Dec 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-706

(૬૨) એક સન્યાસીને અનેક દેહ-પ્રાપ્તિનો ભ્રમ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ વિષયમાં હું એક ઈતિહાસ કે જેમાં
કોઈ એક વિચારશીલ સન્યાસીને જે કંઈ થયું હતું તેનું વર્ણન છે-તે કહું છું,તો તમે સાંભળો.
કોઈ એક સન્યાસી પોતાના આશ્રમને યોગ્ય,શ્રવણ,મનન અને સમાધિ-રચીને આખો દિવસ ગાળતો હતો.
સમાધિના અભ્યાસથી વાસનાઓનો ત્યાગ કરવામાં સમર્થ થયેલું તે સંન્યાસીનું ચિત્ત,
જે સ્થિતિનું ચિંતન કરતુ,તે સ્થિતિને તુરત જ પામતું હતું.

એકાગ્ર ચિત્ત-વાળો તે સન્યાસી એક દિવસે સમાધિમાંથી વિરામ પામી,આસાન પર બેઠો હતો,
ત્યાં તેને,કૈંક ક્રિયા(કર્મ) ના ક્રમનો વિચાર થયો.વિચાર કરતાં કરતાં -તેને પોતાની મેળે એવી વૃત્તિ ઉત્પન્ન થઇ કે -
"હું લીલાને માટે,શાસ્ત્રના સંસ્કાર વિનાના કોઈ પામર જન (મનુષ્ય) ની ચેષ્ટા ની તરત ભાવના કરું"
એ પ્રમાણે જયારે તેણે તે વિચાર કર્યો-એટલે એ સંન્યાસીનું ચિત્ત,
જેમ જળ,પ્રવાહ-પણાની સ્થિતિ નો ત્યાગ કરી ને ચકરીને પામતાં ચકરી-રૂપ થઇ જાય છે-
તેમ,સન્યાસીની પદ્ધતિ (સ્થિતિ) નો ત્યાગ કરીને કોઈ પામર ચિત્ત-મય-પુરુષ-રૂપ થઇ ગયું.

એ "ચિત્ત-મય" પુરુષે-સહસા પોતાની ઇચ્છાથી  "જીવટ" એ નામ ધારણ કરી લીધું,અને,
જીવટ નામનો એ સ્વપ્ન-પુરુષ,સ્વપ્નથી રચાયેલા કોઈ નગરના રાજમાર્ગો અને ગલીઓની અંદર
વિહાર કરવા લાગ્યો.જેમ ભમરો કમળનો રસ ચૂસે-તેમ,તેણે હર્ષથી લીલા-પૂર્વક મદિરાપાન કર્યું
અને તેનો નશો ચડવાથી,તે ગાઢ નિંદ્રામાં સુઈ ગયો.
તે ગાઢ નિંદ્રામાં "વેદોનો અભ્યાસ કરતો અને સારા કર્મો આચરતો હું બ્રાહ્મણ છું" એવું તેને સ્વપ્ન આવ્યું.
અને એ સ્વપ્નમાં પોતાને માંડલિક રાજા થતો જોયો.

એ માંડલિક રાજા,એક દિવસ આહાર કરીને ગાઢ નિંદ્રાથી સુતો હતો ત્યારે તેને,પોતે ચક્રવર્તી રાજા થયો છે-
તેવું સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં તેણે ભોગો ભોગવવાની ઈચ્છા થઇ,અને પોતાને અપ્સરા થયેલો જોયો.
એ અપ્સરા,અતિ-રતિ-ક્રિયાથી થાકીને નિંદ્રાવશ થઇ ત્યારે તેણે-પોતે મૃગલી બની છે-તેવું સ્વપ્ન જોયું.
તે મૃગલી નિંદ્રાવશ થઇ ત્યારે પોતે "હું લતા છું" એવું સ્વપ્ન જોયું.

પશુપક્ષીઓ-વગેરે  પણ,ચિત્તના સ્વ-ભાવને લીધે સ્વપ્ન જુએ છે-
કેમકે-દેખેલા અને સાંભળેલા વિષયોના સંસ્કારોનું ગ્રહણ કરી રાખવું -એ ચિત્તનો ધર્મ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE