Jan 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-737

પછી એ ચૂડાલાએ શાસ્ત્રાર્થો સાંભળીને,પોતાના આત્મા વિષે,રાત-દિવસ એ વિચાર કર્યો કે-
"હું શરીર સંબંધી વ્યાપારો કરતાં કે નહિ કરતાં પણ,વૃદ્ધિ પામેલી શુદ્ધ બુદ્ધિથી,પ્રથમ પોતાના આત્માનું અવલોકન કરું - કે-
હું પોતે કોણ છું?આ સંસાર-રૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે?શા કારણથી તે ભ્રમ ઉઠયો છે?
અને તે (ભ્રમ) ક્યાં  ઉઠયો છે? દેહ તો જડ તથા મૂઢ છે માટે હું દેહ તો નથી જ-એ નિશ્ચય છે."

"કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ" પણ જડ જ છે એમ જોવામાં આવે છે
કેમકે-એ સમૂહ "મન"થી જ ચલન કરે છે.
સંકલ્પ-શક્તિ-વાળું "મન" પણ જડ છે કેમ કે તે "બુદ્ધિ"ના નિશ્ચયોથી પ્રેરાય છે.
નિશ્ચય-રૂપ "બુદ્ધિ" પણ જડ છે કેમ કે-તે "અહંકાર" થી પ્રેરાય છે.
"અહંકાર" પણ સાર વિનાનો અને શબની પેઠે જડ છે કેમ કે-જીવે જ તેને અધ્યાસથી "કલ્પી" લીધો છે.
પ્રાણ-રૂપ-ઉપાધિ-વાળો અને હૃદયમાં રહેલો "જીવ" (પ્રાણ) જો કે ચેતન છે,તો પણ તે સુકુમાર હોવાને લીધે,
પોતાની અંદર રહેલા બીજા કોઇથી (આત્માથી કે સાક્ષીથી) પરિપૂર્ણ થઈને જીવે છે.(જીવે છે એટલે જીવ)

અહો,મારા જાણવામાં આવ્યું કે-દૃશ્યોપર નજર નાખવાથી પોતાનો સ્વભાવ ભૂલી ગયેલા,અનાદિ અને
ચૈતન્ય-રૂપ એ સાક્ષી-રૂપ "આત્મા"થી જીવ જીવે છે.(જેમ સુગંધ પવનથી જીવે છે તેમ)

દૃશ્ય-ભાગ (ઉપર કહેલો-એટલે કે મન-બુદ્ધિ) કે જે જડ અને અસત્ય છે,
તેના "અહંકાર" (અભિમાનની કલ્પના એટલે કે હું દેહ છું એવી કલ્પના) ને લીધે,
જીવ (પ્રાણ) ચૈતન્ય-રૂપ (આત્મા કે સાક્ષી-રૂપ) હોવા છતાં જડ (અવિદ્યા કે અજ્ઞાનમય) થઇ ગયેલો છે.
બુદ્ધિ-આદિમાં પ્રતિબિંબના આકારે પડેલા જીવે (અહંકારથી) પોતાનું રૂપ છોડી દીધું છે.

જયારે,ચૈતન્ય,દૃશ્યો સાથે વાસના વડે જોડાય છે,
ત્યારે તે ભાવના પ્રમાણે પોતે સ્થૂળ કે સુક્ષ્મ-રૂપ લે છે-અને પોતાનું પૂર્ણ-સ્વ-રૂપ ભૂલી જાય છે.
આ પ્રમાણે  ચૈતન્ય,દ્રશ્યોની સાથે સંબંધ કરીને જ પોતે જગત-રૂપ થયું છે,તેથી જગત જો કે ચૈતન્ય-રૂપ જ છે,
તો પણ આવરણથી જડ તથા મિથ્યા જેવું થઇ ગયું છે અને તે બુદ્ધિમાં રહેલા ચૈતન્યથી પ્રકાશિત થાય છે."

આમ વિચાર કરીને ચૂડાલા વિચાર કરવા લાગી કે-"ત્યારે (તો પછી) એ ચૈતન્ય દૃશ્યોનો સંબંધ કેવી રીતે છોડી દે?"
ઘણા લાંબા વિચાર પછી ચૂડાલા સમજી કે-
"અહો,ઘણા કાલે નિર્દોષ આત્મ-તાવ મારા જાણવામાં આવ્યું,કે જેને (જે આત્માને) જાણવાથી,
કશું છોડી દેવાનું કે કંઈ લેવાનું રહેતું જ નથી.અહો,આ મન,બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ (દ્રશ્ય) પદાર્થો,
કે જેઓ ચૈતન્યને મર્યાદામાં મૂકી દેનારા છે,તેઓ સઘળા મિથ્યા જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE