Nov 30, 2020

ભાગવત રહસ્ય -૪૬૨

રુક્મિણીજીને ત્યાં પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે.પ્રદ્યુંમને શમ્બરાસુરનો વધ કર્યો.
શ્રીકૃષ્ણનું બીજું લગ્ન સત્યભામા સાથે,ત્રીજું લગ્ન જાંબવતી સાથે,ચોથું યમુનાજી,
પાંચમું મિત્રવૃંદા,છઠ્ઠું લક્ષ્મણાજી,સાતમું નાગ્નજીતી અને આઠમું ભદ્રા સાથે થયું છે. 
આ પ્રમાણે આઠ લગ્નો થયાં છે.શ્રીકૃષ્ણ ની આઠ પટરાણીઓ છે.

થોડો વિચાર કરવામાં આવે તો ધ્યાનમાં આવે છે કે –પ્રકૃતિ અષ્ટધા છે (ગીતામાં અષ્ટધા પ્રકૃતિ નું વર્ણન છે) અષ્ટ (આઠ) પટરાણીઓ તે અષ્ટધા પ્રકૃતિ છે.પ્રકૃતિના માલિક ઈશ્વર છે.પ્રકૃતિ ઈશ્વર ને આધીન છે.જયારે જીવ એ પ્રકૃતિને આધીન બને છે (પ્રકૃતિનો દાસ બને છે) તેથી બંધનમાં આવે છે.

પછી સોળ હજાર રાજકન્યાઓ સાથેના શ્રીકૃષ્ણના લગ્નની કથા આવે છે.
વેદની સોળ હજાર ઋચાઓ (મંત્રો-શ્લોકો) માં ગૃહસ્થાશ્રમનું વર્ણન છે.
વેદો પરમાત્માનું વર્ણન કરતાં થાકી ગયા પણ પરમાત્માનો અનુભવ થયો નહિ,ઈશ્વરનો પત્તો લાગ્યો નહિ,
એટલે આ વેદની ઋચાઓ કન્યાઓ થઇ અને શ્રીકૃષ્ણને વરવા આવેલી.
વેદના મંત્રો કેવળ શબ્દ-રૂપે છે તેવું નથી,દરેક મંત્રના ઋષિ અને દેવ છે.
આ વેદમંત્રના દેવો તપશ્ચર્યા કરી થાકી ગયા પણ બ્રહ્મ-સંબંધ થયો નહિ,
એટલે તેઓ રાજકન્યા રૂપે આવ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરવા આવ્યા છે.

(વેદના ત્રણ કાંડ છે અને એક લાખ મંત્રો છે.કર્મકાંડ ના ૮૦ હજાર મંત્રો બ્રહ્મચારીઓ માટે,
ઉપાસનાકાંડ ના ૧૬ હજાર મંત્રો ગૃહસ્થાશ્રમીઓ માટે અને ૪ હજાર મંત્રો સન્યાસી અને વાનપ્રસ્થીઓ 
માટે છે-જે વિરક્ત છે એને માટે વેદાંતનું જ્ઞાન છે.જે વિલાસી છે તે વેદાંતનું તત્વજ્ઞાન સમજી શકતો નથી)

ભૌમાસુરે સોળ હજાર કન્યાઓને કેદમાં રાખેલી.ભૌમાસુરનો વધ કરી શ્રીકૃષ્ણે તેમને છોડાવી.
પરંતુ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી એટલે જગતનો કોઈ પુરુષ તેમની સાથે લગ્ન કરવા તૈયાર 
થતો નથી.રાજકન્યાઓ દીન બની ને શ્રીકૃષ્ણના શરણે આવી છે.નિરાધારના આધાર શ્રીકૃષ્ણ છે.
શ્રીકૃષ્ણે તે સોળ હજાર રાજકન્યાઓ જોડે લગ્ન કર્યા છે.

જરા વિચાર કરવાથી ખ્યાલમાં આવશે –કે-વેદ-મંત્રોને ભૌમાસુરે કેદમાં રાખેલા.
ભૌમ એટલે શરીર.શરીર ભૂમિમાંથી ઉત્પન્ન થયું છે અને ભૂમિમાં મળી જાય છે.
શરીર સાથે રમવામાં સુખ માને તે કામી-વિલાસી જીવ તે ભૌમાસુર.
આવા જીવ ના હાથમાં વેદ-મંત્રો જાય તો તે પોતાની વાસના પુરી કરવા મંત્રના અર્થના અનર્થ કરે છે.
અવળા અર્થો કાઢી ને પોતાની વાસના સંતોષાય પોતાને લાભ થાય તેવું કરે છે.

વેદનું તાત્પર્ય ભોગમાં નથી,પણ ત્યાગમાં છે.વેદને નિવૃત્તિ પ્રિય છે.
મનુષ્ય એકદમ સુખનો ત્યાગ કરી શકતો નથી,એટલે ધર્મની મર્યાદામાં રહી,વિવેકથી પ્રવૃત્તિ,અર્થોપાર્જન,
કામસુખ ભોગવે તે માટે કોઈ કોઈ જગ્યાએ સુખ (ભોગ) ભોગવવાનું કહ્યું છે.
પણ સાથે સાથે તેવી પણ આજ્ઞા છે કે-વિવેકથી,સુખને (ભોગને) ભોગવીને,ધીરે ધીરે સંયમને વધારી, 
ભોગોને ત્યાગી ને –મનુષ્ય,અધ્યાત્મ માર્ગ તરફ વળે.
વેદોમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બંનેનું વર્ણન છે,પણ તાત્પર્ય છે નિવૃત્તિ ધર્મ બતાવવાનો.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE