Dec 17, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-14-Gunatraya Vibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-14-ગુણયત્ર-વિભાગ-યોગ




શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.(૧)


આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે
પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)


હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું.
આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.(૩)


હે કાન્તેય  ! સર્વ યોનિમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા 
હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)


હે મહાબાહો  ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.
તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.(૫)


હે અનધ   ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત
સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે.  


હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે.
તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.(૭)  


હે ભારત  ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. 
તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮)


હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને
તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.(૯)


હે ભારત ! રજોગુણ,  સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે.
તમોગુણ,  સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦)


દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)


હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા
એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)  


વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ  એ  તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)


સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે
મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)


રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.
અને  તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનિમાં જન્મ થાય છે.(૧૫)


પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)


સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)


જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને
તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)


જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને 
અતીત સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.


જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી
જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)


અર્જુન કહે : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? 
તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)


શ્રી ભગવાન કહે : હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી
અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)
જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે,
પોતે કંઈ જ કરતો નથી.(૨૩)


જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે,
પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪)


જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને
જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.(૨૫)


જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી
બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.(૨૬)


કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)


અધ્યાય-૧૪-ગુણયત્ર-વિભાગ-યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE