Oct 20, 2021

Gujarati-Ramayan-Rahasya-107-ગુજરાતી-રામાયણ-રહસ્ય-107

પર્ણકુટીમાં રામજી ઉભા છે ને લક્ષ્મણ જોડે વાત કરે છે,તેમની પીઠ રસ્તા તરફ છે,
જયારે લક્ષ્મણજીની નજર પર્ણકુટીની બહારના રસ્તા પર છે.આ બાજુ, ભરતજીએ
 રામજીને દુરથી જોયા ને રસ્તા પર જ દંડવત પ્રણામ કરતાં કહે છે કે-હે પ્રભુ રક્ષા કરો-
હે પ્રભુ રક્ષા કરો.લક્ષ્મણજીની નજર ભરત પર પડી અને તે બોલી ઉઠયા કે-અરે,અરે 
આ દંડવત પ્રણામ કરતો કરતો,આવતો દેખાય તે તો ભરત.છે,
એટલે તેમણે રામજીને કહ્યું કે-ભરત તમને પ્રણામ કરતો કરતો આવે છે.

આ સાંભળતાં જ શ્રીરામ એવા અધીર બની ગયા કે –તે બોલી ઉઠયા કે “ક્યાં છે મારો ભરત?” ને તરત જ 
તે ભરત સામે દોડ્યા.“મને માફ કરો પ્રભુ” કહી ભરત,શ્રીરામના પગમાં આળોટી પડ્યો.શ્રીરામે તેને ઉઠાડી 
અને “મારો ભાઈ” કહીને તેને ભેટી પડ્યા.જીવ અને શિવનું મિલન થયું છે,પરમાનંદ થયો છે.
તુલસીદાસજી કહે છે કે-આ રામ-ભરતના મિલનનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી,
એ બે પ્રેમનું મિલન,એ મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકારથી પર છે.મહાદેવનું મન પણ ત્યાં પહોંચી શકતું નથી 
તો હું તેનું વર્ણન કેવી રીતે કરી શકું?

પરમાત્મા શ્રીરામ સાથે સંબંધ રાખવાથી જ તેમનું સ્મરણ થાય છે,અને જીવન મંગલમય બને છે.
શ્રીરામના ચરણમાં જ શાંતિ છે.પરમાત્માથી વિખુટો પડેલો જીવ પરમાત્માના ચરણમાં જ શાંતિ પામે છે.
નારાયણ સિવાય બીજે કોઈ ઠેકાણે સુખ નથી.સંસારમાં સુખ અલ્પ (થોડું) છે ને દુઃખ વધારે છે.
જીવ ઈશ્વરનો અંશ છે પણ તે ઈશ્વરથી છુટો પડેલો છે,તેથી તેને સુખ-શાંતિ નથી,જીવ જયારે સંસારથી 
છૂટી પ્રભુના ચરણમાં જાય ત્યારે જ તે કૃતાર્થ થાય છે.ત્યારે તેને કાળની ભીતિ દૂર થાય છે.

જગત નાશવંત છે,જગત સાથેનો સંબંધ સાચો નથી,જન્મથી જ કોઈ પતિ કે પત્ની નથી હોતાં.
પતિ-પત્નીનો સંબંધ પછીથી ઉભો થયેલો છે.ને તે જીવનના અંત સુધી જ હોય છે.
પતિ જીવતો હોય ત્યાં સુધી જ પત્ની એ પત્ની છે,પુત્ર હોય ત્યાં સુધી જ પિતા એ પિતા છે.
પુત્ર ના હોય ત્યારે કોઈ પિતા –રહેતો નથી.
માટે મહાત્માઓ કહે છે કે-સંસારી સંબંધો પ્રત્યે અનુસંધાન રાખવાને બદલે પ્રભુમાં જ અનુસંધાન રાખવું 
જોઈએ.તે એક જ સંબંધ એવો સાચો છે કે- જે જન્મ પહેલા,જન્મમાં અને જન્મ પછી પણ રહે છે.

તે પછી શ્રીરામ અને ભરત,શત્રુઘ્નને નિષાદરાજને ભેટ્યા.ભરત અને શત્રુઘ્ને,સીતાજીને પ્રણામ કર્યા ને 
તેમની ચરણ રજ માથે ચડાવી. કોઈ કંઈ પૂછતું નથી કે કોઈ કંઈ કહેતું નથી,સૌ ભાવ વિભોર થયા છે.
પાછળ ગુરૂ વશિષ્ટ અને તેમની મંડળી આવે છે તે જાણી,શ્રીરામ સામે મળવા ગયા,
ગુરૂ વશિષ્ઠ અને ગુરૂ પત્નિને વંદન કર્યા,વશિષ્ઠજી તેમને ભેટી પડ્યા.સહુથી પહેલા રામજી કૈકેયીને મળ્યા 
ને વંદન કરી ને કહે છે કે-તમે કોઈ વાતે રંજ કરશો નહિ,આમાં તમારો દોષ નથી,આ બધી વિધિની લીલા છે. 
પછી કૌશલ્યા અને સુમિત્રાને વંદન કરી ને તેમને સમજાવે છે કે-
જગત ઈશ્વરને આધીન છે,માટે કોઈને પણ દોષ ના દેવો.

ત્યાર બાદ રામજી સંઘમાં આવેલા સર્વેને એક સાથે મળે છે,ને સૌનો પ્રેમથી સત્કાર કરે છે.
સીતાજી અને લક્ષ્મણ પણ આ જ પ્રમાણે સર્વેને મળ્યા.બધાએ આસન ગ્રહણ કર્યું,અને વશિષ્ઠજીએ
 દશરથરાજાના સ્વર્ગવાસની ઘટના કહી સંભળાવી.રામજી શોક થી વ્યાકુળ બની ગયા, “આહ.મારા પિતાનો
 મારા પર કેવો પ્રેમ હતો!” એમનો શોક જોઈ ને બધા શોકમાં ડૂબી ગયા.હોય- જાણે આજે જ દશરથરાજા
 સ્વર્ગવાસી થયા ના હોય! શ્રીરામે તે દિવસે નિર્જળ વ્રત કર્યું ને વગડાઉ ફળથી પિતાજીનું પિંડદાન (શ્રાદ્ધ)
 કર્યું.દશરથ રાજાની એવી ઈચ્છા હતી કે શ્રીરામ મારું પિંડદાન કરે,રામજીએ તેમની ઈચ્છા પુરી કરી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE