Nov 29, 2020

ભાગવત રહસ્ય -૪૬૧

આ બાજુ દાઉજીને ખબર પડી કે શ્રીકૃષ્ણ, રુક્મિણીનું હરણ કરવા ગયા છે,તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને યાદવ સેના સાથે તેમણે રાતો રાત પ્રયાણ કર્યું. સમયસર પહોંચી ને શિશુપાલ તથા જરાસંઘ ની સેના સાથે યુદ્ધ કરીને તેમની સેના છિન્ન-ભિન્ન કરી નાંખી .શિશુપાલ,જરાસંઘ અને બીજા ભાડુતી રાજાઓ પણ જાન બચાવવા ભાગી ગયા છે.

રુક્મિ શ્રીકૃષ્ણ જોડે યુદ્ધ કરવા આવ્યો,તો કૃષ્ણે તેને રથના થાંભલા જોડે બાંધ્યો છે.શ્રીકૃષ્ણ વિચારે છે કે-મોટાભાઈનો મારા પર કેવો પ્રેમ છે !! મે તો તેમને કહેલું  નહિ પણ તેમને ખબર પડી અને મારા માટે દોડતા આવ્યા છે..દાઉજી  અને રુક્મિણીના કહેવા થી શ્રીકૃષ્ણ રુક્મિ ને છોડી દે છે.
રુક્મિણી સાથે પ્રભુ દ્વારકા આવ્યા છે,પ્રભુનું હવે લગ્ન થવાનું છે.શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે-
મારાં માતા-પિતા તો નંદ-યશોદા છે,તેમના ખોળામાં હું રમતો હતો,મારી મા દ્વારકા ના આવે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહિ. ઉદ્ધવજી પાસે પત્ર લખાવી ને ગોકુલ મોકલ્યો છે.

ભાગવતમાં શ્રીકૃષ્ણના વ્રજ-આગમનની વાત નથી.પણ ઈતર ગ્રંથોમાં કથા આપી છે.
ગોકુલમાં નંદ યશોદાએ –લાલાના આગમનની આશા છોડી નથી.ત્યાં કનૈયાનો પત્ર આવ્યો. અને
લાલાના લગ્ન ની વાત સાંભળી.બધાં ખુશ થયાં છે.નંદ બાબા વિચારે છે કે-લાલો રૂબરૂ ગોકુલ કેમ આવતો નથી? તે જ્યાં સુધી ગોકુલ ના આવે ત્યાં સુધી મારે દ્વારકા જવું નથી.અમે વ્રજવાસીઓ અભણ છીએ,કોઈ
દિવસ વ્રજ છોડીને બહાર ગયા નથી.તેના લગ્નના દિવસે અહીં બ્રાહ્મણોને જમાડીશ.
આવું વિચારી નંદબાબાએ પત્રનો જવાબ આપ્યો નથી.

લગ્ન નો સમય નજીક આવ્યો પણ ગોકુલમાંથી કોઈ જવાબ આવ્યો નહિ એટલે શ્રીકૃષ્ણ સમજી ગયા. અને શ્રીકૃષ્ણ-બલરામ ગોકુળ આવ્યા છે.વ્રજમાં પ્રવેશતાં પહેલાં સોનાનો મુગુટ ઉતારી,મોરપીંછ પહેર્યું,
ગળામાં ગુંજાની માળા પહેરી,અને યશોદામાના આંગણા માં આવી ઉભા રહ્યા છે.મા ને પ્રણામ કર્યા છે.
મા ને જોતાં શ્રીકૃષ્ણ ના અને શ્રીકૃષ્ણ ને જોતાં મા ના આંખમાં થી અશ્રુ ની ધાર થઇ છે.
મા એ લાલા ને છાતી સરસો લગાવ્યો છે અને હીબકાં ભરે છે.બંનેમાંથી કોઈ કશું બોલી શકતું નથી.

છેવટે શ્રીકૃષ્ણે કહ્યું કે –મા મને આવતાં વિલંબ થયો,તેની હું ક્ષમા માગું છે,પણ અહીંથી ગયા પછી એવો ફસાયો,કે અહીં આવવાની ફુરસદ મળી નહિ.પણ મા,તું દ્વારકા નહિ આવે ?મા,હું તને લેવા આવ્યો છું,
તું નહિ આવે તો તારો લાલો કુંવારો રહેશે.મા તું મારી સાથે જ ચાલ.

શ્રીકૃષ્ણ-બલરામ ને સાથે બેસાડી અને મા એ નજર ઉતારી છે,ગોકુળમાં મોટો ઉત્સવ થયો છે.
અંતે નંદ-યશોદા,ગોપ-ગોપીઓની (વ્રજવાસીઓની) સાથે દ્વારકા પધાર્યા છે.
રુક્મિણીના પિતા ભીષ્મક પણ ત્યાં આવ્યા છે અને માધોપુરમાં મુકામ કર્યો છે.જ્યાં શ્રીકૃષ્ણ-રુક્મિણીનું
લગ્ન થયું છે. બ્રહ્માજીએ લગ્ન નું મુહૂર્ત આપ્યું છે ને અંતરપટ ધર્યો છે.
દુર્વાસાના શાપ થી દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મિણી સાથે વિરાજતા નથી,પણ માધોપુરમાં વિરાજે છે.

દ્વારકા પાસે ગોપી તળાવ છે ત્યાં ગોપીઓ એ મુકામ કરેલો.
શ્રીકૃષ્ણ (નારાયણ) અને રુક્મિણી (મહાલક્ષ્મી) ની જોડીના દર્શન કરતાં ગોપીઓ આનંદિત થઇ છે.
અતિ આનંદમાં શ્રીકૃષ્ણ નું ધ્યાન કરતાં તેમના શરીર પીગળી ગયા છે ને શ્રીકૃષ્ણનાં ચરણારવિંદમાં
લીન (સમાઈ) ગઈ છે.ગોપીઓનાં શ્રીઅંગ માંથી માટી થઇ તેને લોકો ગોપી-ચંદન કહે છે.
ગોપીચંદનનો મોટો મહિમા છે.મહાપ્રભુજીની ત્યાં બેઠક છે,મહાપ્રભુજી એ ત્યાં ભાગવતનો પાઠ કર્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE