Sep 27, 2021

Gujarati-Ramayan-Rahasya-85-ગુજરાતી-રામાયણ-રહસ્ય-85









લક્ષ્મણજી મા સુમિત્રા પાસે આવ્યા છે.માતાજીને સંક્ષેપમાં કથા કહી સંભળાવી 
અને કહે છે-કે-મા મને રામજી સાથે વનમાં જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના 
ચરણમાં છે.રામ-સીતા જ તારાં માતા-પિતા છે. અનન્ય ભાવે રામસીતાજીની સેવા કરજે. 
રામનાં ચરણમાં તારી ભક્તિ જોઈ હું,મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું,
જેનો પુત્ર રઘુપતિ રામમાં ભક્તિવાળો છે તે માતા જ સાચે પુત્રવતી છે.
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'

ઉર્મિલા (લક્ષ્મણના પત્ની) તે વખતે ત્યાં આવ્યા છે,તે એક શબ્દ મનથી બોલી શક્યાં નહિ,
પતિદેવના ચરણોમાં વંદન કર્યા છે. (રામાયણમાં ઉર્મિલાનું પાત્ર અજોડ છે તેમના વિષે પાછળથી ઘણા કવિઓ એ ઘણું બધું લખ્યું છે.)લક્ષ્મણજી માતાજી સુમિત્રાની રજા લઇ ને પરત થયા પછી શ્રીરામ,સીતા અને લક્ષ્મણ,
સાથે કૈકેયી ભવનમાં ગયાં.એક ને બદલે ત્રણને વનમાં જવાને તૈયાર થયેલા જોઈ રાજાની વ્યાકુળતાનો પાર 
રહ્યો નથી.રામચંદ્રે પ્રણામ કરી પ્રાર્થના કરી –હે પિતાજી,અમને આશિષ અને આજ્ઞા આપો.

ત્યારે દશરથરાજા કહે છે કે-હે રામ,શાસ્ત્રમાં કહ્યું છે કે,જે કર્મ કરે તે જ ફળ પામે છે.
તો અહીં આમ ઉલટું કેમ છે?અપરાધ મેં કર્યો છે ને સજા તને કેમ થાય છે?
હે રામ,ક્ષત્રિય ધર્મને અનુસરીને મને બાંધીને કેદ કર અને તુ અયોધ્યાનો રાજા થા.
ત્યારે રામજીએ બે હાથ જોડી કહ્યું કે-પિતાજી મારા સત્ય (સ્વ) ધર્મનો ત્યાગ કરી ને હું રાજ્યની ઈચ્છા રાખતો નથી.”હું આજે જ વનમાં જઈશ” એવા વચનથી માતાની આગળ હું બંધાયેલો છું.એટલે બીજો કોઈ ઉપાય નથી.આ સાંભળી રાજા એકદમ અત્યંત વિહ્વળ બની પોક મૂકીને રડવા લાગ્યા,ને ફરીથી મૂર્છિત થયા.

સુમંત્ર મંત્રી અને હાજર રહેલા સર્વેમાં હાહાકાર વ્યાપી ગયો,મંત્રીએ કૈકેયીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કૈકેયીનું રુવાંડુ એ ફરકતું નથી.થોડી વારે જયારે રાજાને થોડી કળ વળીને સ્વસ્થ થયા એટલે એમણે મંત્રી સુમંત્ર ને કહ્યું કે-આપણી ચતુરંગીણી સેના અને ધન-ધાન્યના ભંડારો પણ રામની સાથે વનમાં મોકલો,જેથી રામ ત્યાં ઋષિમુનિઓના સમાગમમાં સુખ-પૂર્વક રહી શકે અને છૂટે હાથે દાન-દક્ષિણા પણ આપી શકે.

આ સાંભળી વળી કૈકેયીના પેટમાં ફાળ પડી,અને મનમાં પસ્તાવા લાગી કે-
અરે રે,બધું છોડી ને રામ વનમાં જાય એવું કેમ મેં ના માગ્યું?
ત્યાં તો રામચંદ્રજી તરત જ બોલ્યા કે-પિતાજી મેં સર્વ પ્રકારની આસક્તિ ત્યાજી છે,તો પછી એ સેના અને ધનધાન્યનું મારે શું કામ છે? હું એ બધું ભરતને આપું છું.હવે તો મને વનમાં પહેરવાનાં વલ્કલ જ આપો.
કૈકેયી ત્યાંથી ઉઠીને મંથરા પાસે મંગાવી રાખેલાં વલ્કલ લાવીને રામની સામે મૂક્યાં.અને કહ્યું કે –
“લે આ પહેર.” જોનારા કૈકેયી પર ફિટકાર વર્ષાવી રહ્યા છે-“આ કેવી નીચ છે?નિર્દયતાની પણ હદ હોય!”
રામ-લક્ષ્મણે પોતાના અંગ પરનાં વસ્ત્રો ઉતારી,વલ્કલ ધારણ કર્યા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE