Jul 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-550

જગત બ્રહ્મનું જ સ્ફુરણ છે-કેમ કે જગતની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી,
જેમ પરમાત્મા-અને બ્રહ્મમાં ભેદ નથી તેમ બ્રહ્મ અને જગતમાં ભેદ નથી.
જેમ,મરીમાં તીખાશ રહેલી છે,તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ રહેલું છે,
માટે ચૈતન્ય અને બ્રહ્માંડ -એ ભિન્ન નહિ હોવાને લીધે,બ્રહ્માંડનાં ઉત્પત્તિ અને લય મિથ્યા જ છે.એટલા માટે તમે જગતને ઉત્પન્ન થવાની બુદ્ધિને તથા જગતના લય થવાની બુદ્ધિને પણ ત્યજી દો.

આ "રામ" એ નામથી વ્યવહાર કરતું તમારું જે શરીર છે-તે તમે પોતે નથી તો-તમે શા માટે રડો છો?
સઘળું જગત મિથ્યા જ છે અને મુદ્દલે છે જ નહિ,તો તમને દેહાદિક-ની કલ્પના શા માટે થવી જોઈએ?
જો " આ સઘળું જગત સર્વદા ચૈતન્ય-રૂપ જ છે" એમ માનતા હો-તો ચૈતન્ય ના સ્વભાવનો જ વિચાર કરો.

તમે ચિદાત્મા છો,અંશોથી રહિત છો,અને આદિ તથા અંતથી પણ રહિત છો.તમે પોતાના વ્યાપક સ્વ-રૂપનું સ્મરણ કરો.અને એ સ્વ-રૂપના વિસ્મરણ થી દેહાદિક-રૂપે  મર્યાદિત ના થાઓ.
તમે ચૈતન્ય-રૂપ સ્થિતિને પામી,અને નિરતિશય આનંદ-રૂપ-સૂર્યના ઉદય-વાળા થઈને,
આ મર્યાદિત જગતને પૂર્ણ સ્વ-ભાવ વાળું કરી દો.

તમે પૂર્ણ સ્વ-ભાવ-વાળા છો,શાંત છો,ચૈતન્ય છો અને બ્રહ્મ-રૂપ  છો.
તમારા આવા સ્વ-રૂપમાં વાણીની કે મનની પ્રવૃત્તિ થઇ શકતી નથી,માટે કહેવું પડે છે કે-
તમે જે છો -તે (ચૈતન્ય કે અપરોક્ષ) છો-અને પરોક્ષ જેવા નથી-કેમકે-તમે સ્વયં-પ્રકાશ છો.
જગતની ઉત્પત્તિ અને પ્રલય-રૂપ પણ તમે જ છો.
સઘળા પદાર્થોની અંદર જે પરસ્પર જુદાજુદા દેખાતા વ્યવહારો છે,
તે મિથ્યા હોવાને લીધે-તે તમે નથી,અને તે (વ્યવહારો) તમને પણ નથી.

તમે સ્વ-રૂપમાં રહેલા છો,સર્વ-રૂપ છો અને સર્વથી ન્યારા છો.
હે ચૈતન્ય-ઘન-રૂપ હું તમને પ્રણામ કરું છું.તમે આકાશની પેઠે નિર્લેપ છો,સુખ-દુઃખ-રૂપી વિકારો-વાળા નથી,
માટે સ્વસ્થ થાઓ.જેમ અરીસામાં પ્રતિબિંબ દેખાય છે
તેમ તમારા વ્યાપક ઉદરમાં કલ્પિત વાસનાઓની રેખાઓથી,સઘળાં બ્રહ્માંડો દેખાયા કરે છે.
હે રામ,તમે કે જે પૂર્ણ-સ્વ-ભાવ-વાળા છો-તેમને હું પ્રણામ કરું છું.

(૩) પૂર્ણ સ્થિતિની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જેમ સમુદ્રમાં ઉત્પન્ન થતા ઘણા ઘણા તરંગોના ભેદોની કલ્પનાઓનું -
અધિષ્ઠાન જળ છે-તેમ,જે ચૈતન્ય-અનંત બ્રહ્માંડોની કલ્પનાઓનું અધિષ્ઠાન છે-તે ચૈતન્ય તમે જ છો-
એવી ભાવના કરો.હે ચૈતન્ય-સ્વ-રૂપ,તમે જન્મ-મરણ અને સંસારના બંધનોથી રહિત છો.
માટે તમારામાં વાસના-વગેરે ક્યાં રહેલાં છે? તે તમે જ કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE