May 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-148


રામ કહે છે કે-હે બ્રહ્મન,હું,તું અને જગતની જે ભ્રાંતિ છે,તે કારણ વિના પરમાત્મા થી કેવી રીતે ઉત્પન્ન થઇ ?
તે તમે મને બરાબર સમજાય તેવી રીતે ફરીથી કહો.

વશિષ્ઠ કહે છે કે-આ સર્વ (દૃશ્ય-કે-જગત) એ વસ્તુતઃ (સત્યમાં) પરમાત્મા જ છે,એટલે-
"કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે" એમ જે કહ્યું તે યોગ્ય જ છે.
સર્વ શબ્દ અને (તે શબ્દના) અર્થ -નો બોધ (જ્ઞાન) જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે.
અને તેથી તે (બોધ કે જ્ઞાન) જુદો નથી,પણ બ્રહ્મ ની "સત્તા" એ સર્વ શબ્દ અને અર્થ ના રૂપ થી જુદી છે.

જેવી રીતે સુવર્ણથી અલંકાર જુદા નથી અને જળથી તરંગો જુદા નથી,તેવી રીતે બ્રહ્મ થી જગત જુદું નથી.
જગત એ બ્રહ્મ-રૂપ છે અને બ્રહ્મ એ જગત-રૂપ છે.પણ,
સુવર્ણમાં જેમ આભૂષણ (કુંડળ વગેરે) એ કલ્પિત છે,વસ્તુતઃ (સત્યમાં) છે નહિ,તેમ
પર-બ્રહ્મ માં જગતની કલ્પના માત્ર છે, જગત ઈશ્વર-રૂપ છે પણ ઈશ્વરમાં જગત નથી.
જેવી રીતે એક અવયવી (જીવ) ને હાથ-પગ વગેરે જુદાજુદા અવયવો થી અનેકપણું છે,
તેવી રીતે,ચૈતન્ય-રૂપી પરમાત્મા ને અનેક-પણું છે.

પરબ્રહ્મ ના વિષે સર્વ પ્રાણીના હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે તે જ જગત તથા અહંતા-રૂપે જણાય છે.
ચિત્રકાર જેમ શિલા માં જુદા જુદા આકારની કલ્પના કરે છે -પણ તે શિલા-રૂપ જ છે,
તેવી રીતે મન-રૂપી ચિતારાએ ચૈતન્ય-ઘન વિષે જગતની કલ્પના કરેલી છે,પણ તે ચૈતન્ય-ઘન જ છે.

જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ પડેલાં પોતાનાં જ નેત્ર (આંખો) એ પોતાના મુખ ને જોઈ શકે છે,
તેવી રીતે ચૈતન્ય નું અવિદ્યા (અજ્ઞાન કે માયા)માં પ્રતિબિંબ પડવાથી,જગત જોવામાં આવે છે.

તે સમયે (તે બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા ના સમયે) જેમ,ચિત્તમાં (મનમાં) "સંકલ્પ" ની ઉત્પત્તિ થાય છે,તેમ,
-- તે,સર્વ-પ્રકારની "શક્તિ-રૂપ-માયા"ના રૂપ ને ધારણ કરનાર "શબ્દ-તન્માત્રા" (ॐ??)
એ "આકાશ"નો અનુભવ કરે છે.તેથી "આકાશની (આકાશ-ભૂત-બ્રહ્મની) ઉત્પત્તિ"  થાય છે.
--તે "આકાશ-ભૂત-બ્રહ્મ" તેની અંદર "સ્પર્શ-તન્માત્રા" નો સંસ્કાર ઉત્પન્ન થવાથી,
જેવી રીતે સ્થિર પવન કોઈ કાળે સ્પંદન-પણા નો અનુભવ કરે છે
તેવી રીતે-"વાયુ-પણા" નો અનુભવ કરે છે. અને તેથી "વાયુ ની (વાયુ-રૂપ-બ્રહ્મ) ઉત્પત્તિ" થાય છે.

--તે,"વાયુ-રૂપ-બ્રહ્મ" કે જેની અંદર "રૂપ-તન્માત્રા" રહેલી છે,તે (પોતાની સત્તા-રૂપ) "તેજ-પણા" નો
અનુભવ કરે છે-તેથી "તેજ (તેજો-ભૂત-બ્રહ્મ) ની ઉત્પત્તિ" થાય છે.
--તે, તેજો-ભૂત-બ્રહ્મ,જેવી રીતે જળ એ દ્રવ-પણા નો અનુભવ કરે છે-તેવી રીતે-જળ કે-
જળ ની અંદર રહેલી "રસ-તન્માત્રા" નો અનુભવ કરે છે,તેથી "જળ (જળ-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ" થાય છે.
--તે, જળ-રૂપી બ્રહ્મ,જેવી રીતે પૃથ્વી સ્થિરતા નો અનુભવ કરે છે તેવી રીતે-પૃથ્વી કે જેમાં
"ગંધ-તન્માત્રા" રહેલી છે તેનો અનુભવ કરે છે ને જેથી "પૃથ્વી (પૃથ્વી-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ થાય છે.
આવી રીતે એક નિમેષ ના (આંખના પલકારા ના) લાખમાં ભાગમાં પણ હજારો સૃષ્ટિ નો અનુભવ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE