Sep 29, 2021

Gujarati-Ramayan-Rahasya-87-ગુજરાતી-રામાયણ-રહસ્ય-87

સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વેને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજીના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવાનો પાર રહ્યો નહિ.“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવીને કરીશું શું?  અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.દાવાનળમાં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.મહાકષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?

બીજી તરફ,રામચંદ્રજીનો રથ શૃંગવેરપુર તરફ પહોંચ્યો.ત્યાં ગંગાજી વહેતાં હતાં.રામજીએ રથમાંથી નીચે ઉતરી ગંગાજીને દંડવત પ્રણામ કર્યા.ભારતની સંસ્કૃતિ કહે છે કે નદી માત્ર એ માતા છે.ભારતની સંસ્કૃતિ નદી તટે જન્મી અને વિકસી છે.એમાં વળી ગંગાજી તો ત્રિપથગા છે,ત્રણે ભુવનને પવિત્ર કરનારી છે.ગંગાજીમાં સ્નાન કરતાં પહેલાં તેમને વંદન કરવા જોઈએ,તેમના આશીર્વાદની પ્રાર્થના કરવી જોઈએ અને આચમન લેવું જોઈએ.રામજીએ લક્ષ્મણજી આગળ ગંગાજીનો મહિમા વર્ણવ્યો છે.

શૃંગવેરપુરમાં નિષાદ જાતિનો ગુહ નામનો રાજા રાજ્ય કરતો હતો.
મહારાજા દશરથનો એ માંડલિક હતો અને રામચંદ્રજી સાથે એણે ગાઢ મૈત્રી પણ હતી,
રામચંદ્રજીને આવેલા જાણીને તે દોડતો આવ્યો.રામજીના વલ્કલ પહેરેલા તપસ્વી વેશ જોઈને ગુહની આંખમાં આંસુ આવી ગયાં.રામજીનું સ્વાગત કરતાં તેણે કહ્યું કે-આજે આપ અહીં પધાર્યા તેથી મારી ગણતરી ભાગ્યશાળીઓમાં થઇ.તમે અમારા સ્વામી છો ને અમે તમારા સેવક છીએ.આ નગર આપનું જ છે 
આપ નગરમાં પધારો અને અમારા આતિથ્યનો સ્વીકાર કરો.

રામજી એ ગુહનો ભાવ જોઈ ને ગદગદ થઇ કહ્યું કે-પિતાજીની આજ્ઞાથી હું ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા નીકળ્યો છું,એટલે હું ગામમાં આવી શકું તેમ નથી,અને આહારમાં પણ હું કંદ-મૂળ સિવાય કશું લઇ શકું તેમ નથી.રામજીના દર્શન કરવા ગામનાં સ્ત્રી-પુરુષોનું ટોળું જમા થઇ ગયું.રામ,સીતાને લક્ષ્મણને જોઈને સ્ત્રીઓ 
વાતો કરવા લાગી કે-એ માત-પિતા કેવાં હશે જેમણે આવાં કુમળાં બાળકોને વનમાં કાઢ્યાં?
'તે પિતુ માતુ કહહુ સખી કૈસે,જીન્હ પઠએ બન બાલક ઐસે'

રાત પડી,અને એક ઝાડ નીચે ગુહે ઘાસ-પાંદડાંની પથારી કરી,પડિયામાં પાણી અને પાંદડામાં કંદમૂળ મૂક્યાં.રાતે રામજી સૂઈ ગયા ત્યારે લક્ષ્મણજી ધનુષ્ય-બાણથી સજ્જ થઇ,એમની ચોકી પર ખડા થઇ ગયા.ગુહ પણ હથિયાર સજ્જ થઇને લક્ષ્મણજી ની પાસે આવી ને ઉભો.
રામજીને ભોંય પર સૂતેલા જોઈ તેનો જીવ કપાઈ જતો હતો.તેણે લક્ષ્મણજીને કહ્યું કે-
હું મારા સત્યના સોગંદપૂર્વક કહું છે કે-આ પૃથ્વીમાં મને રામચંદ્રજી સિવાય બીજું કંઇ પણ અધિક પ્રિય નથી.પણ તેમની આ હાલત જોઈને મારા દુઃખનો પાર નથી.ક્યાં અયોધ્યાનો વૈભવ અને ક્યાં આ ઘાસ-પાંદડાંની પથારી? અરે,રામજી જેવા સમર્થ જેના પતિ છે તે સીતા-માતા પણ જમીન પર સૂતા છે!!
આ જોઈ મને વિચાર આવે છે કે-ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું નથી.કર્મના લેખ કોઈ ટાળી શકતું નથી.કર્મ એ જ દુઃખ છે એમ લોકો કહે છે તે ખોટું નથી.

લક્ષ્મણજીએ ગુહને તેની ભાવ-ભક્તિ માટે ધન્યવાદ આપ્યા,ને પછી ખૂબ સુંદર ઉપદેશ આપ્યો.
કે જે “લક્ષ્મણ-ગીતા “તરીકે પ્રસિદ્ધ છે. લક્ષ્મણજી ગુહને કહે છે કે-
મનુષ્યને સુખ-દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મને આધારે આ સૃષ્ટિ છે.
સુખ-દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ-કોઈને આપી શકતું નથી કે કોઈનું સુખ-દુઃખ લઇ શકાતું નથી.
કોઈ જો એમ કહે કે –મેં આને સુખ કે દુઃખ આપ્યું –તો તે બુદ્ધિની ભ્રમણા છે.તેનું અભિમાન છે.
માટે જ્ઞાની મહાત્માઓ સુખ-દુઃખ માટે કોઈને દોષ આપતા નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE