Oct 25, 2020

ભાગવત રહસ્ય -૪૨૬

પરમાત્માની આંખો સદા-સર્વદા પ્રેમથી ભીની છે.કનૈયાની નજર અક્રૂરજી પર પડી છે. “આ જીવ મારે શરણે આવ્યો છે.હવે આને ખાત્રી થઇ છે કે,આ સંસારમાં સાર નથી.સંસારમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી” અક્રૂરજીની ઈચ્છા હતી કે પરમાત્માની નજર મારા પર પડે અને મારા માથે હાથ પધરાવે.પ્રભુએ તેમની ઈચ્છા પૂર્ણ કરી છે,અને અક્રૂરના માથે હાથ પધરાવ્યો છે.અને કહે છે-ઉઠો,ઉઠો.

અક્રૂર વિચારે છે કે-ઉઠો,ઉઠો કહે છે પણ હજુ મને “કાકા” કહેતા નથી.એક વાર મને કાકા કહીને બોલાવે તો મારું મરણ સુધરશે.મારા જેવા અધમ,નાલાયક ને કાકા કહેતાં પ્રભુ ને કદાચ શરમ આવતી હશે.પણ મારી
ઈચ્છા છે,અને તે ભગવાન નહિ તો બીજું કોણ પુરી કરશે ?તેઓ મને કાકા કહીને બોલાવશે ત્યારે જ ઉઠીશ.નહિતર અહીં જ પડી રહીશ.ત્યાં સુધી મારે પાણી પણ પીવું નથી.

ભગવાન કોઈને જલ્દી કહેતા નથી કે તું મારો છે.કારણ મનુષ્ય મંદિરમાં જાય ત્યારે ભગવાનને કહે છે કે-નાથ, હું તારો છું. અને ઘરમાં આવે ત્યારે બબલીની મા ને કહે છે કે-તું મારી અને હું તારો છું.
કહે છે કે-“પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ના સમાય”

ભગવાને અક્રૂરના મનનો ભાવ જાણ્યો,ભગવાને વિચાર્યું કે-અક્રૂર જો રાજી થતા હોય તો 
તેમને કાકા કહેવામાં મને શું વાંધો છે? જીવ જે ભાવથી મને ભજે છે,તે જ સંબંધે હું તેને ભજું છું.
હું જીવનો પુત્ર છું,જીવનો પિતા છું,અને કોઈ ધારે તો ધણી થવા પણ તૈયાર છું.
ઈશ્વર મોટા છે,કારણ તેમને કોઈ જાતનો દુરાગ્રહ નથી.જીવને સંપત્તિ,માન મળે એટલે દુરાગ્રહી બને છે.

શ્રીકૃષ્ણે અક્રૂરને માથે હાથ પધરાવ્યો અને કહ્યું કે –કાકા,હવે ઉઠો. અક્રૂરને ઉઠાવી આલિંગન આપ્યું છે.
અક્રૂરને આનંદ થયો છે.”મને ભગવાને અપનાવ્યો છે,મારો બ્રહ્મ સંબંધ થયો છે.”
શુકદેવજી કહે છે કે-ભગવાન અમાની છે તે સર્વને માન આપે છે,
કોઈ પણ જીવ શુદ્ધ ભાવથી ભગવાનને શરણે આવે છે,ત્યારે પરમાત્મા તેને અપનાવે છે.

ત્યાંથી સર્વ નંદજીને ઘેર આવ્યા છે.નંદબાબાએ અક્રૂરનું સ્વાગત કર્યું,ભોજન થયું અને બેઠા છે.
નંદબાબાએ કુશળ સમાચાર પૂછ્યા અને અક્રૂરને આવવાનું કારણ પૂછ્યું.અક્રૂરે હકીકત જણાવી.
નંદબાબા ભોળા હતા,ભોળાને એમ લાગે છે કે દુનિયામાં બધા મારા જેવા ભોળા છે.
તે કંસનું કપટ સમજી શક્યા નહિ. નંદબાબા ખુશ થયા છે,સમજે છે કે-હું કંસને ખંડણી (ટેક્ષ) ભરું છું,
એટલા માટે મારા કનૈયા માટે સોનાનો રથ મોકલ્યો છે,કંસને મારા કનૈયા પર કેટલો પ્રેમ છે !

નંદબાબા જાણતા નથી કે વિશ્વાસ ઉત્પન્ન કરવા જ કંસે પોતાનો ખાસ સોનાનો રથ મોકલાવેલો.
નંદબાબાએ કહ્યું કે –મારી પણ ઈચ્છા હતી કે કનૈયાને મથુરા લઇ જાઉં.એક ભૂદેવે કહ્યું હતું કે-
અગિયાર વર્ષ પછી લાલાનો ભાગ્યોદય છે.આવતી કાલે અમે જરૂર આવીશું.
નંદ બાબાએ આજ્ઞા કરી છે કે-મથુરા જવાની તૈયારી કરો.

ગ્વાલ-મિત્રો ને ખબર પડી,કે કનૈયો મથુરા જવાનો છે,એટલે તે બધાં આવીને નંદબાબાને કહે છે-કે-
બાબા,અમે પણ સાથે આવીશું,અમે સાથે નહિ આવીએ તો ત્યાં કનૈયાને કોણ સાચવશે ?

બાળકોનો એવો પ્રેમ હતો,કે બાળકો માનતા હતા કે કનૈયાને અમે સાચવીએ છીએ.
જગતને સાચવનાર માલિકને સાચવનારને આ ગોપ-બાળકો અતિ-પ્રેમથી સાચવે છે!!
નંદબાબા એ કહ્યું કે-તમારાં,માત-પિતા રાજા આપે તો સવારે વહેલા આવજો.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE