Dec 13, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-366

(૭) વ્યુત્પન્ન (નિષ્ણાત કે પ્રવીણ) ચિત્ત-વાળાને અચાનક જ્ઞાન-પ્રાપ્તિ થાય છે
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,લાંબા કાળ (સમય) સુધી ગુરુનું સેવન કરીને તેમની પાસેથી જ્ઞાન મેળવવાનો આ ક્રમ -
સર્વ મનુષ્યોને વાસ્તે "સાધારણ" છે.હવે એક બીજો વિશેષ ક્રમ કહું છું તે તમે સાંભળો.
આ સંસારની મોટી ગરબડમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓને મોક્ષ આપે તેવા -બે -જ ઉત્તમ ક્રમ છે.
પહેલો ક્રમ એ છે કે-
ગુરુના કહ્યા પ્રમાણે ચાલવાથી (કરવાથી) ધીરે ધીરે -એક જન્મમાં કે ઘણા જન્મોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
બીજો ક્રમ  એ છે કે-
પોતાના "વિચાર" થી જ કંઈક વ્યુત્પન્ન (નિષ્ણાત કે પ્રવીણ) થયેલા ચિત્ત-વાળાઓને -અમુક કાળે -આકાશમાંથી પડેલા ફળ ની પ્રાપ્તિ ની જેમ અચાનક જ જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે.


છેલ્લા જન્મ-વાળા અને જેમનાં પૂર્વ-કૃત (પૂર્વે કરેલાં) પાપ-પુણ્યો-રૂપી પ્રતિબંધો -ટળી ગયા હોય,

એવા ભાગ્યશાળી લોકો અચાનક આવી પડેલા ઉત્તમ વિવેક (જ્ઞાન) નો લાભ મેળવી લે છે,
આવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ થવાના વિષયમાં એક જુનો વૃતાંત (કથા) કહું છું તે તમે સાંભળો.

(૮) સિદ્ધ-ગીતા

વસિષ્ઠ કહે છે કે-હે,રામ વિદેહ દેશનો જનક નામે એક રાજા છે,તેની સઘળી વિપત્તિઓ નાશ પામી છે
અને સર્વ સંપત્તિઓ નિત્ય વધી રહી છે.તે ઉદાર બુદ્ધિનો છે અને વીર્યવાન છે.
તે રાજા યાચક લોકોને માટે કલ્પવૃક્ષ સમાન છે,મિત્રો-રૂપી-કમળો માટે સૂર્ય-સમાન છે,
બંધુઓ-રૂપી-પુષ્પો ને માટે વસંત સમાન છે,
અને પૃથ્વીનું પાલન કરવા સાક્ષાત વિષ્ણુ જ અવતરેલા હોય એવો છે.

તે જનકરાજા એક દિવસ વિહાર કરવા,એક સુંદર બગીચામાં ગયો.
ફરતાં ફરતાં તે કોઈ તમાલ-વનની કુંજમાં ગયો,
ત્યાં આગળ નિત્ય એકાંતમાં જ પર્વતની ગુફાઓમાં રહેનારા કોઈ અદૃશ્ય સિદ્ધ લોકો -
પોતાને (જનકને) જ ઉદ્દેશી ને કહેતા હોય,તેવી (નીચે મુજબની)
શ્રવણ-માત્ર થી આત્માનો સાક્ષાત્કાર કરાવી દે,
તેવી (નીચે મુજબની) ગીતાઓ (સિદ્ધ-ગીતા) બોલ્યા-કે જે તેના (જનકના) સાંભળવામાં આવી.

કેટલાએક સિદ્ધો બોલ્યા-કે-જે આત્મા દ્રષ્ટા(બ્રહ્મ)-પણાના અને દ્રશ્યો (જગત અને પદાર્થો) ના અજ્ઞાનને લીધે-તુચ્છ વિષયોના આનંદને જ પુરુષાર્થ માની લઈને-જન્મ-મરણ પામ્યા કરે છે -
તે જ આત્મા ને અમે શ્રવણ-આદિ થી થયેલી અખંડાકાર (જ્ઞાનની) વૃત્તિ વડે,
પરબ્રહ્મ સમજીએ છીએ.અને નિરંતર તેનું જ અનુસંધાન કર્યા કરીએ છીએ.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-દ્રષ્ટાને,દર્શનો ને,દ્રશ્યોને અને તેમની વાસનાઓને પણ છોડી દઈને અમે
"એ સર્વની ઉત્પત્તિના સાક્ષી-રૂપે"  તથા "સર્વ થી પ્રથમ જ સિદ્ધ થતા"
આત્મા નું નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-જે આત્મા "જગત છે અને જગત નથી" એ બંને પક્ષોના અધિષ્ઠાન-રૂપ છે-
અને સઘળા ભાવોનો તથા અભાવોનો પ્રકાશક છે-તેનું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ.

કેટલાએક સિદ્ધો બોલ્યા કે-આ સઘળું બ્રહ્માંડ જેમાં છે-જેનું છે-જેને અર્થે છે-જેના થકી છે-અને જે રૂપ છે-
તે સત્ય-આત્મા નું જ અમે નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE