Nov 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-353

પર-બ્રહ્મમાંથી થયેલા બ્રહ્માના મન ની કલ્પનાથી પ્રજાપતિઓ ઉત્પન્ન થયા છે,અને આ પ્રજાપતિની પદવી,એ તેમની ઉપાસનાઓના ફળ-રૂપ છે.
એથી તેઓ શુદ્ધ અંતઃકરણવાળા હોવાથી,થોડા જ પ્રયત્ન થી જ્ઞાનને પ્રાપ્ત થઇ શકે છે.અને દેવ-વર્ગ ના લોકો કરતાં વહેલું  જીવન-મુક્તપણું પામવાને યોગ્ય છે.
કારણકે,પ્રજાપતિઓની સૃષ્ટિ સ્થિર થયા પછી,બ્રહ્માના મન ની કલ્પનાથી,દેવો નો જન્મ છે અને દેવ-વર્ગ ની પદવી-તે તેમના "યજ્ઞો" (કર્મો) ના ફળ-રૂપ છે.
મનુષ્યો તો પાપ-પુણ્યના મિશ્રણપણાથી ઉત્પન્ન થયા છે,માટે તેઓ વધારે મલિન અંતકરણ-વાળા છે.તેઓ જો બહુ પ્રયત્નથી સત્સંગ,ઇન્દ્રિયો પર જય અને શ્રવણ-મનન વગેરે નો જ્ઞાનની પ્રાપ્તિ સુધી અભ્યાસ કરે તો જ તેઓ જ્ઞાનને પ્રાપ્ત થઇ શકે છે.આમ,તેઓ માંડ-માંડ જીવન-મુક્તપણું પામે છે.

પ્રજાપતિ,દેવો કે મનુષ્યો-એ કોઈ પણ યોનિમાં જીવ જન્મ પામેલો હોય-પણ,
-તેને સજ્જનો નો સંગ મળે તો જ તે જન્મ માં સજ્જન ના ગુણો પ્રાપ્ત થાય છે,અને
-જો તેને દુર્જનો નો સંગ મળે તો તે જન્મ માં દુર્જન ના ગુણો તેને પ્રાપ્ત થાય છે.
એટલા માટે સર્વે એ દુર્જનો નો સંગ છોડી ને સજ્જનો ના સત્સંગ માં રહેવું -એ જ યોગ્ય છે.

(૬૦) શરીરગ્રહણનો ક્રમ અને તત્વવેત્તાઓની પ્રશંસા

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,સર્વ લોકોના પિતામહ,ભગવાન બ્રહ્મા મોટા મન-રૂપ છે.તે જયારે સૃષ્ટિની વ્યવસ્થા કરવા લાગે છે ત્યારે,આ જગત-રૂપી જુનો રેંટ (કૂવામાંથી પાણી બહાર કાઢવા ની યંત્ર જેવી જુની વ્યવસ્થા)
તૃષ્ણા-રૂપી રજ્જુથી પોતાની રીતિ પ્રમાણે ચાલ્યા કરે છે.તે રજ્જુમાં અનેક પ્રાણીઓ-રૂપી ઘડાઓ પરોવાયેલા છે.

સમુદ્રના તરંગો જેમ બહાર આવે છે અને પાછા અંદર સમાઈ જાય છે,તેમ,આદિ-અંત થી રહિત પર-બ્રહ્મમાંથી સંકલ્પ ને લીધે ઉત્પન્ન થતા જીવો તેમાંથી બહાર આવે છે અને પાછા તેમાં સમાઈ જાય છે.
બહાર આવેલા "જીવો",તે પર-બ્રહ્મમાં જ કલ્પિત થયેલા આકાશમાં પ્રવેશ કરી આકાશથી તથા આકાશ ના જેવાં જ સૂક્ષ્મ તત્વો-પૃથ્વી-જળ-તેજ-વાયુ તથા પ્રાણ ની સાથે એકતા કરીને "લિંગ-શરીર" (ના અધ્યાસ) ને પામે છે.

આ લિંગ-શરીરો "જીવો"ને વશ કરી લે છે.અને લિંગ-શરીરોના અધ્યાસ ને પામેલા જીવોમાંના કેટલાએક જીવો,"મિશ્રિત-કર્મો-વાળા" હોય છે.તેઓ અન્ન-વગેરે દ્વારા મનુષ્યના શરીરોમાં પ્રવેશ કરીને,વીર્ય-રૂપ થઇ,
માતાઓના ગર્ભ માં પ્રવેશ કરીને જગતમાં "શરીર" રૂપે જન્મ ધરે છે.
કે જેઓ (જે શરીરો) દેવો-વગેરે કરતાં ઓછા જ્ઞાન-વાળા "મનુષ્યો" કહેવાય છે.

જેઓએ પૂર્વજન્મમાં મુખ્યત્વે કરીને "યજ્ઞાદિક-કર્મો"જ કરેલાં હોય,તે "જીવો" (ઉપર કહ્યા મુજબ)
લિંગ શરીરના અધ્યાસ પામીને,પ્રથમ આકાશમાં રહે છે,પછી નંદન-આદિ વનોમાં ફળો-રૂપે પ્રવેશ કરે છે,
અને તે ફળો સૂર્ય-ચંદ્ર ના કિરણોનો સંસર્ગ પામીને,પોતાની મેળે રસથી પુષ્ટ થઇ પોતાની અલગ સ્થિતિ બાંધે છે.તે ફળો નું પ્રજાપતિઓ (કશ્યપ-વગેરે) ભક્ષણ કરે છે.અને તે ફળો (જીવો) વીર્ય-પણાને પ્રાપ્ત થાય છે.(નોંધ-આગળ આવી ગયું છે કે-પ્રજાપતિઓ એ બ્રહ્માના મન ના સંકલ્પ થી બનેલા છે!!)

પછી તે માતાઓ (અદિતિ-વગેરે) ના ગર્ભ-પિંજર માં પ્રવેશ કરીને જન્મ (શરીર) ધારણ કરે છે.
કે જેઓ મનુષ્ય (શરીર) ના કરતાં અધિક જ્ઞાન-વાળા "દેવો" (ગંધર્વો-યક્ષો-વગેરે) કહેવાય છે.
(નોંધ-દેવો મૈથુની-સૃષ્ટિ ના છે!)

જેમની વાસનાઓ સ્પષ્ટ (પ્રગટ) થયેલી ન હોય (જેવી રીતે બીજમાં અંકુર-પાંદડાં વગેરે પ્રગટ નથી-તેમ)
એવા "જીવો" સ્પષ્ટ-વાસના-વાળી (પ્રગટ થઇ ગયેલી) માતાઓના ગર્ભ-પિંજર માં રહે છે.
એટલે કે "માયાના સંબંધ-વાળા બ્રહ્મ" માંથી નીકળેલા "જીવો" બીજા "જીવો" માં રહીને પ્રગટ (સ્પષ્ટ) થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE