Sep 26, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-293



વસિષ્ઠ કહે છે કે-જેમ,દામ-વગેરે દૈત્યો "માયામય હોવાને લીધે" ખોટા જ હતા,છતાં,ઝાંઝવાનાં પાણીના પુર ની જેમ સાચા જેવા લાગ્યા હતા,તેમ સુર,અસુર અને દાનવો સહિત આપણે પણ ખોટા જ છીએ અને ખોટા છતાં પણ ચેષ્ટા કરીએ છીએ.જઈએ છીએ અને આવીએ છીએ.
"રામ-પણું" પણ ખોટું છે અને "વસિષ્ઠ-પણું" પણ ખોટું છે.
તેમ જ આપણા શરીરો આપણા અનુભવમાં આવવા છતાં પણ ખોટાં જ છે.(અજ્ઞાન થી તે સાચાં લાગે છે)

જેમ,મરી ગયેલો કોઈ સંબંધી,સ્વપ્નમાં જીવતો હોવા છતાં,પણ વાસ્તવિક રીતે તો મૂએલો જ હોય છે,
તેમ,આ જગત અજ્ઞાન-કાળમાં સાચું દેખાવા છતાં જ્ઞાન થાય છે ત્યારે ખોટું જ છે.
અત્યંત મૂઢ (મૂર્ખ) મનુષ્યને "આ જગત ખોટું છે" એમ કહીએ તો-તે મનુષ્ય આ વાત ખોટી જ માને,
કારણકે,"તત્વ-વિચાર નો અભ્યાસ" કર્યા વિના,આ વાત તેના ગળે (મનમાં) ઉતરે તેવી નથી જ.
આ જગતમાં કોઈ પણ,માણસ ને મનમાં જે-દૃઢ નિશ્ચય (જગત સાચું છે-તેવો) થઇ ગયો હોય,
તે નિશ્ચય "તત્વ-વિચાર" ના અભ્યાસ વગર,કદી પણ નાશ પામી શકે જ નહિ.

"આ જગત ખોટું છે અને બ્રહ્મ જ સત્ય છે" એમ જે મનુષ્ય વાત કરે છે,તે મનુષ્યને -
બીજા મૂઢ (મૂર્ખ) મનુષ્યો,ઘેલા (ગાંડા) જેવો ગણીને હસી કાઢે છે,બાકી (સત્યમાં) ઘેલા તો તે મૂઢ મનુષ્યો જ છે.
આ પ્રમાણે,જો કે અજ્ઞાનીની  વાતને જ્ઞાની માને નહિ અને જ્ઞાની ની વાત અજ્ઞાની માને નહિ, પરસ્પર સરખું છે.તો પણ,જ્ઞાની અને અજ્ઞાની એ સરખા સંભવે જ નહિ,
જેમ,અંધકાર અને પ્રકાશ સરખો ગણાય નહિ,છાયા અને તડકો સરખાં ગણાય નહિ,
તેમ,જ્ઞાની અને અજ્ઞાની સરખા ગણાય જ નહિ.

મૂર્ખ મનુષ્યને મોટા પ્રયત્નથી સમજાવવા લાગીએ,તો પણ,તે પ્રત્યક્ષ અનુભવમાં આવતા,જગત ને મિથ્યા
માની શકે જ નહિ,અને તેથી તે મૂર્ખ મનુષ્યની આગળ,"આ સઘળું જગત બ્રહ્મ જ છે" એમ કહેવું પણ
બંધ-બેસતું (બરોબર) નથી,કારણકે,,તપનો અને વિદ્યા નો સંસ્કાર નહિ હોવાને લીધે,તે અજ્ઞાનીએ,
બ્રહ્મ નો નહિ પણ જગત નો જ અનુભવ કર્યો હોય છે.

હે,રામ,જે પુરુષ અત્યંત અજ્ઞાની ના હોય કે અત્યંત જ્ઞાની પણ ના હોય,તેની પાસે જ જગતના અસત્ય-પણાની અને બ્રહ્મ ના અભિન્નપણા ની વાત કરવી શોભે છે.
અત્યંત જ્ઞાની પુરુષ -તો-પોતાના સ્વ-રૂપ સિવાય બીજું કંઈ જોતો નથી,તેથી તેની પાસે,જગતનો નિષેધ
સંભવતો જ નથી.કારણકે,જેની દ્રષ્ટિમાં "જગત" હોય તેની પાસે જગત નો નિષેધ કરવો સંભવે,પણ,
જ્ઞાની તો "આ સઘળું જે છે તે શાંત પર-બ્રહ્મ જ છે" એવો સર્વદા અનુભવ કર્યા કરે છે.
"મારામાં મારા સ્વ-રૂપ સિવાય બીજું કશું છે જ નહિ અને જેમ સોનામાં,દાગીના-વગેરે નો જે આકાર થાય છે,
તેમ મારામાં બીજો કોઈ આકાર થયો જ નથી" એ રીતે અત્યંત જ્ઞાની પુરુષ સારી પેઠે સમજે છે.

એવી જ રીતે,અત્યંત અજ્ઞાની પુરુષ,પોતાનામાં "પંચભૌતિક-પણા" (શરીર) વિના બીજું કશું જાણતો જ નથી,
તેથી જેમ,વીંટી-વગેરે દાગીના ને જોનાર બાળક ની દ્રષ્ટિમાં સોનું હોતું નથી,
તેમ,અજ્ઞાનીની દ્રષ્ટિમાં "બ્રહ્મ" હોતું જ નથી.માટે તેની પાસે જગત નો "નિષેધ" કરીને બ્રહ્મનું સ્થાપન કરવાની વાત કરવી સંભવતી નથી.એવો મૂઢ મનુષ્ય ખોટા "અહંકાર-મય" જ હોય છે,અને,(તેવી જ રીતે)
જ્ઞાની (તત્વ-વેત્તા) મનુષ્ય તો સાચા "આત્મા-મય" જ હોય છે,માટે તેમની પાસે જગતનો નિષેધ કરીને
બ્રહ્મ'નું સ્થાપન કરવાની વાત ઘટતી નથી.
અત્યંત અજ્ઞાની મનુષ્ય પોતાની પેઠે સર્વને (જગતના સર્વ મનુષ્યોને) દેહમય જ સમજે છે,માટે,
તેની પાસે "હું બ્રહ્મ છું" એમ કહેવા બેસીએ તો-તે આપણા વાક્ય ને મૂર્ખાઈ ભરેલું જ ગણે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE