Dec 11, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-8-Akashar-Brahm-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-8-અક્ષર-બ્રહ્મ-યોગ



અર્જુન કહે : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ
એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?(૧)


હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે ,
એવો યોગી મરણ સમયે તમને કેવીરીતે જાણે છે ? (૨)


શ્રી ભગવાન કહે છે : બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે.
પ્રાણીની ઉત્પતિ ને લીધે જે વિસર્ગ, દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન, તેને  કર્મ કહે છે.(૩)


હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત  પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે.
આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.(૪)


વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે,
તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.(૫)


અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે,
તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.(૬)


માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર,
એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી. (૭)


હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી
ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે, તે તેજોમય પુરુષમાં મળી જાય છે. (૮)


સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને
તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરેછે.(૯)   


અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને
ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે ,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.(૧૦)


વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે 
એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત 
પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.(૧૧)


જે  ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના 
મધ્યભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.(૧૨)


બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે 
તે ઉત્તમ ગતિને પામેછે.(૧૩)


હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે ,
તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.(૧૪)


એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત 
એવા જન્મને પામતા નથી.(૧૫)
હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.
પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)


કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી  
તેટલા જ  સમય ની રાત્રિ આવે છે. આ વાત રાત્રિ-દિવસને  જાણનારા મનુષ્યો જ જાણે છે.(૧૭)


દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે.
અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લય પામે છે.(૧૮)


હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે
અને રાત્રિ આવતાં લય પામે છે. અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.(૧૯)


સર્વ ચરાચરનો  નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી ,
એ, તે અવ્યક્તથી પર , ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.(૨૦)


જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.
જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.(૨૧)


હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે,
તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૨)


હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી
અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, તે કાળ હું તને કહું છું.(૨૩)


અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર
બ્રહ્મવેત્તાઓ  બ્રહ્મ ને જઈ મળે છે.(૨૪)


ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ  તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી
ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન  જતાં પાછા વળે છે.(૨૫)


આ જગતની  શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર 
યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી  જનાર યોગીને પાછા ફરવું પડે છે.(૨૬)


હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી.
એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.(૨૭)


આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની  પ્રાપ્તિ કહી છે, તે 
સર્વ પુણ્ય પ્રાપ્તિનું  અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે.(૨૮)


અધ્યાય-૮-અક્ષર-બ્રહ્મ-યોગ સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE