Apr 9, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-134


દેવી કહે છે કે-કદાપિ (કદાચ) જો પુરુષને ચૈતન્ય થી જુદો માનીએ તો-ચૈતન્ય વિના દેહ,પ્રાણ,ઇન્દ્રિયો
વગેરેમાંથી કોણ પુરુષ હોઈ શકે? દેહ-વગેરે ને પુરુષ નામ આપતું નથી,માટે ચૈતન્ય એ પુરુષથી જુદો નથી.
પણ દેહમાં જ વસેલો છે.(આત્મા-તરીકે)

કદાપિ ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો-ચેતન નું મરણ થયું એમ જોનાર કોઈ સાક્ષી આજ સુધી થયો નથી.અને સાક્ષી વિનાનું મરણ ઘટી શકે નહિ.લાખો દેહ મરી ગયા છતાં તે ચૈતન્ય તો એમનું એમ  અક્ષય રહેલું છે.વળી જો ચૈતન્ય નું મરણ માનીએ તો-ચૈતન્ય તો "એક" જ છે,અને તે કંઈ પ્રત્યેક દેહમાં જુદુજુદું નથી,તેથી જો એક ચૈતન્ય નું મરણ થાય તો સર્વ નું મરણ થવું જોઈએ,પણ તેમ થતું (ઘટતું) નથી .
માટે ચૈતન્ય એ અમર છે એમ સિદ્ધ થાય છે.

જીવ ને વાસના-માત્ર ની વિચિત્રતા નો જે અનુભવ થાય છે,તેને જ જીવન અને મરણ એવું નામ આપવામાં
આવ્યું છે.અને આવી રીતે વિચાર કરતાં કોઈનો જન્મ થતો નથી કે કોઈનું મરણ થતું નથી.
માત્ર જીવ જ વાસનાના ખાડામાં આળોટ્યા કરે છે,
જે મનુષ્ય "આ જગત ભ્રાંતિ-રૂપ છે અને વસ્તુત (સાચી રીતે) ખરું નથી": એમ સારી રીતે નિશ્ચય કરે છે,તથા દ્વૈતની વાસના ટાળી નાખે છે,તે મુક્ત થાય છે.

(૫૫) જીવો ની વિચિત્ર ગતિ
જ્ઞાની લીલા કહે છે કે-હે,દેવી,જેવી રીતે પ્રાણી નું મરણ થાય છે,તથા જન્મ થાય છે,
એ વિષે મને વિશેષ બોધ થવા માટે વિસ્તારપૂર્વક ફરીથી કહો.

દેવી કહે છે કે-નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઇ જાય છે.અને તેથી પ્રાણીનું શરીર શાંત
થાય છે.પણ જે શુદ્ધ ચેતન છે તે-નિત્ય છે અને તેને શાંતિ કે (અશાંતિનો) ઉદય નથી.
તે સ્થાવર,જંગમ,આકાશ,પર્વત,અગ્નિ,પવન-સર્વમાં રહેલું છે.પણ કેવળ વાયુ નો રોધ થવાથી,જયારે,
સ્ફુરણા બંધ થાય છે,ત્યારે જડ થયેલો તે મનુષ્ય  મરી ગયો તેમ કહેવાય છે.

આ પ્રમાણે દેહ શબરૂપ થઇ જાય છે-અને પ્રાણવાયુ નો મહા વાયુ માં લય થઇ જાય છે,-ત્યારે-
"વાસના-રહિત થયેલું ચૈતન્ય" તે "આત્મ-તત્વ" માં રહે છે.
"પુનર્જન્મ ના બીજની વાસના-વાળા" તે "અણુ ચૈતન્ય" ને "જીવ" કહે છે અને-
તે-તે જ ઠેકાણે શબ ના "ગૃહાકાશ" (ઘરના આકાશમાં) જ રહે છે તેને "પ્રેત" કહે છે.

પુષ્પ ના સુગંધ થી જેમ વાયુ રહેલો હોય છે,તેમ તે "ચેતન" માં "વાસના" રહી હોય છે.
આ દૃશ્ય દેહનો ત્યાગ કરીને તે જયારે બીજા અદૃશ્ય દેહને પ્રાપ્ત થાય છે,ત્યારે તે-
સ્વપ્ન ની પેઠે પરલોકમાં ભોગવવા યોગ્ય -અનેક પ્રકારની "આકૃતિઓ" ધારણ કરે છે.
તે પરલોકમાં પણ  તેને પૂર્વના જન્મ ની પેઠે સ્મૃતિ થાય છે.
પછી મરણ ની મૂર્છા મટી જાય છે,એટલે,તે પોતાનું બીજું શરીર જુએ છે, તે મરનાર પ્રાણી,ત્યારે
પોતાના આત્મામાં,"આકાશમાં રહેલી મેઘની ઘટાની પેઠે" આકાશ,ભૂતલ અને આખું બ્રહ્માંડ જુએ છે.
પણ જે બીજાની (સામાન્ય માનવી ની) દ્રષ્ટિએ તો માત્ર "ગૃહાકાશ "જ જોવામાં આવે છે.

હવે ઉપર જણાવ્યા મુજબ "પ્રેત" ના છ ભેદ છે,તે સાંભળો.
(૧) સામાન્ય પાપી (૨) મધ્યમ પાપી (૩) ઉત્તમ (મહા) પાપી
(૪) સામાન્ય ધર્મ કરનાર (૫) મધ્યમ ધર્મ કરનાર (૬) ઉત્તમ ધર્મ કરનાર
આ છ-માંથી કોઈ ના એક-કોઈના બે- તો કોઈના ત્રણ-એવા ભેદ છે.આ છ ની ગતિ નીચે પ્રમાણે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE