Dec 9, 2020

ભાગવત રહસ્ય -૪૭૧

દ્વારપાળ મહેલની અંદર ગયો  અને શ્રીકૃષ્ણને વંદન કરીને બોલ્યો કે-માલિક,બહાર એક બ્રાહ્મણ આવ્યો છે,ફાટેલી પોતડી પહેરી છે,શરીરના હાડકાં દેખાય છે,શરીર અત્યંત દુર્બળ છે,આંખો ઊંડી ઉતરી ગઈ છે,પણ મુખ પર દિવ્ય તેજ છે.અમે તેમનું સન્માન કરીએ તો તે કાંઇ લેતો નથી,અને કહે છે કે-હું માગવા નહિ પણ મળવા આવ્યો છું.મારે માલિકના દર્શન કરવાં છે,હું માલિકનો મિત્ર છું,મારું નામ સુદામા છે.

અને......જેવા આ ત્રણ અક્ષરનો શબ્દ-સુદામા-પ્રભુ ને કાને પડ્યો ને પ્રભુ એકદમ પલંગ પરથી કૂદ્યા છે,માલિકને આસપાસનું કશું ભાન રહ્યું નથી,કોઈ ક્ષોભ,કોઈ સંકોચ યાદ રહ્યો નથી,પોતાનું ઐશ્વર્ય ભૂલી ને,તે જાણે એક સામાન્ય માનવી બની ગયા છે,એક મિત્ર બની ગયા છે અને તે દોડ્યા છે,દ્વારપાળ જોડે આગળની વાત સાંભળવા પણ રોકાયા નથી.કે નથી આસપાસ જોયું.
ભગવાન દોડતા દોડતા સુદામાને મળવા ગયા છે.બૂમો પાડતા જાય છે-ક્યાં છે? મારો સુદામા ક્યાં છે?

રુકિમણીજીને અને સર્વને આશ્ચર્ય થયું છે.
ઘણા મળવા આવી ગયા પણ માલિક કોઈ દિવસ આવા પાગલ સરીખા થઇ સામે મળવા દોડ્યા નથી.
આજે તો પલંગમાંથી કૂદકો મારીને શ્રીકૃષ્ણ દોડતા સુદામાને સામે મળવા ગયા છે.
અને જ્યાં સુદામાને જોયા,કે સુદામાને ભેટી પડે છે.સુદામાને છાતી સરસો ચાંપ્યો છે.
સુદામાની દશા જોઈ ને માલિકને અતિશય દુઃખ થયું છે,આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે.

પ્રભુ વિચારે છે-કે-
“મારા મિત્રની શું આ દશા?આ તો મારી ભૂલ છે.આવા પવિત્ર બ્રાહ્મણ ઘેર તેની ખબર લેવા મારે જવું જોઈતું હતું, તેને મળવા જઈ મારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું,ઉલટું તે મારે ઘેર આવ્યો”
એટલે કહે છે કે-“મિત્ર તું આવ્યો તે સારું થયું,મને અતિ આનંદ થયો છે.”
સુદામા વિચારે છે કે-મને કનૈયાએ યાદ રાખ્યો છે.તે મને ભૂલી ગયો નથી.આટલો બધો વૈભવ હોવાં છતાં,
મારા માટે તે કશાની યે પરવા કર્યા વગર દોડતો આવ્યો.

શ્રીકૃષ્ણ હાથ પકડી ને સુદામાને મહેલ ની અંદર લઇ ગયા છે અને પલંગ પર સુદામાને બેસાડી,
પોતે તેના ચરણમાં નીચે બેઠા છે.!!!!
આ દ્રશ્યની કલ્પના કરવા જેવી છે.
જે પલંગ પર બેસવાનો શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈનો અધિકાર નથી તે પલંગમાં સુદામા બેઠા છે અને
સુદામાના ચરણ આગળ,ત્રણે લોકનો ધણી (માલિક) જમીન પર બેઠો છે.

માલિક રુક્મિણીજીને કહે છે કે-મારે મારા મિત્રની પૂજા કરવી છે,જલ્દી તૈયારી કરો.
રુક્મિણીજી જળ લેવા ગયા છે.
રુક્મિણી જળ લાવે તે પહેલાં સુદામાનાં ચરણ માલિક પોતાની આંખમાંથી નીકળતા આંસુઓથી પખાળે છે.
પ્રેમની આ પરાકાષ્ઠા છે.!!!!........

કવિઓ આ પ્રેમની પરાકાષ્ઠાના પ્રસંગમાં પાગલ થઇને તેનું વર્ણન અનેક કવિતાઓ રચીને કર્યું છે.
નરોત્તમ કવિ એ કહ્યું છે કે-
દેખી સુદામા કી દીન દશા,કરુણા કરકે કરુણાનિધિ રોયે,
પાણી પરાત કો હાથ છૂયો નહિ,નૈનનકે જલસે પગ ધોયે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE