Oct 27, 2020

ભાગવત રહસ્ય -૪૨૭

બધાંને આનંદ થયો છે પણ યશોદાજીએ જયારે સાંભળ્યું કે-કનૈયો મથુરા જવાનો છે.ત્યારે મા ને અતિ દુઃખ થયું છે.તે નંદબાબાને પૂછે છે કે-શું તમે આવતી કાલે મારા લાલાને મથુરા લઇ જવાના છો ? નંદબાબા એ કહ્યું-કે-કંસ રાજાએ સોનાનો રથ કનૈયા માટે મોકલ્યો છે.યશોદાજી કહે છે કે-રથ જોઈ ભુલા પડશો નહિ,કંસ કપટી છે,તેને કપટથી રથ મોકલ્યો છે.આ અક્રૂર ભલે તમને સારો લાગતો હોય પણ મને તો તે ક્રૂર જેવો લાગે છે.

કનૈયાને ન લઇ જાવ.કનૈયો જશે તો ગોકુલ ઉજ્જડ થઇ જશે.કનૈયો ના દેખાય તો ગાયો ખડ ખાતી નથી.તમને બહુ ઈચ્છા હોય તો દાઉજીને લઇ જજો.પણ મારા શ્રીકૃષ્ણને લઇ ના જશો.મને તે પ્રાણ કરતાં પણ પ્યારો લાગે છે.તેને જોયા વગર મને ચેન પડતું નથી.

મને એમ લાગે છે કે તે એકવાર અહીંથી જશે પછી પાછો આવશે નહિ.મે સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રીઓ
કાળો જાદુ જાણે છે,તે મારા લાલા પર કોઈ કાળો જાદુ કરશે તો તે અત્રે પાછો નહિ આવે.
વળી ત્યાં મારા લાલાની સંભાળ કોણ રાખશે? મારો લાલો એવો શરમાળ છે,કે જમતી વખતે પણ તે કાંઇ
માગતો નથી.હું તેને મનાવીને ખવડાવું ત્યારે તે થોડું ખાય છે.ત્યાં તેને કોણ સમજાવશે? કોણ મનાવશે ?
મને બે દિવસ પહેલાં ખરાબ સ્વપ્ન આવેલું કે મારો લાલો મને છોડીને જાય છે.
મહેરબાની કરી,લાલાને મારી આંખથી દૂર ના કરો.વૃદ્ધાવસ્થામાં હું તેને આશરે જીવું છું.તેને હું નહિ મોકલું.

નંદબાબા યશોદાજીને સમજાવે છે કે-કનૈયો હવે અગિયાર વર્ષનો થયો, કેટલાં વર્ષ તેને ઘરમાં રાખીશ?
હવે તેને બહારની દુનિયાનું જ્ઞાન થવું જોઈએ.મારે કનૈયાને હવે ગાયો પાછળ મોકલવો નથી,
મારે તેને હવે ગોકુલનો રાજા બનાવવો છે.કંસ મોટો રાજા છે, તેની સાથે ઓળખાણ થાય તો ભવિષ્યમાં 
કામ લાગશે. વળી કંસે લાલાને માટે જ રથ મોકલ્યો છે,અને લાલાને ના લઇ જાઉં તો તેને ખોટું લાગશે,
અને કદાચ કંસ વેર કરશે.હું સાથે જવાનો છું,બે ચાર દિવસ મથુરામાં ફેરવી ને પાછો લઇ આવીશ.
અમે બે-ત્રણ દિવસમાં તો પાછા આવી જઈશું,તું ચિંતા નહિ કર.

નંદજીને ખબર નથી કે મથુરામાં ગયા પછી શું થવાનું છે ?તે યશોદાજી ને અનેક રીતે આશ્વાસન આપે છે.
તેમ છતાં યશોદાજી વ્યાકુળ થયા છે,ફરી સમજાવે છે,પણ નંદજી માનતા નથી.
રાત્રે બધાને નિંદ્રા આવી પણ યશોદાજીને નિંદ્રા આવતી નથી“આજે મારી સાથે લાલો સૂતો છે અને આવતીકાલથી નહિ હોય” આવતી કાલે કનૈયો જવાનો છે પણ માને આજે ચેન પડતું નથી.
“એ બહુ ભોળો છે,એ બહુ પ્રેમાળ છે,આવતીકાલે તે જશે તો તેના વગર હું કેવી રીતે જીવી શકીશ ?”

છેવટે મા એ પથારીનો ત્યાગ કરી આંગણામાં આવી ને બેઠા છે,વિરહની “સંભાવના” થી વ્યાકુળ બન્યા છે.
“કોઈ કોઈ વખત તો તે બહુ હઠ કરે છે,ત્યાં તેને મનાવશે કોણ ?”
યશોદાજી આંગણામાં બેસીને કનૈયાની વાતો સંભાળીને રડે છે.

મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ જાગ્યા,અને પથારીમાં જોયું તો મા ના મળે.કનૈયો મા ને શોધવા નીકળ્યો છે.
કનૈયો મા ની બહુ સંભાળ રાખે છે.ઘરમાં મા કેમ દેખાતાં નથી? જુએ તો મા આંગણામાં બેસી ને રડે છે.
લાલાએ જઈ ને મા ના ગળામાં હાથ નાખ્યો છે,પોતાના પીતાંબરથી મા ના આંસુ લૂછે છે.
“મા,તું રડીશ નહિ,તું રડે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે.મા,તું રડે છે તે તારા લાલા થી બિલકુલ સહન થતું નથી.મા,શું તને પેટમાં દુઃખે છે ?આજે તને શું થાય છે ?તું કેમ રડે છે ?મા,તું જે કહે તે હું કરવા તૈયાર છું.”

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE