ભોજન છે ભક્તિ.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE