Dec 9, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-362

(૫) મનોમય જગતની સ્થિતિને શાંત કરવાનો ક્રમ
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ઉતમ સિદ્ધાંતોથી રમણીય લાગે એવું અને મુક્તિ આપનારું,આ ઉપશમ (નિવૃત્તિ) પ્રકરણ હવે હું કહું છું તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળો.
જેમ,સારા થાંભલાઓથી માંડવો ટકી રહે છે,તેમ 'રજોગુણી અને તમોગુણી' જીવો થી જ આ સંસાર-રૂપી લાંબી માયા,ટકી રહી છે.'સાત્વિક' જન્મવાળા અને તમારા જેવા ધીર પુરુષો તો -આ અનાદિ-કાળની માયાને લીલા-માત્રમાં છોડી દે છે.

હે,રામ,શુદ્ધ 'સાત્વિક' જન્મ-વાળા અને 'રજોગુણથી મિશ્રિત સાત્વિક' જન્મો-વાળા જે સમજુ પુરુષો હોય છે તે,
તેઓ જગતનાં કારણો ની પરંપરા નો 'વિચાર' કરે છે.
શાસ્ત્રોના,સજ્જનોના અને શુભ-કાર્યો (શુભ-કર્મો)ના સંગથી જેમનાં પાપ ટળી ગયા હોય છે,
તે પુરુષોની 'બુદ્ધિ',સત્ય પદાર્થ નું "અવલોકન" કરવામાં દીવા જેવી (પ્રકાશમાન) થાય છે.
પોતાની રુચિ વડે અને પોતાની 'બુદ્ધિ' થી જ 'વિચાર' કરીને,
જ્યાં  સુધી જાણવા યોગ્ય વસ્તુ (બ્રહ્મ) ન જાણી હોય,ત્યાં સુધી તે વસ્તુ (બ્રહ્મ) ની પ્રાપ્તિ થતી નથી.

હે,રામ,બુદ્ધિવાળા-નીતિવાળા-ધીર-અને ઉત્તમ કુળમાં જન્મેલા
"રજોગુણ થી મિશ્રિત-સાત્વિક-જાતિઓવાળા"માં (રાજાઓ ના કુળમાં) તમે 'મુખ્ય'  છો.
તમે આ જોવામાં આવતા સંસારના આરંભોમાં "સાચું શું છે? અને ખોટું શું છે?"
એ -પોતાની મેળે જ વિચારીને -જે સત્ય હોય તેમાં જ તત્પર થાઓ.

જે વસ્તુ 'આદિ'માં પણ અવિચળ હોય અને 'અંત'માં પણ અવિચળ હોય,તે (બ્રહ્મ) જ "સત્ય" કહેવાય.
બીજું કોઈ (બીજી કોઈ કાસ્તુ-એટલે કે માયા) સત્ય-કહેવાય નહિ.
આથી- જે વસ્તુ આદિ-કે-અંતમાં રહેનાર ના હોય તે વસ્તુ (માયા) માં જેનું મન આસકત થાય -
તે પશુ જેવો મૂઢ છે.તે મનુષ્ય ને 'વિવેક' શાથી પ્રાપ્ત થાય?
આ સંસારમાં મન જ જન્મે છે,વધે છે અને બ્રહ્મ-વિદ્યા-રૂપી-વિચારથી મોક્ષ પામે છે.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,આ જગતમાં મન જ સંસાર છે અને જરા (વૃદ્ધાવસ્થા) તથા મરણ નું પાત્ર એ જ છે,
એ મારા જાણવામાં હવે આવ્યું છે.હવે તે મન નો ઉદ્ધાર કરવાનો જે ઉપાય હોય તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રથમ તો શાસ્ત્રથી,ઉત્તમ વૈરાગ્યથી અને સજ્જનોના સંગ થી મન ને પવિત્ર કરો.
અને ત્યારે-તે-મન અભિમાનથી રહિત થઈને વૈરાગ્ય ને પ્રાપ્ત થાય છે,
અથવા- "શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથી તથા બ્રહ્મત્વ ના અનુભવથી  
તે મન ને સારી રીતે સમજાવવામાં સમર્થ એવા ગુરૂ "ને શરણે જવું.
ગુરુએ બતાવેલ માર્ગથી સગુણ ઈશ્વરનું ધ્યાન-પૂજન કરીને (પણ)પુરુષ અનુક્રમે પરમ પદને પ્રાપ્ત થાય છે.

શુદ્ધ 'મન' વડે નિર્મળ "વિચાર" કરવામાં આવે તો સઘળું જગત આત્માથી જ ભરપૂર જોવામાં આવે છે.
'વિચાર' થી સત્ય વસ્તુને જાણનારા પુરુષની 'બુદ્ધિ',સઘળાં માનસિક દુઃખોને દૂર કરી નાખે છે.
આ 'દેહ' અને 'આત્મા' -મિશ્રિત થઇ ગયેલા છે,તેમાં "આ આત્મા છે અને આ શરીર છે" એવું જ્ઞાન---
વિવેચન (વિચાર થી વિવેચન) કરનારા વિચક્ષણ પુરુષને જ થાય છે.બીજા પુરુષને નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE