Jul 17, 2021

Gujarati-Ramayan-Rahasya-17-ગુજરાતી-રામાયણ-રહસ્ય-17

ભાગવતમાં પ્રહલાદજીએ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈને ચિત્તોડનું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજીની સલાહ માગી,ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે-સીતા-રામની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાંનો પણ ત્યાગ કરવો.“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.” મીરાબાઈએ તે સલાહનો અમલ કર્યો તો તેમને રામ-રતન ધનની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”

એવું નથી કે ભક્તિ માત્ર મંદિરમાં જ થઇ શકે.ભક્તિ સર્વત્ર થઇ શકે છે.
ઈશ્વરથી વિભક્ત (જુદો) ના થાય તે ભક્ત.સદા સર્વદા પરમાત્માના “નામ” થી જુદો ના થાય તે ભક્ત.
જપ એ પુરુષાર્થનું પ્રતિક છે.”મારું તન-મન પ્રભુને સમર્પી દઉં છું”
એવી અનન્ય ભાવની ભક્તિ એ માનવીનો પરમ પુરુષાર્થ છે.
સમર્થ રામદાસજી મહારાજે બાર વર્ષ ગોદાવરીમાં ઉભા રહી ને રામ-નામનો જપ કર્યો હતો,ને તેમને
મંત્ર-સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.જયારે આપણે તો એકાદ માળા ફેરવી ફળ લેવા અધીરા થઇ જઈએ છીએ.

મનુષ્ય-દેહ એ એક ટ્રસ્ટ જેવો છે.અને એ ટ્રસ્ટનો હેતુ પરમાત્મા નો સાક્ષાત્કાર કરવાનો છે.
દેહને ખવડાવો,પીવડાવો, રમાડો,જાત્રા કરાવો,ઉપદેશ કે પુસ્તકો વાંચો-કે એવું બધું ગમે તે કરો,
પણ વિચારવાનું છે કે ટ્રસ્ટનો હેતુ પાર પડ્યો છે કે નહિ.
ઈશ્વર જવાબ માગશે-કે આ શરીર ધારણ કરી કેવળ અહંકારને આસક્તિ વધાર્યા કે કશું સાધન કર્યું?
સંતો કહે છે કે-આનો જવાબ તમારી પાસે ના હોય તો,રામ-કથાનું શ્રવણ કરો,વાંચન કરો,મનન કરો.
રામ-કથા તમને તમારા જીવનનો અને ઈશ્વરે સોંપેલા ટ્રસ્ટનો હેતુ સ્પષ્ટ સમજાવશે.

પણ મનુષ્યનું અભિમાન આમાં આડું આવે છે.અને અભિમાન દૂર કરવાનો રસ્તો ભક્તિ છે.
તુલસીદાસજી રામ-નામનો મહિમા ગાતાં કદી ધરાતા નથી.
જેવી તેમની રામ-ભક્તિ છે તેવી જ તેમની અપૂર્વ દીનતા છે.તે કહે છે કે-
રામનામમાં સ્નેહ થવો એ પૂર્વજન્મોના પુણ્યનું ફળ છે.મારાં પાપ એવાં છે કે,મારાં પાપ સાંભળી નરક પણ 
નાકનું ટેરવું ચઢાવે છે,પણ શ્રી રામ મારા જેવા પર પણ પરમ કૃપા કરે છે.તુલસીદાસજીનો આ વિનય છે.

રામ શબ્દ માં “ર-અ-મ” એમ ત્રણ અક્ષરો છે.
“ર” એ અગ્નિનું.”અ” એ સૂર્ય નું અને “મ” એ ચંદ્ર નું બીજ છે. આ ત્રણે મોહ-રૂપી અંધકારનો નાશ કરે છે.
“ર” કાર બ્રહ્મામય,”અ”કાર વિષ્ણુમય અને ”મ”કાર એ શિવમય છે.
એવી જ રીતે ॐકાર (અ ઉ મ )માં પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સ્વરૂપ છે.એટલે રામ-નામ ॐ કાર સમાન છે.

તુલસીદાસજી કહે છે કે-શરીરની અંતર-બાહ્ય શુદ્ધિ જોઈતી હોય તો,જીભેથી રામનું “નામ” લો.
રામ-નામ તો દીપક સમાન છે,જીભના ઉંબરા પર તે દીપક સ્થિર કરશો તો,
આખા ઘર(શરીર)માં,અંતરમાં ને જીવનમાં અજવાળું થઇ જશે.

શ્રીરામે એક અહલ્યાને તારી,પણ રામ-નામે તો લાખો-કરોડો સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે.
શ્રીરામે તો શિવજીનું એક ધનુષ્ય તોડ્યું,પણ રામનામ તો ભવના ભયને ભાગી નાખે છે.
શ્રી રામે તો એક દંડકારણ્ય ને શોભાવ્યું,પણ રામનામ તો કરોડો મનુષ્યના મનમાં નિવાસ કરી તેને પાવન 
કરે છે.શ્રીરામે રાક્ષસોના દલનો સંહાર કર્યો,પણ રામનામ તો કળિયુગના અનેક ક્લેશોનું નિકંદન કાઢે છે.

શ્રી રામે તો સુગ્રીવ અને વિભીષણ એ બે જ ને આશ્રય આપ્યો પણ રામનામે અસંખ્ય શરણાગતો ને
આશ્રય આપ્યો છે.શ્રીરામે તો રીંછો અને વાનરો ની મદદ લઇ ને અતિ મહેનત કરી સમુદ્ર પર પુલ બાંધ્યો,
પણ રામનામ લેતા વિશાળ સમુદ્ર આખો ને આખો સુકાઈ જાય છે,એના પર પુલ બાંધવાની જરૂર રહેતી નથી,અને સુકાઈ ગયેલા ભવસાગરને પાર કરવાનું આસાન છે.
આમ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ કરતાં પણ રામ-નામ મોટું છે.


PREVIOUS PAGE         INDEX PAGE         NEXT PAGE