Jul 10, 2021

Gujarati-Ramayan-Rahasya-11-ગુજરાતી-રામાયણ-રહસ્ય-11

રામજી મર્યાદા પુરુષોત્તમ છે.અને રામાયણ એ મર્યાદા સંહિતા છે.
રામજીએ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યોને મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે સંપ્રદાયમાં માનતો હોય કે,કોઈ પણ દેવ –દેવી કે ભગવાનમાં માનતો હોય,પણ રામજીના જેવી મર્યાદાનું પાલન,કે રામજીના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિનો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.રામજીનું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ”નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજીના જેવું રાખવામાં આવે,અને રામ-નામનો જપ કરવામાં આવે તો,તાળવામાંથી અમૃત ઝરે છે.

શ્રી રામનો અવતાર રાક્ષસોનો સંહાર માટે થયો નથી,
પણ મનુષ્યોને ઉચ્ચ આદર્શો બતાવવા માટે થયો છે.રામજી સર્વ સદગુણોનો ભંડાર છે.
પોતે પરમાત્મા હોવા છતાં તેઓ સામાન્ય જીવનની બધી મર્યાદાઓનું બરાબર પાલન કરે છે.
એટલે જ વાલ્મીકિને શ્રીરામની સાથે સરખાવવા જેવું કંઈ જડતું નથી.
તેમણે ખૂબ વિચાર કર્યો કે રામને કોની સાથે સરખાવું? રામને શી ઉપમા આપું?
પણ કોઈ ઉપમા જડી નહિ.ત્યારે કહે છે કે-“રામના જેવા જ રામ છે.”
રામ-રાવણનું યુદ્ધ પણ મર્યાદાઓના પાલન સાથેનું એવું નીતિ-શુદ્ધ છે,કે વાલ્મીકિજી કહે છે કે-
રામ-રાવણ નું યુદ્ધ તો રામ-રાવણના યુદ્ધ જેવું જ છે.

રામજીનું સંપૂર્ણ જીવન અનુકરણ કરવા માટે છે.કૃષ્ણ જીવન અનુકરણ માટે નથી.
કૃષ્ણ જીવન તેમની લીલાઓ નું સ્મરણ કરી તન્મય થવા માટે છે.
ગોકુલ-લીલામાં પુષ્ટિ છે.રામ-લીલામાં મર્યાદા છે,
રામજીની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય છે-એવું નથી.
રામજીનું સમગ્ર વર્તન અનુકરણીય છે. શ્રીરામમાં સર્વ એકે એક સર્વ -સદગુણો ભરેલા છે.

આજકાલ મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે છે અને બીજી બાજુ પાપ કરવાનું ચાલુ રાખે છે
સરવાળે કંઈ હાથમાં આવતું નથી,રામજી સ્થિર-દૃઢ-સમ-ભાવ રાખવાનું કહે છે.
શ્રીરામ સદા માત-પિતાની આજ્ઞા માં રહેતા,સદા માતા-પિતા,ગુરૂ,વડીલો ને પ્રણામ કરતા.
પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખે છે.
આજકાલ તો છોકરાઓને બાપની મિલકત લેતાં સંકોચ-શરમ આવતી નથી,

પણ બાપને વંદન કરતાં શરમ આવે છે.

રઘુનાથજીની ઉદારતા,તેમની દીન-વત્સલતાનો જગતમાં જોટો જડે તેમ નથી.
રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી.તેથી મહાત્માઓ રામ-ચરિત્રને અલૌકિક અને દિવ્ય કહે છે.
રામજી મહાન પિતૃભક્ત છે.તેમનું વચન રાખવા રાજપાટ મૂકીને વનમાં ગયા,તેમણે પિતાના વ્યક્તિત્વનું 

બધું માન્ય કર્યું પણ એક વસ્તુ તેમણે પિતાની જેવી નથી સ્વીકારી-અને તે તે -પિતાનું બહુ-પત્નીત્વ.
મુખથી નહિ પણ આચરણથી તેમણે એ બતાવ્યું છે.મુખથી બોલે તો પિતાનું અપમાન થાય.
એટલે પૂર્ણ શુદ્ધ આચરણ કરી પોતાનું અજોડ એકપત્ની-વ્રત અને પિતૃભક્તિ બતાવી છે.

વાલ્મિકીજી એ રામાયણ-કાવ્ય લખ્યું તેમાં ઇતિહાસ મુખ્ય છે.
તુલસીદાસજી એ રામચરિત-માનસ કાવ્ય લખ્યું તેમાં ભાવ મુખ્ય છે.
ઇતિહાસ મનુષ્યના જ્ઞાનની વૃદ્ધિ કરી શકે પણ અંતઃકરણને સંતોષ અને શાંતિ આપી શકતો નથી.
શાંતિનો અનુભવ માત્ર ભાવ-દૃષ્ટિથી જ થઇ શકે. એ કામ તુલસીદાસજી એ પુરુ કર્યું છે.
વાલ્મીકિ અવતારમાં અધૂરું રહેલું કાર્ય તેમણે તુલસીદાસજી રૂપે પુરુ કર્યું છે.


આમ વાલ્મિકીજી એક રૂપે અને તુલસીદાસજી બીજી રૂપે શ્રીરામને જુએ છે.
તેથી તેમની કથામાં સ્વાભાવિક રીતે થોડું અંતર દેખાય છે.
પણ હરિ અનંત રૂપ છે તો તેમની કથા એક રૂપમાં જ કેવી રીતે હોઈ શકે?
“હરિ અનંત હરિકથા અનંતા,કહ્હિં સુનહિં બહુ વિધિ સબ સંતા”
હરિ કથા કહેવામાં અને સાંભળવામાં પણ અનંત છે.

ઉપનિષદમાં પણ આવે છે કે-એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ”
(સત્ય એક પણ વિપ્રો તેનું અનેક રીતે વર્ણન કરે છે) એવું જ હરિકથાનું છે.
જેવો જેનો ભાવ તેવું હરિકથાનું સ્વ-રૂપ.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE