Aug 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-593

બહારથી અંદર આવેલો શ્વાસ પૂરો થયા પછી,જ્યાં સુધી હૃદયમાં ઉચ્છવાસ ઉદય પામ્યો ના હોય-ત્યાં સુધી ની અવસ્થા "કુંભક" કહેવાય છે.(કે જે માત્ર યોગીઓના અનુભવમાં આવે છે)
આવી જ રીતે બહાર (શરીરની બહાર) પણ રેચક-કુંભક-પૂરક ની અવસ્થા પ્રયત્ન વિના જ થાય છે.નાકની ટોચથી બહારનો બાર આંગળ-સુધીનો નીચેનો પ્રદેશ-કે જે શ્વાસને આવવાનું સ્થાન છે-તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક-કુંભક-રેચક-નામના ત્રણ સ્વભાવો થવાનું વિદ્વાનોએ જે કહ્યું છે,તે હું જણાવું છું.તેને તમે સાંભળો.

નાસિકાના અગ્રથી-બહાર-બાર આંગળ સુધીના (કલ્પિત) નીચેના આકાશમાં -
જે (કલ્પિત) બારમી આંગળનો છેડો નાસિકની સામે હોય છે-ત્યાં શ્વાસની જે સ્તંભિત સ્થિતિ હોય છે,
તે (બહારના કલ્પિત ભાગનો) કુંભક છે.
શરીરમાંથી બહાર આવતો ઉચ્છવાસ-રેચક- એ-બહારના કલ્પિત ભાગનો પૂરક છે.
શરીરમાં અંદર જતો શ્વાસ-પૂરક-એ બહારના કલ્પિત ભાગનો રેચક છે.

આ બહાર અને અંદરના જે નિરંતર પૂરક-રેચક-કુંભક -સ્વભાવો થયા કરે છે-તેઓની ઉપાસના કરવામાં
આવે તો (રાત્રિ-દિવસ -તેનું અનુસંધાન કરવામાં આવે તો) મુક્તિ પ્રાપ્ત થાય છે.
સ્વાભાવિક રીતે ચંચળ-એવા આ સ્વભાવો (રેચક-વગેરે) ના,"સ્મરણ" નો
ચાલતાં,બેસતાં,જાગતાં અને સૂતાં-પણ અભ્યાસ રાખવામાં આવે તો-
સમય પ્રાપ્ત થતાં-પવનની ગતિ બંધ પણ કરી શકાય છે!!

અને જો આ સ્વભાવો (રેચક-વગેરે) નું બુદ્ધિથી સારી પેઠે સ્મરણ રાખવામાં આવે તો-
જે કંઈ કરવામાં આવે કે જે કંઈ ભોગવવામાં આવે-તેમાં પોતાને કશું કર્તા-ભોક્તા-પણું પ્રાપ્ત થતું નથી.

આ પ્રાણ-ચિંતન ના કામ માં (શ્વાસ-ઉચ્છવાસને જોવા ના કામમાં) વળગી રહેનારું મન,
બાહ્ય વિષયોને પોતાની મેળે જ છોડતું જાય છે,તેથી કેટલેક વખતે પોતાની મેળે જ કેવળ-પદની પ્રાપ્તિ થાય છે.જે વિદ્વાનો આ પ્રાણ-ચિંતન નો અભ્યાસ રાખીને રહે છે-તેઓ શોકથી રહિત જ થઇ ચુક્યા છે,અને જે કંઈ પામવાનું છે તે -સંપૂર્ણ રીતે-પામી ચુક્યા છે તેમ જ સમજવું.
તેવા પુરુષોનું ચિત્ત,મોહ-મેલથી અને સ્વસ્થ થઈને-પ્રત્યક્ષ આત્મા માં જ રહે છે.સુખી રહે છે.

અપાન-રૂપ-ચંદ્ર દેહને સંતોષ-શાંતિ આપે છે,અને પ્રાણ-રૂપ-સૂર્ય,પ્રત્યેક ક્ષણમાં હૃદયના આકાશને તપાવીને,
પછી મોઢા આગળના આકાશને તપાવે છે,ત્યારે અપાન-રૂપ ચંદ્રમા,મોઢાના આગળના ભાગને ભીંજવી દઈને,પછી તરત જ હૃદયના આકાશને ભીંજવી દે છે.

અપાન-રૂપ ચન્દ્રના છેલ્લા ભાગને પ્રાણ-રૂપી સૂર્ય જે ઠેકાણે ગળી જાય છે-
તે પદને પામવાથી ફરીવાર શોક કરવો પડતો નથી.
પ્રાણ-રૂપ-સૂર્ય ના છેલ્લા ભાગને અપાન-રૂપ-ચંદ્ર જે ઠેકાણે ગળી જાય છે-
તે પદને પામીને મનુષ્યને ફરી પાછો જન્મ મળતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE