Dec 15, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૪

\વાલી અને માયાવી-રાક્ષસ વચ્ચે ભયાનક યુદ્ધ થયું પણ છેવટે વાલીના બળ આગળ રાક્ષસ હારવા લાગ્યો.જીતવાની કોઈ આશા નથી અને મોત નિશ્ચિત છે-એવી ખાતરી થતાં રાક્ષસ ભાગ્યો.વાલી અને સુગ્રીવ એની પાછળ પડ્યા.એટલે રાક્ષસ એક ગુફામાં ગુસી ગયો.ત્યારે વાલીએ સુગ્રીવને કહ્યું કે તું અહીં બહાર ઉભો રહે,અને પખવાડિયા સુધી મારી રાહ જોજે,ત્યાં સુધીમાં હું બહાર ના આવું તો સમજવું કે હું માર્યો ગયો છું.

સુગ્રીવ બહાર ઉભો વાત જુએ છે,એમ કરતાં એક મહિનો થઇ ગયો.વાલી પાછો દેખાયો નહિ,
ગુફાની અંદર વાલીને પેલા રાક્ષસને ખોળવામાં જ મહિનો વીતી ગયેલો,અને જયારે તે મળ્યો ત્યારે 
વાલીએ તેને ખૂબ પીટ્યો,અને તે રાક્ષસના લોહીનો પ્રવાહ છેક ગુફાની બહાર આવ્યો.એટલે 
સુગ્રીવ સમજ્યો કે- નક્કી વાલી મરી ગયો છે,એણે તો મને પંદર દિવસ રાહ જોવાનું કહ્યું હતું.

તે વિહવળ બની ગયો,અને રખેને પેલો રાક્ષસ પોતાની પાછળ પોતાને મારવા આવે,એ બીકે તેણે 
તે ગુફાનું મોં મોટી શિલાથી બંધ કરી નાખ્યું.
પછી તે પાછો આવ્યો,તેનું મોં ઉદાસ જોઈને મંત્રીઓ સમજી ગયા કે-વાલીનું મરણ થયું છે,
રાજા વગરનું રાજ્ય રહે નહિ એટલે તેમણે સુગ્રીવને ગાદી પર બેસાડ્યો.

પણ થોડા વખત પછી વાલી સાજો-સારો પાછો આવ્યો ને સુગ્રીવને ગાદી પર બેઠેલો જોઈ તેના ગુસ્સાનો 
પાર રહ્યો નહિ,સુગ્રીવે મોટાભાઈના ચરણમાં માથું મૂકી ને સઘળી વાત કરીને માફી માગી કહ્યું કે –
આ રાજ્ય તમારું જ છે,તમારી થાપણ તરીકે હતું તે હું તમને પાછું સોંપું છું.આપ એનો સ્વીકાર કરો.
પણ વાલી ક્રોધથી તાડૂક્યો-હું પાછો ના આવું એટલે જ તે ગુફાનું મોં શિલાથી બંધ કર્યું હતું.
રાજ્યના લોભે તેં આવું કર્યું,આજથી તું મારો ભાઈ નહિ,તું મારો દુશ્મન છે. અને સુગ્રીવને તેણે પહેરેલે કપડે રાજ્યમાંથી કાઢી મુક્યો.ને તેની સ્ત્રીનું અપહરણ કર્યું.

વાલીની બીકથી બીતો સુગ્રીવ પોતાના સાથીઓને લઇ મતંગઋષિના આશ્રમની હદમાં ઋષ્યમૂક પર્વત પર રહેવા લાગ્યો.જેથી વાલી આવી તેને મારી શકે નહિ.વાલી પોતાના પર શાપને લીધે ત્યાં જઈ શકતો નહિ,પણ સુગ્રીવને હેરાન કરવા તેના યોદ્ધાઓ મોકલતો,સુગ્રીવ પણ વીર યોદ્ધો હતો,અને તેણે વાલીના કેટલાયે યોદ્ધાઓને મારી ભગાડ્યા હતા.પણ આજે ધનુષ્ય-બાણથી સજ્જ રામ-લક્ષ્મણને આવતા જોઈને તેને શંકા-કુશંકા થઇ.
સુગ્રીવના સલાહકારોમાં નલ,નીલ અને હનુમાન હતા,હનુમાન મુખ્ય સલાહકાર હતા.તેમને તે શંકા કહી.

અહીં રામાયણમાં હનુમાનજીનો પ્રવેશ થાય છે.
રામાયણમાં ભરત અને લક્ષ્મણનું જેટલું વિરલ પાત્ર છે તેટલું જ હનુમાનજીનું પાત્ર છે.
હનુમાનજી સેવા-ધર્મની મૂર્તિ છે ને બ્રહ્મચર્યનું પ્રતિક છે.
રામજીએ હનુમાનજીને અપનાવેલા,અને હનુમાનજીએ સુગ્રીવને અપનાવેલા એટલે જ રામજીએ સુગ્રીવને 
પણ પોતાના મિત્ર માન્યા છે.હનુમાનજી દ્વારા જ એ મૈત્રી સિદ્ધ થાય છે.

શ્રીરામ પરમાત્મા છે,અને પરમાત્મા જીવ-માત્રના મિત્ર છે,પણ જીવને એનું ભાન નથી એટલે 
એ ભાન કરાવીને પરમાત્મા સાથે મૈત્રી કરાવે છે હનુમાન.જીવ શિવની મૈત્રી હનુમાન કરાવે છે,
જીવની ઈશ્વર સાથે મૈત્રી ના થાય ત્યાં સુધી,જીવને સાચું સુખ પ્રાપ્ત થતું નથી,અને એ મૈત્રી-
હનુમાનજી વગર,બ્રહ્મચર્ય વગર થતી નથી.

જીવ બીજા જીવની મૈત્રી કરે તો તે –તે જીવનો જ રહે છે,તેને સાચું સુખ મળતું નથી,કે સાચી શક્તિ પણ 
મળતી નથી.પરંતુ જો જીવ ઈશ્વરની સાથે મૈત્રી કરે તો ઈશ્વર જીવને ઈશ્વર બનાવે છે,ઈશ્વર અતિ ઉદાર છે,
ઈશ્વર જયારે જીવને આપે છે ત્યારે આપવામાં કશું બાકી રાખતા નથી.
જયારે જીવ જીવને આપે તો પોતાને માટે કશુંક રાખીને આપે છે.આપતાં એનો હાથ પાછો પડે છે.
પણ ઈશ્વર આપે છે,ત્યારે બસ આપે જ છે,લેનારનો હાથ ટૂંકો પડે છે.
માટે મૈત્રી કરવી તો પરમાત્માની જ કરવી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE