Jul 31, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-236


(૧૧૯) સત્ય વસ્તુ ની દૃઢતા માટે-સુવર્ણ અને વીંટી નું દૃષ્ટાંત

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જેવી રીતે સુવર્ણ,એ ત્રણે કાળમાં સુવર્ણ જ છે,તેમ છતાં,વીંટી નું ભાન થવાથી,
તે સુવર્ણ પોતાનું મૂળ સ્વ-રૂપ ભૂલી જઈને “હું સુવર્ણ નથી” એમ માનીને ખેદ કરે છે-
તેવી રીતે,"આત્મા" એ "અહંતા" ને લીધે,પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને ખેદ કરે છે.
રામ કહે છે કે-હે,મુનિ સુવર્ણને વીંટીના જ્ઞાન નો અને આત્મા ને અહંતા નો કેવી રીતે ઉદય થયો તે કહો.
વશિષ્ઠ કહે છે કે-સત્પુરુષે સાચી વસ્તુના ઉદય તથા નાશ વિષે પ્રશ્ન કરવો જોઈએ,ખોટી વસ્તુના ઉદય અને
નાશ માટે નહિ.અહંતા તથા વીંટી-પણું,એ બંને વસ્તુ,જ ખોટી છે.
કારણકે કોઈ મનુષ્ય ને સુવર્ણ ની ખરીદી કરવી હોય,ત્યારે તે દલાલ ને કહે છે-મારે સુવર્ણ લેવું છે.
ત્યારે તે દલાલ “તમે સુવર્ણ ને માટે આ વીંટી રાખો” એમ કહીને સુવર્ણ ના બદલે વીંટી આપે છે ત્યારે-
વીંટી એ સુવર્ણ જ છે,એમાં કોઈ સંશય નથી.
રામ કહે છે કે-હે પ્રભુ,તમારા કહેવા પ્રમાણે સુવર્ણ જ જો સર્વ વ્યવહારના કાર્યમાં આવતું હોય તો-
સુવર્ણથી ભિન્ન વીંટીનું સ્વરૂપ  કેવું છે? તે કહો,કે જેના અર્થ ના નિશ્ચય થી હું બ્રહ્મ નું સ્વરૂપ જાણી શકીશ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જે વસ્તુ ખોટી છે તેનું રૂપ નથી.માટે જો રૂપ વગરની વસ્તુ નું જો નિરૂપણ
કરવાનું હોય તો તમે જ મને વાંઝણીના દીકરાનો આકાર તથા ગુણ વિષે  કહો.
વીંટી-પણું એ માત્ર ખોટી ભ્રાંતિ છે,તે અસત્-રૂપ વાળી “માયા” છે,અને અવિચાર થી દેખાય છે.પણ
સારી રીતે વિચાર કરવાથી તે જોવામાં આવતી નથી.માયા નું એ પ્રસિદ્ધ સ્વરૂપ છે.
મૃગજળની જેમ અહંતામાં અવિચાર થી માયા નું રૂપ દેખાય છે.સારી રીતે વિચાર કરવા થી તે દેખાતું નથી.
અવિચાર થી જ છીપમાં રૂપા-પણું એ અસત્ હોવા છતાં સત્ હોય –તેવું જણાય છે.
જે વસ્તુ મૂળમાં જ નથી-તેનું એ વસ્તુ નથી એવો નિશ્ચયનો વિચાર કરવાથી,પ્રકાશ ને પમાય છે.
પણ અવિચારથી ભ્રાંતિ ની બુદ્ધિ નું સ્ફુરણ થાય છે,અને તે ભ્રાંતિ જલ્દી મટતી (જતી) નથી.
જેવી રીતે ભૂત ની ભ્રાંતિ નો ગભરાટ બાળકને માટે મરણ-રૂપ થઇ પડે છે,
તેવી રીતે,અસત્-વસ્તુ પણ કોઈ પણ સમયે સત્કાર્ય કરવા અ-સમર્થ થાય છે.
જેમ,રેતીમાં તેલ નથી,તેમ,સુવર્ણમાં સુવર્ણ સિવાય-વીંટી-પણું નથી.
સાચી વસ્તુ થી જ વ્યવહાર થાય અને મિથ્યા વસ્તુ થી ના થાય,એવો કોઈ નિયમ નથી,
કારણકે કોઈ વખતે,મિથ્યા વસ્તુ પણ,સાચું કામ કરે છે.
જેમ,ઝેરમાં અમૃત ની ભાવના દૃઢ થવાથી,ઝેર પણ અમૃતનું કામ કરે છે,
તેમ,સાચી અથવા ખોટી વસ્તુનો,હૃદયમાં દૃઢ નિશ્ચય થયો હોય,તે વસ્તુ તેવા જ અર્થવાળી ક્રિયા કરે છે.
જે આ દેખાય છે તે-પરમ "અવિદ્યા" છે અને તે જ "માયા" છે,તે જ "સંસૃતિ" છે.અને
તેથી જ અસત્ પદાર્થમાં "અહંતા"-પણાની ભાવના થાય છે.
જેમ,સુવર્ણમાં વીંટી-પણું વગેરે ની ભાવ નથી, કે આત્મામાં અહંતા-પણ નો ભાવ નથી,
આમ,સ્વચ્છ અને શાંત પરમાત્મામાં અહંતાનો અભાવ છે.
સત્ય વિચાર કરતાં -પરમાત્મા વિના કોઈ સનાતન-પણું નથી,કોઈ બ્રહ્માંડ-પણું નથી,
કોઈ પ્રજાપતિ-પણું,સ્વર્ગ-પણું,મન-પણું,દેહ-પણું,મહાભૂત-પણું,કારણ-પણું,ભાવ-પણું,અભાવ-પણું,
ત્વમ-પણું,અહં-પણું,સત્તા કે અસત્તા-પણું,રાગ કે પ્રીતિ-પણું-એ કશું પણ નથી.
સર્વ જગત નું પરમ-અર્થ-રૂપ એ "અધિષ્ઠાન ની સત્તા" થી,સ્વયં-પ્રકાશ છે,નામ-રહિત,કારણ-રહિત,
ઉત્પત્તિ અને નાશ ના વિકાર રહિત,મધ્ય તથા અંત રહિત,સર્વ-રૂપ નહિ છતાં સર્વ-રૂપ છે.
મન અને વચન થી ગ્રહણ ના થાય તેવું છે,શૂન્ય થી પણ શૂન્ય છે,અને સુખ થી પણ સુખતર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE