Apr 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-495

(૭૩) અહંકાર નષ્ટ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે
વસિષ્ઠ કહે છે કે-હવે એક બીજો વિચાર કહું છું-કે જે-વિચાર-રૂપી દૃષ્ટિથી તમે આત્માને અવિચળ દેખશો,અને,દિવ્ય-દૃષ્ટિ-વાળા થશો. "હું" કે જે આત્મા છું,તે જ બ્રહ્માંડોમાં સર્વ સ્થળે રહ્યો છું,હું આ તુચ્છ-દેહ-રૂપ નથી,અને દેહાદિ માત્રથી જુદાં પણ નથી,હું કે જે સર્વ-સ્વ-રૂપે એક જ છું,તેમાં મારો પોતાનો જ ભેદ બતાવનાર "દ્વૈત" જ કેમ હોય? " એવી રીતનો નિશ્ચય રાખીને પોતાનામાં રહેલા,આ સઘળા જગતને પોતા-રૂપ જુઓ.અને આમ જોવાથી તમે હર્ષ-શોક ને પરવશ થઈને-તેઓથી પરાભવ પામશો નહિ.

હે રામ, જયારે આ સઘળું જગત એ રીતે જ જોવામાં આવે તો પછી કયો પદાર્થ પોતાનો કે પારકો રહે?
જે કંઈ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એવું છે તે શું આત્મા થી જુદું રહે?
આમ છતાં પણ લોકો હર્ષ-શોકને ધારે છે-તો તે તેઓની ભૂલ જ છે.
જ્ઞાની થઈને જો -તે હર્ષ-શોકને ધરતો હોય તો તેને અજ્ઞાની (દેહમય) જ સમજવો.

પરમાર્થ(પરમ-અર્થ)ને લગતા હોવાને લીધે મોક્ષને આપનારા -બે-"અહંકારો" સાત્વિક-કે -નિર્મળ કહેવાય છે.
"હું અત્યંત સૂક્ષ્મ છું,અને સર્વથી ન્યારા-સ્વ-રૂપ-વાળો છું" એ પહેલો અહંકાર છે અને-
"સઘળું જગત હું જ છું" એવા પ્રકારનો બીજો અહંકાર છે.
"હું દેહ છું" એવા પ્રકારનો જે ત્રીજો અહંકાર છે તે-શાંતિ માટે નહિ પણ દુઃખ માટે છે-એમ જ સમજો.
તમે મુક્તિને અર્થે એ ત્રણે અહંકારોને ત્યજી દઈને-સર્વનો ત્યાગ કરતાં જે પૂર્ણ-ચૈતન્ય અવશેષ રહે છે-
તેનું જ અવલંબન કરીને તેમાં જ સ્થિર થઇ તત્પર રહો.

આત્મા સર્વથી ન્યારા સ્વ-રૂપ-વાળો હોવા છતાં પણ પોતાની સત્તાથી નાશ પામતી સત્તા-વાળા જગતને પૂરનારો હોવાને લીધે સર્વનો પ્રકાશક થઈને સ્ફુરે છે.તમે પોતાના અનુભવથી જ તે જુઓ.
તમે પોતે એ સ્વયંપ્રકાશ આત્મા જ છો.તમે દેહાદિની વાસનાઓ સહિત અહંકારના અધ્યાસને છોડી દો.
હે રામ,એ આત્મા અનુમાનથી કે વેદનાં વાક્યોથી જણાય તેમ નથી,પણ અનુભવથી જ પ્રત્યક્ષ થાય છે.
સર્વ કાળમાં-સર્વ પ્રકારોથી જે કંઈ છે તે સઘળું આત્મા જ છે.

ઇન્દ્રિયોથી,શબ્દ-સ્પર્શ,રૂપ,રસ,ગંધ-એ વિષયોનાં જે જ્ઞાન થાય છે-તેમાં ઇન્દ્રિયો-રૂપી તથા વિષયો-રૂપી
ઉપાધિઓનો ત્યાગ કરતાં,જે અખંડ "અનુભવ" અવશેષ રહે છે-તે સ્વયં-પ્રકાશ આત્મા જ છે.
એ આત્મા કાર્ય-કારણ-સૂક્ષ્મ-સ્થૂળ પણ નથી અને કાર્ય-કારણ અને સ્થૂળ-સૂક્ષ્મ ના મધ્યમાં પણ નથી.
આમ છતાં પણ જે કંઈ સઘળું છે તે આત્મા જ છે.
જે બોલે છે-તે આત્મા જ બોલે છે-પણ તેને (એટલે કે તે કેવો છે? તે વિષે) કોઈ બોલી શકતું નથી.

હે,રામ,તમે એ અખંડ આત્માનું અવલોકન કરો."આ આત્મા છે અને આ અનાત્મા છે"
એવી રીતની સંજ્ઞાઓનો ભેદ પણ આત્માએ જ પોતાનામાં કલ્પેલો છે.
જો કે ત્રણે કાળમાં સ્વયંપ્રકાશ એ આત્મા સર્વત્ર રહેલો છે,તો પણ -અત્યંત સૂક્ષ્મપણા અને અત્યંત મોટાપણાને લીધે લોકોના જાણવામાં આવતો નથી.એ આત્મા પોતાના સ્વ-ભાવને લીધે અંતઃકરણ-રૂપી અરીસામાં જ જીવ-પણાથી પ્રતિબિમ્બિત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE