Oct 16, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-313



રામ કહે છે કે-હે,ભગવન,આપનાં વાક્યોનો સંદર્ભ,પરસ્પર થી અત્યંત વિરુદ્ધ જણાય છે,આથી તેનો અભિપ્રાય મારા સમજમાં આવતો નથી.જેને (જે બ્રહ્મને) ઇન્દ્રિયો પહોંચી શકતી નથી એવું તે ચૈતન્યાત્મક બ્રહ્મ ક્યાં? અને જડ-રૂપ આ પ્રપંચ ની રચના ક્યાં? ચૈતન્ય માંથી જડ ઉત્પન્ન થાય છે તેમ કહેવું જ સંભવતું નથી,અને જો આ પ્રપંચ બ્રહ્મ થી જ થયો હોય તો, બ્રહ્મ જેવો જ હોવો જોઈએ.
'જે જેમાંથી ઉત્પન્ન થયું હોય તે તેવું જ હોવું જોઈએ' એવો નિયમ સામાન્ય રીતે દેખાય છે.
જેમ કે દીવામાંથી ઉત્પન્ન થયેલો દીવો દીવા જેવો જ દેખાય છે,પુરુષ થી ઉત્પન્ન થયેલો પુરુષ-પુરુષ જેવો જ દેખાય છે,ધાન્યમાંથી ઉત્પન્ન થયેલું  ધાન્ય-એ ધાન્ય જેવું જ દેખાય છે.
આમ છે તેથી,પ્રપંચ જો નિર્વિકાર બ્રહ્મ થી ઉત્પન્ન થયો હોય તો,તે નિર્વિકાર જ હોવો જોઈએ.પણ જડ હોવો જોઈએ નહિ.પણ પ્રપંચ તો જડ છે ને પરમાત્મા થી જુદો છે.
આથી  નિષ્કલંક પરમાત્મા માં -જડ પદાર્થની ઉત્પત્તિ-રૂપ-કલંક પ્રાપ્ત થાય છે -એવું શું ના કહી શકાય?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જે કંઈ આ જગત દેખાય છે તે બ્રહ્મ જ છે.અને બ્રહ્મ માં કોઈ પ્રકારનો મેલ છે જ નહિ.
જેમ,સમુદ્રમાં  તરંગોના સમૂહ-રૂપે જળ જ સ્ફુરે છે,પણ ધૂળ સ્ફુરતી નથી,
તેમ,બ્રહ્મમાં પ્રપંચ-રૂપે ચૈતન્ય જ સ્ફુરે છે,પણ,જડ (પ્રપંચ) સ્ફુરતું નથી જ.
બ્રહ્મમાં ચૈતન્ય-પણ વિના બીજી કોઈ કલ્પના નથી.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,બ્રહ્મ તો દુઃખ-રહિત છે,ત્યારે બ્રહ્મ થી ઉત્પન્ન થયેલું જગત દુઃખ-મય જ છે,માટે બ્રહ્મની અને જગતની એકતા હોવી જોઈએ નહિ.આમ છતાં આપ એકતા કહો છે,તે મારાથી સમજાતું નથી.

વસિષ્ઠ અને રામ નો આ સંવાદ જ્યાં થાય છે ત્યાં વાલ્મીકિ પણ બેઠા છે,અને (હવે) વાલ્મીકિ લખે (કહે) છે કે-આ પ્રમાણે રામચંદ્રજીએ શંકા વ્યક્ત કરી ત્યારે મુનિવર વસિષ્ઠજીએ રામને ઉપદેશ કરવાના સંબંધમાં એવો વિચાર કર્યો કે-હજી આ રામની બુદ્ધિ 'અત્યંત પ્રફુલ્લિત' થઇ નથી,પણ કંઈક થોડે અંશે માત્ર નિર્મળ થયેલી છે,તેથી તે જગત સંબંધી તર્કોમાં તણાતી જાય છે.(અને બ્રહ્મ માં જગત-રૂપી દોષ વિષે વિચારે છે) પણ,જે પુરુષ બ્રહ્મ-વિચારમાં પ્રવીણ થયો હોય,જાણવાનું જાણી ચુક્યો હોય,અને
જે પુરુષ,વિવેક ના બળથી,મોહ ના ઉપાય-રૂપ એવી વાણી થી પાર પહોંચ્યો હોય,તે પુરુષની દ્રષ્ટિથી તો
બ્રહ્મ માં કોઈ દોષ નથી.કારણકે ચૈતન્ય-રૂપી પર-બ્રહ્મ માં ક્યાંય જગત-રૂપી મેલ છે જ નહિ.

આ વિષય જ્યાં સુધી રામને ચોખ્ખે ચોખ્ખો કહેવામાં આવશે નહિ,ત્યાં સુધી રામને વિશ્રાંતિ (શાંતિ) મળશે નહિ,પરંતુ રામની બુદ્ધિ હજી સુધી પૂર્ણ રીતે પ્રવીણ (વ્યુત્પન્ન) થઇ નથી,માટે રામની પાસે ચોખ્ખે ચોખ્ખી વાત કહી દેવી અનુકૂળ પડે તેમ નથી. રામ હજી ભોગ-દૃષ્ટિ થી જ દ્રશ્યો (જગત) ની ભાવના કરે છે.
એટલે તેમનો બોધ (જ્ઞાન) માં પ્રવેશ થતો નથી.
જેને બ્રહ્મ-દૃષ્ટિ થઇ હોય તેને ભોગ ની ઈચ્છા થાય જ નહિ.અને જયારે આવી ભોગ ની ઈચ્છા ના રહી હોય,
ત્યારે જ "સઘળું બ્રહ્મ છે" એવા સિદ્ધાંત નો ઉપદેશ કરવો યોગ્ય છે.

પ્રથમ તો ગુરુએ શમ-દમ-આદિ ગુણો થી શિષ્ય ને શુભ (પવિત્ર કે ચોખ્ખો) કરવો જોઈએ,અને પછી -
'સઘળું બ્રહ્મ છે-અને તું પણ શુદ્ધ બ્રહ્મ છે' તેવો બોધ કરવો જોઈએ.જે શિષ્ય અર્ધું સમજેલો હોય તેને આવો બોધ આપવાથી ગુરૂ તે શિષ્ય ને મોટા નર્કોના સમુહમાં જ નાખે છે.
જેને ભોગોની ઈચ્છા ટળી ગઈ હોય,મનોરથો રહ્યા ન હોય,અને જેની બુદ્ધિ વ્યુત્પન્ન (પ્રવીણ) થયેલી હોય,
તેવા મહાત્મા શિષ્ય ને જ 'સઘળું બ્રહ્મ છે-બ્રહ્મમાં અવિદ્યા-રૂપી મેલ છે જ નહિ' એમ ઉપદેશ કરવો યોગ્ય છે.

શિષ્ય ની બુદ્ધિની પરીક્ષા કર્યા વગર જે ગુરૂ તેને બોધ આપે છે,તે મૂઢ-બુદ્ધિવાળો ગુરૂ જ જગતનો પ્રલય થતાં સુધી નર્ક માં પડ્યો રહે છે.એટલે વસિષ્ઠે હવે આવા પ્રકારનો કંઈક વિચાર કરીને રામને કહ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE