Jun 29, 2021

Gujarati-Ramayan-Rahasya-02-ગુજરાતી-રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુનો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.
પ્રભુનું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.રામજીના ચરણમાં આનંદ,રામજીના મુખમાં આનંદ,રામજીના હાથમાં આનંદ.....રામજીનું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.
આનંદ સિવાય બીજું કશું નથી.કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે." ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. 
ઈશ્વરથી અલગ-ઈશ્વરથી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.
વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.આ જ અદ્વૈત સિદ્ધાંત છે.

આનંદ,ઈશ્વર,રામ,કૃષ્ણ-એ બધાં એક ઈશ્વરનાં જ નામ છે.
સોનાની લગડીમાંથી એક મૂર્તિ બનાવી,તો મૂર્તિના હાથ,પગ,આંખ,મુખ,-બધે સોનું જ છે,
જેમ,સોનું એક જ છે,અલગ નથી,તેવી રીતે ઈશ્વરનું સ્વ-રૂપ આનંદ-મય છે.

તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે-ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ?
ત્યારે તુલસીદાસે જવાબ દીધો કે-“હિય નિર્ગુણ-નયનનિ સગુણ”
(ઈશ્વર મારા હૈયામાં નિર્ગુણ-નિરાકાર છે,પણ મારી આંખોમાં સગુણ-સાકાર છે.)
અંતર્યામી-રૂપે પ્રભુ હૃદયમાં તો બેઠો છે,પણ તેનાથી આંખને સંતોષ થતો નથી,
આંખને તો પ્રભુની રૂપ-માધુરી જુએ તો જ સંતોષ થાય,તૃપ્ત થાય.

અને જીભની વાત તો વળી અનોખી જ છે.
તુલસીદાસ કહે છે –“રસના સુનામ” (જીભે રામ-નામ છે.)
સગુણ અને નિર્ગુણ એ દાબડીના બે ભાગ છે,અને એ દાબડીમાં સંતાડેલું રત્ન તે રામ-નામ છે.
ઈશ્વર ને નામ દઈને પોકારો તો તે-જેવો હશે તેવો આવીને પ્રગટ થશે.ને કહેશે-
'હું તો સગુણ-નિર્ગુણ બેયનું સ્વાગત કરું છું,બેય મારા આદરણીય અતિથી છે.'

જે જ્ઞાની છે તે સમુદ્રમાં મોટી લેવા ડૂબકી મારતા મરજીવા જેવો છે,
તે રામ-ચરિત્રના ઊંડા જળમાં ડૂબકી મારે છે,ને પોતાને ભગવાનમાં ડૂબાડી દે છે,
ત્યારે,જે ભક્ત છે તે સ્વ ભગવાનને પોતાની અંદર ખેંચી લાવે છે,
તે રામ-ચરિત્રની મધુરતાનો આનંદ માણે છે.ભક્ત ધારે તે રૂપ ભગવાન પાસે લેવડાવે છે.

કાકભુશુંડિ,શ્રીરામના ઉદરમાં અનંત બ્રહ્માંડોનું દર્શન કરે છે,સો કલ્પ સુધી તે બ્રહ્માંડોમાં વિહરે છે,
ને તે પછી જયારે બહાર આવે છે ત્યારે માત્ર બે ઘડી જ વીતી હોય છે!!
આનો અર્થ એ કે-દેશ અને કાળ જેની આપણે ખૂબ માથાફોડી કરીએ છીએ-તે તત્વતઃ કશું નથી.
ગમે તે દેશમાં કે ગમે તે કાળમાં રામજી નાં દર્શન થઇ શકે છે.શ્રીરામ શાશ્વત છે.

PREVIOUS PAGE            INDEX PAGE                NEXT PAGE