Jul 23, 2021

Gujarati-Ramayan-Rahasya-22-ગુજરાતી-રામાયણ-રહસ્ય-22

સપ્તર્ષિઓએ જે પ્રશ્ન રત્નાકરને પૂછેલો તે તેને એકલાને જ લાગુ પડતો નથી,પણ આજની દુનિયામાં રહેલા મનુષ્ય માત્રને લાગુ પડે છે,પૈસા કમાવાની લાલચમાં મનુષ્ય પાછું વળીને જોતો નથી,અને ગમે તે રીતે ઘણીવાર અનીતિથી પણ ધન કમાવા લાગી જાય છે.પણ રત્નાકરની આંખ ઉઘડી ગઈ તેમ મનુષ્યની આંખ ખુલે તો તેનો પણ બેડો પાર થઇ જાય.
કબીર કહે છે કે-કબીરા સબ જગ નિર્ધના,ધન્વંતા નહિ કોઈ,ધન્વંતા સો જાનીયે જા કે રામનામ ધન હોય.

રત્નાકરનું હૃદય સરળ હતું તેમાં શ્રદ્ધાનો વાસ હતો,એણે તો રામનામ ઝીલી લીધું.રટ લગાવી રામનામની અને એક આસને બેસી ગયો.દિવસો વીતવા લાગ્યા,”રામરામ” નું રટણ કરતાં કરતાં ક્યારે “મરામરા”
થઇ ગયું એનું રત્નાકરને ભાન રહ્યું નથી.મહિના અને વર્ષો વીતી ગયા,રત્નાકરનું આખું શરીર
માટીના રાફડાઓથી ઢંકાઈ ગયું,રત્નાકર પોતે જ મોટો રાફડો બની ગયો.સંસ્કૃતમાં રાફડાને વલ્મીક કહે છે,
અને વલ્મીક પરથી થયું વાલ્મીકિ.અને રત્નાકર વાલ્મીકિ એટલે કે રાફડાવાળા મુનિ તરીકે પ્રસિદ્ધ થયા.

જ્ઞાનથી પ્રારબ્ધનો નાશ થતો નથી.બહુ બહુ તો સંચિત અને ક્રિયમાણ કર્મોનો નાશ થાય છે.
પણ પ્રભુ ના “નામ” થી પ્રારબ્ધ કર્મોનો પણ નાશ થાય છે.
રામ-નામના પ્રતાપે વાલ્મીકિના ત્રણે કર્મોનો નાશ થયો,અને નિષ્કરમા બની ગયા.
વિધાતાના લેખ (પ્રારબ્ધ) પર મેખ મારવાની શક્તિ રામનામમાં છે.જપનો આવો મહિમા છે.

વાલ્મીકિ એ જપ કર્યો અને તપ પણ કર્યું.એકલો જપ જો મનુષ્યનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તો
જપ અને તપ બંને ભેગા થાય તો શું ના થાય ?
પ્રશ્ન થાય કે વાલ્મીકિ એ રામ-રામ ને બદલે મરા-મરા નો જપ કર્યો છતાં તેમને ફળ કેમ મળ્યું?

રામાયણ અને ભાગવતનો મુખ્ય વિષય છે-નિષ્કપટ ધર્મ. જેમાં બિલકુલ કપટ નથી તેવો ધર્મ.
જો મનુષ્ય સત્કર્મ (જપ-તપ) કરવાનું ફળ માગે,ફળની ઈચ્છા કરે તો તે સકામ કર્મ થયું,
સકામ કર્મ એટલે લાલચ વાળું કર્મ. જ્યાં લાલચ છે ત્યાં મનની નિર્મળતા નથી,પણ કપટ છે.
એટલે જ્યાં કપટ છે (સકામ કર્મ છે) ત્યાં “ભૂલ” ક્ષમાને પાત્ર નથી.
વાલ્મીકિ એ કરેલું સત્કર્મ એ સકામ નથી.તેમને ઈશ્વર સિવાય કોઈ બીજી ઈચ્છા (આરત) નહોતી.
અને આવા નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે.

વાલ્મીકિએ ઉલટા કરેલા મંત્રથી શ્રીરામ ભુલાવામાં પડ્યા નથી,
વાલ્મીકિની અંતરની આરત ને તે જાણતા હતા.
બાળક કાલુંઘેલું બોલે પણ તે શું કહેવા માગે છે તે મા સમજી જાય છે.કારણ તેનામાં વાત્સલ્ય ભાવ છે.
તેવી રીતે ઈશ્વર પણ વાત્સલ્ય મૂર્તિ છે.એટલે તો તેમણે ભક્ત-વત્સલ કહે છે.
વત્સનો અર્થ વાછરડું પણ થાય છે.વાછરડું ભાંભરે એટલે ગાય તે ઓળખી તેના તરફ દોટ મૂકે.
તેવી જ રીતે ભક્ત બોલાવે તો ભગવાન દોડી આવે છે.

સકામ-કર્મીઓ (જેને ફળ ની કામના છે તે) રામનામ બોલે પણ તેમનું મન કોઈ દુન્યવી પદાર્થ પર
ચોંટેલું હોય તો તે રામનામની રટણા નહિ પણ દુન્યવી પદાર્થની જ રટણા બની જાય છે.
પછી રામજી ક્યાંથી પ્રસન્ન થાય ? રામજી તો આગળની-પાછળની,બહારની અને ભીતરની બધી વાતો
જાણનારા છે.એમને છેતરી શકાય નહિ.
અંતરમાં વાસનાઓ,કામનાઓ,મોહ વગેરે કચરાનો ઢગલો ખડકેલો હોય તો રામજી આવી કેવી રીતે ને 

ક્યાં પગ મૂકે? ભગવાન જો અંદર આવે તો આ વાસનાઓ અને પાપ ને ભાગવું પડે,
તેમને (વાસનાઓ-પાપ-વગેરેને) ભાગવું નથી એટલે તે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE