Dec 1, 2020

ભાગવત રહસ્ય -૪૬૩

ગીતામાં પણ મુખ્ય ”અનાશક્તિ” નો બોધ આપેલો છે.પણ અનેક લોકો પોતપોતાની રીતે જુદુંજુદું કહે છે.કેટલાક તેને કર્મપ્રધાન,તો કેટલાક ભક્તિપ્રધાન તો કેટલાક તેને જ્ઞાનપ્રધાન કહે છે. પણ,વાસ્તવમાં,ગીતામાં ત્રણેય (કર્મ-ભક્તિ અને જ્ઞાન) પ્રધાન છે.
શંકરાચાર્યજી એ કહ્યું છે કે-ચિત્ત (મન) ની એકાગ્રતા માટે કર્મ (ઉપાસના-યોગ) આવશ્યક છે,કર્મ કરો અને તે જો ભક્તિપૂર્વક કરો (હું અને મારો ઈશ્વર=દ્વૈત=ભક્તિ) તો ચિત્ત જલ્દી એકાગ્ર થાય છે.ઈશ્વર માં ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન મળવાનું જ.
જ્ઞાન એ પરમાત્મા નો અનુભવ સિદ્ધ કરી આપે છે.આત્મા-પરમાત્માની એકતા સિદ્ધ કરી આપે છે.

આ પ્રમાણે ભગવાનનાં લગ્નની કથા નું વર્ણન કર્યા પછી,
એક અધ્યાય માં ભગવાનની અનાસક્તિ બતાવી છે.
કોઈ ને શંકા જાય કે સોળ હજાર રાણીઓ સાથે લગ્ન કરે તો શ્રીકૃષ્ણ માં વિકાર-વાસના છે કે શું?
પરંતુ શ્રીકૃષ્ણે બતાવ્યું છે કે-સર્વ સાથે સ્નેહ કરો,પણ કોઈના માં આસક્ત ના બનો.
વાસનાના ગુલામ ના બનો. શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમનો આદર્શ જગતને બતાવે છે.

પતિ-પત્ની એકબીજા સાથે પ્રેમ કરે પણ કામાંધ બની શરીરમાં આસક્ત ના બને.આધીન ના બને.
આધીનતા રડાવે છે.ઘરના કોઈ જીવમાં મનુષ્ય આસક્ત બને તો પરિણામમાં દુઃખ છે.
શ્રીકૃષ્ણ સર્વ રાણી સાથે પ્રેમ કરે છે પણ કોઈમાં આસક્ત નથી,તેમની ભોગ-બુદ્ધિ નથી.

શ્રીકૃષ્ણની સેવા કરતાં રુક્મિણીને એક વખત અભિમાન થયું કે-હું સર્વ રાણીઓમાં શ્રેષ્ઠ છું,સુંદર છું,
શ્રીકૃષ્ણનો પ્રેમ મારામાં વધારે છે,શ્રીકૃષ્ણ મારામાં આસક્ત છે.
પ્રભુને ખબર પડી કે રુક્મિણીમાં અભિમાન આવ્યું છે,એટલે પ્રભુએ લીલા કરી છે.

જીવ ભાન ભૂલે ને અભિમાનમાં આવે એટલે પરમાત્મા આફત મોકલે છે.જીવને અભિમાન થાય ત્યારે
પ્રભુ ભય ઉત્પન્ન કરે છે.પરમાત્મા ભયકૃત (ભય કરનારા) છે અને ભયનાશક પણ છે.
ભગવાને આજે રુક્મિણીનો ગર્વ ઉતારવા નક્કી કર્યું. શ્રીકૃષ્ણ કહે છે કે-
“દેવી તમે સુંદર છો,પણ તમારા સૌન્દર્યની કદર તો કોઈ કામી રાજા-મહારાજા જ કરી શકે, હું તો રહ્યો
કેવળ ગોપાલ.વૃંદાવનમાં ગાયો પાછળ રખડીને હું મોટો થયો,મોટા રાજાઓ મારી સાથે વેર રાખે છે તેથી
મારી જન્મભૂમિ છોડી અહીં દ્વારકામાં રહું છું,હું બીકણ છું,મને લોકો રણ છોડી ને ભાગનાર રણછોડ કહે છે.”

શ્રીકૃષ્ણની ભાષા અહીં દ્વિઅર્થી છે.રાજા એટલે રજોગુણમાં ફસાયેલો વિલાસી જીવ.
પ્રભુને વિલાસી  લોકો ગમતા નથી,તેમનાથી તે દૂર ભાગે છે.વિલાસી લોકો લક્ષ્મીને પ્રેમ કરે છે અને
લક્ષ્મીપતિ (નારાયણ) જોડે વેર કરે છે.

કૃષ્ણ કહે છે કે-તમે ગોરાં અને હું કાળો,તમે રાજકન્યા અને હું ગોપાલ.તમારું કજોડું થયું છે.
તમે માને શા માટે પરણ્યાં? મારા ઘરમાં તમને સુખ મળશે નહિ,મને કશા સુખની અપેક્ષા નથી,
હું ઉદાસી છું.મારો આનંદ--નથી સોનાની દ્વારિકામાં કે નથી કોઈ સ્ત્રીમાં.
મને કોઈ સ્ત્રી પ્રિય નથી,મારો વંશ વધે તેવી મને જરાય ઈચ્છા નથી.

શ્રીકૃષ્ણ ની આ “સંકલ્પ-સૃષ્ટિ” (સંકલ્પથી બનાવેલી) છે.
એટલે તો જયારે તેમણે મહાપ્રયાણ કર્યું,ત્યારે સર્વનો વિનાશ કર્યો છે.
અને તે વખતે પણ એવી જ અનાસક્ત સ્થિતિ હતી કે
જયારે સોળ હજાર રાણીઓ હતી અને સોનાની દ્વારિકા પણ હતી.
સોનાની દ્વારકા ડૂબ્યા પછી જ ભગવાન ઉદ્ધવને બોધ આપે છે.
“આ જગત મિથ્યા છે,ને બ્રહ્મ સત્ય છે.”  આ અનાસક્તિનો બોધ છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE