Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧૩


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છે કે-સન્યાસી યોગનો અભ્યાસ કરતો હોય,અને તે દરમિયાન જો યોગથી ચલિત (ભ્રષ્ટ) ચિત્તવાળો થાય,તો પુણ્ય કરનારાઓના લોક ને પામી,પાછો પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે. (૧૪૬)

એ ઉપરથી ભગવાન કૃષ્ણ “કેવળ સંન્યાસ લઈને ચૂપચાપ મરણ પામેલાને,માત્ર સંન્યાસથી જ પુણ્યલોકની ગતિ પ્રાપ્ત થાય છે” –એમ કહેતાં નથી,પણ “કેવળ સંન્યાસ થી જ સિદ્ધિ મળતી નથી” એમ કહે છે.
અને શ્રીકૃષ્ણ જણાવે છે કે-સંન્યાસીનાં કર્તવ્ય શ્રવણાદિ નો ત્યાગ કરવાથી સિદ્ધિ થતી જ નથી. (૧૪૭-૧૪૮)

માટે આવેલાં તે દુઃખો તિતિક્ષાથી સહન કરી લઈને સાથે સાથે શક્તિ અનુસાર,  
કર્તવ્ય કર્મ – શ્રવણાદિ –વગેરે અવશ્ય કરવાં જ જોઈએ. (૧૪૯)

કાળજીથી સિદ્ધ કરેલી તિતિક્ષા નું પ્રયોજન,આવેલા દુઃખો ને સહન કરવા સિવાય બીજું કંઈ દેખાતું નથી,
એટલે તિતિક્ષાની સાથે શ્રવણાદિ-કર્તવ્ય કર્મ પણ હોવાં જોઈએ. (૧૫૦)

ઉપરતિ

સાધન-રૂપે દેખાતાં સર્વ કર્મો નો વિધિપૂર્વક સંપૂર્ણ ત્યાગ કરવો,તેને  “સંન્યાસ” માન્યો છે,
આ “સંન્યાસ” જ કર્મો ને બંધ કરાવે છે,માટે “ઉપરતિ” કહેવાય છે.
વેદ પણ કહે છે કે-સર્વ વિરુદ્ધ કર્મો નો ત્યાગ તે જ સંન્યાસ છે.  (૧૫૧-૧૫૨)
વેદમાં કહેવાય છે કે-કર્મ થી સિદ્ધ થતા સર્વ પદાર્થ અનિત્ય છે, તો પછી,
નિત્ય ફળને ઇચ્છતા અને પરમાર્થ સાથે જ સંબંધવાળા,પુરુષને એવાં કર્મ ની શી જરૂર છે? (૧૫૩)

ઉત્પાદ્ય (ઉત્પન્ન થનાર) – આપ્ય (પ્રાપ્ત થનાર)- સંસ્કાર્ય (સંસ્કાર પામનાર)-વિકાર્ય (વિકાર પામનાર)
-એમ ચાર પ્રકારનાં કર્મ વડે સિદ્ધ થતાં “ફળ” ગણાય છે.  (૧૫૪)

બ્રહ્મ તો સ્વતઃસિદ્ધ,સર્વકાળે પ્રાપ્ત થયેલ,શુદ્ધ,નિર્મળ અને નિષ્ક્રિય છે.
તેથી,ઉપર દર્શાવેલાં ચાર કર્મ-ફળ માંહેના એકે ય રૂપ થવા ને યોગ્ય નથી. (૧૫૫)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE